અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 5મી જૂન, 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ પર ગુજરાતમાં સુરતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ સુરત ખાતેથી ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અને પાવરગ્રિડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડના ₹4950.39 કરોડના ખર્ચના ચાર વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. "
વડાપ્રધાન ગુજરાતમાં ટ્રાન્સમિશન નેટવર્ક એક્સપાન્શન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેના થકી ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી ઉચ્ચ-ક્ષમતાવાળો વીજ પ્રવાહ પહોંચાડવો શક્ય બનશે. પાવરગ્રિડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિ. દ્વારા સુરત અને નવસારી જિલ્લામાં ₹4,546 કરોડના ખર્ચે અમલી કરવામાં આવેલ આ પ્રોજેક્ટ, રાજ્યના ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત બનાવશે.
વડાપ્રધાનના હસ્તે જે મુખ્ય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, તેમાં વલસાડ જિલ્લામાં વીજખાધ ઘટાડવાના ઉદ્દેશથી ડિસ્ટ્રિબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો સામેલ છે. તે ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટેનો એક ફુલ ટર્નકી કોન્ટ્રાક્ટ છે, જે ₹324.19 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.
આ સાથે વડાપ્રધાન સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ₹48.20 કરોડના ખર્ચે નિર્મિત 66 કેવી વણકલા–ઓખા સબસ્ટેશનનું લોકાર્પણ કરશે. આ સબસ્ટેશનથી આસપાસના વિસ્તારના અંદાજે 23,357 વીજ ગ્રાહકોને લાભ મળશે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ₹32 કરોડના ખર્ચે 66 કેવી ધામણી સબસ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ સબસ્ટેશનથી 8 કિલોમીટરના વિસ્તાર હેઠળ આવેલા 13 ગામોના 5,064 જેટલા વીજ ગ્રાહકોને લાભ મળશે. આ પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતનું વીજ માળખું વધુ મજબૂત બનશે તેમજ વિસ્તારમાં વધુ ગુણવત્તાસભર વીજપુરવઠો સુનિશ્ચિત થશે, તેવી માહિતી રાજ્ય સરકારે આપી હતી.