ચંદીગઢ: પીએમ મોદીએ પંજાબથી અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં પીએમ મોદીએ પંજાબના જાલંધર કેન્ટ રેલ્વે સ્ટેશનથી રાષ્ટ્રને એક મોટી ભેટ આપી છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પીએમ મોદીએ દેશભરના 75 પુનઃવિકસિત રેલ્વે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.
બે નવી એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી દેખાડી
આ કાર્યક્રમમાં પીએમ મોદીએ બે નવી એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી દેખાડી હતી. જેનાથી ઘણા રાજ્યોના મુસાફરો માટે મુસાફરી સરળ બની છે.
મુસાફરોને હવે વિશ્વ કક્ષાની સુવિધાઓ મળશે
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકાસ કરાયેલા આ 75 રેલ્વે સ્ટેશનો પર મુસાફરોને હવે વિશ્વ કક્ષાની સુવિધાઓ મળશે.પીએમ મોદીએ જલંધર કેન્ટ રેલ્વે સ્ટેશનથી આ બધા સ્ટેશનોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું.
પંજાબના વિકાસને વેગ આપવા અન્ય પ્રોજેકટોનું પણ લોકાર્પણ
આ ઉપરાંત પંજાબના વિકાસને વેગ આપવા માટે ₹5,470 કરોડથી વધુના રેલ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે આ ક્ષેત્રમાં વેપાર અને પરિવહનને વેગ આપશે.
આ ઉપરાંત ધાર્મિક પર્યટન અને આંતરરાજ્ય જોડાણને મજબૂત બનાવવા માટે એક નવી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. અમૃતસર (છેહરતા) અને વારાણસી વચ્ચે દોડતી આ નવી એક્સપ્રેસ ટ્રેન પંજાબ અને ઉત્તર પ્રદેશને સીધી જોડશે. આ સેવા શરૂ થવાથી સામાન્ય મુસાફરોને સુવિધા મળશે જ પરંતુ યાત્રાધામ, પર્યટન અને પ્રાદેશિક વિકાસને પણ નોંધપાત્ર પ્રોત્સાહન મળશે.
પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ રેલવે મુસાફરી સરળ બનશે
જ્યારે કાર્ટોલી પંજાબ-અંબાલા એક્સપ્રેસ નવી ટ્રેન પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ વચ્ચે મુસાફરીને પહેલા કરતા વધુ ઝડપી અને વધુ અનુકૂળ બનાવશે. રેલ્વે દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, કાર્ટોલી પંજાબથી અંબાલા શહેર સુધી દોડતી ટ્રેન નંબર 14502, સવારે 08:30 વાગ્યે કાર્ટોલીથી ઉપડશે અને બપોરે 12:55 વાગ્યે અંબાલા સિટી સ્ટેશન પર પહોંચશે.