દુબઈઃ પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે થયેલી ત્રિપક્ષીય રક્ષા સમજુતી પર ભારતે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલે કહ્યું હતું કે, આ સમગ્ર ઘટના પર અમે બારિકીથી નજર રાખી રહ્યા છીએ. શુક્રવારે કરેલી એક મીડિયા મીટમાં રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, આ એક એવો ઘટનાક્રમ છે. જેના પર અમારી નજર છે. આગળ જે કંઈ થશે એ અંગેની જાણકારી અમે શૅર કરતા રહીશું.સોમાલિયા અને પાકિસ્તાન વચ્ચે સુરક્ષા સમજૂતી પર જોડાયેલી અપડેટ પર વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત આ ઘટનાક્રમ ઉપર પણ નજર રાખી રહ્યો છે. પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ મક્કા સંયુક્ત રક્ષા સમજૂતી પર હસ્તાક્ષર કરી દીધા છે. આ સમજૂતી ક્ષેત્રીય સુરક્ષા સંબંધિત કેટલાક પડકારોને ધ્યાને લઈ અતિ મહત્ત્વની માનવામાં આવે છે.
શું હતું છે આ પાછળનો?
ત્રણેય દેશના સૈન્ય સહયોગને મજબૂત કરવા માટે આ હેતુ સિદ્ધ કરવા માટે પગલું લેવામાં આવ્યું હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. આ સમજૂતી અનુસાર કોઈ એક દેશ પર થનારો હુમલો ત્રણ દેશ પર થયેલા હુમલા બરોબર માનવામાં આવશે. આ અંતર્ગત ત્રણ દેશની સુરક્ષા સહયોગ પર તમામ ક્ષેત્રમાં સુરક્ષા પૂરી પાડવા અંગેની ખાસ જોગવાઈ છે. આ સમજૂતીમાં કોઈ વિશેષ સૈન્ય કાર્યવાહી તથા અન્ય સૈન્ય જવાબદારીનો ખાસ કોઈ વિસ્તૃત ઉલ્લેખ નથી.આ મુખ્ય રીતે વિસ્તાર અને વૈશ્વિક સ્તર પર શાંતિ, સ્થિરતા અન સુરક્ષાને વેગ આપવાની વાત છે. આ કરાર સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અને પાકિસ્તાની વડા પ્રધાન શેહબાઝ શરીફ વચ્ચેની બેઠક દરમિયાન થયો હતો. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે પશ્ચિમ એશિયામાં ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે તણાવ વધી રહ્યો છે. એક એવી પરિસ્થિતિ છે જેનાથી ગલ્ફ ક્ષેત્ર અને હોર્મુઝ સ્ટ્રેટના દરિયાઈ માર્ગોમાં સુરક્ષાને અસર થાય એવા એંધાણ છે.
કોઈ દેશ વિરૂદ્ધ આ કરાર નથી
હુથી અને ઇરાકી લશ્કર સહિત ઈરાન સમર્થિત જૂથો દ્વારા મહત્વપૂર્ણ સાઉદી માળખાકીય સુવિધાઓ અને તેલ સુવિધાઓ પર હુમલાઓ બાદ રિયાધે તેની સંરક્ષણ ભાગીદારીને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન, ગાઝા મુદ્દા પર તુર્કી અને ઇઝરાયલ વચ્ચેના તણાવ તેમજ ઈરાન અને લેબનોન સાથે સંકળાયેલા સંઘર્ષો વચ્ચે પ્રાદેશિક લેન્ડસ્કેપ અસ્થિર રહે છે.આ કરારના સંદર્ભમાં વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાતો લાંબા સમયથી એક મુખ્ય પ્રાદેશિક જોડાણ - જેને ઘણીવાર 'ઇસ્લામિક નાટો' તરીકે ઓળખવામાં આવે છે - ની ચર્ચા કરી રહ્યા હતા. આ કરાર ગયા વર્ષે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલા દ્વિપક્ષીય સુરક્ષા કરાર પર આધારિત છે, જેના હેઠળ બંને રાષ્ટ્રોએ જાહેર કર્યું હતું કે એક પર હુમલો બંને પર હુમલો માનવામાં આવશે.
મે મહિનામાં એક પાકિસ્તાની મીડિયા ચેનલ સાથેની મુલાકાતમાં, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેના હાલના સુરક્ષા સહયોગમાં તુર્કી અને કતાર જેવા દેશોનો પણ સમાવેશ થઈ શકે છે. આર્થિક અને સંરક્ષણ સહયોગ પ્રાદેશિક શાંતિ જાળવવામાં અને બાહ્ય રાષ્ટ્રો પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે આ કરાર કોઈ ચોક્કસ દેશ વિરુદ્ધ નિર્દેશિત નથી પરંતુ પ્રાદેશિક શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો હેતુ હતો.