બલુચિસ્તાન: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી જોવા મળી રહી છે. જેમાં હવે પાકિસ્તાન સુરક્ષા દળોએ ખારન જિલ્લામાં લશ્કરી ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં લજજે વિસ્તારમાં લશ્કરી કાર્યવાહી ઉપરાંત હવાઇ હુમલા પણ કરવામાં આવ્યા હતા. તેમજ લશ્કરી ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સંવેદનશીલ જિલ્લાઓમાં પણ આર્મી અને હવાઈ હુમલા
પાકિસ્તાન આર્મીની કાર્યવાહી દરમિયાન ડ્રોન હુમલામાં એક સ્થાનિક ખેડૂતનું મોત અને અનેક નાગરિકો ઘાયલ થયા હોવાની માહિતી સાંપડી છે. ખારન ઉપરાંત સેનાએ બલુચિસ્તાનના અન્ય ઘણા સંવેદનશીલ જિલ્લાઓમાં પણ આર્મી અને હવાઈ હુમલાનો વ્યાપ વિસ્તાર્યો છે.
સામાન્ય નાગરિકો અને પશુપાલકો ભોગ
જ્યારે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, સેનાની આ કાર્યવાહીમાં આતંકવાદીઓના સ્થાને સામાન્ય નાગરિકો અને પશુપાલકો ભોગ બની રહ્યા છે. આ વિસ્તારમાં ચાલી રહેલી લશ્કરી પ્રવૃત્તિઓ અને ડ્રોન ફ્લાઇટ્સને કારણે નાગરિકોના મૃત્યુની સંખ્યા વધુ વધી શકે છે તેવી આશંકા છે.
પાકિસ્તાની સેનાની કામગીરીમાં સાત આતંકીઓના મોત
જ્યારે પાકિસ્તાની રાજ્ય મીડિયા અને સુરક્ષા અધિકારીઓનો દાવો છે કે ખારાનના લજ્જે વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન રદ્દ-ઉલ-ફિત્ના 3' દરમિયાન સાત આતંકવાદીઓ માર્યા ગયા હતા અને તેમના ઘણા કેમ્પોનો નાશ કરવામાં આવ્યો હતો.