નવી દિલ્હીઃ દેશના નાણામંત્રી નિર્મલા સીતારામણે મોટી અને મહત્ત્વની સ્પષ્ટતા કરતા કહ્યું કે, મર્ચેંટ ડિસ્કાઉન્ટ રેટની અસર ગ્રાહકો પર નહીં પડે. ડિજિટલ ટ્રાંઝેક્શન પર લાગુ થનારા કોઈ પણ પ્રકારના ચાર્જનો બોજ નહીં પડે. UPI ના ઉપયોગ પર વધારાનો ચાર્જ ચૂકવવો પડશે એવો ડર દેશવાસીઓને લાગી રહ્યો છે. પણ આ વાતને લઈને દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારામણે એક મહત્ત્વની ચોખવટ કરી દીધી છે. સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, સામાન્ય પ્રજા માટે UPI સેવા સંપૂર્ણ રીતે ફ્રી રહેશે. એના કોઈ ટ્રાંઝેક્શન પર વધારાનો કોઈ ચાર્જ નહીં લાગે.
આર્થિક રીતે કોને મદદરૂપ?
MDR મર્ચેંટ ડિસ્કાઉન્ટ રેટનો નિયમ માત્ર વેપારીઓ પર લાગુ પડશે.નાણામંત્રી નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે, ડિજિટલ ટ્રાંઝેક્શન પર લાગુ થનાર મર્ચેંટ ડિસ્કાઉન્ટ રેટ ગ્રાહકો પર લાગુ નહીં થાય. વેપારીઓ પર લાગુ થશે. આ સાથે તેમણે એ પણ ચોખવટ કરી કે, આ ચાર્જ બેંક અને ફીનટેક કંપનીઓના પાયાના ઢાચાને વધુ સુરક્ષિત કરવા તથા સુરક્ષામાં રોકાણ વધારવા માટે આ રકમ મદદરૂપ થશે. આ સમગ્ર વિષય પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ઈન્ટીગ્રેટેડ પેમેન્ટ પ્લેટફોર્મ યુપીઆઈનો ઉપયોગ પર સામાન્ય લોકોને વધારાના પૈસા ચૂકવવા પડી શકે છે. પણ સીતારામણે સોશિયલ મીડિયા મંચ પર કહ્યું હતુ કે,યુપીઆઈ અને એનપીસીઆઈ અંતર્ગત આવતી સર્વિસ સ્ટીયરિંગ કમિટીએ હજુ સુધી આ વિષય પર કોઈ અંતિમ નિર્ણય કર્યો નથી. આ MDR પર નિર્ણય ત્યારે જ લેવાશે જ્યારે સંસદ કરવેરા અને અન્ય કાયદા (સુધારા) બિલ 2026 પાસ થઈ જશે.
સરકારને મળશે વધુ એક અધિકાર
આ બિલ પાસ થતા સરકારને એ અધિકાર મળશે કે, તે નોટિફિકેશનના માધ્યમથી એ નક્કી કરી શકશે કે, ક્યા ઈલેક્ટ્રોનિક્સ પેમેન્ટ પર અથવા લેવડદેવળ પર ચાર્જ લાગુ થશે કે નહીં. UPIના વ્યવહારો પર MDR લાગુ કરવા અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ની આગેવાની હેઠળની UPI અને સર્વિસ સ્ટીયરિંગ કમિટી, ટેક્સેશન અને અન્ય કાયદા (સુધારા) બિલ, 2026 સંસદ દ્વારા પસાર થયા પછી જ આ બાબત પર વિચાર કરશે. બિલની જોગવાઈઓ હેઠળ, ભારત સરકાર પાસે ચોક્કસ ઇલેક્ટ્રોનિક વ્યવહારો અથવા મોડ્સને સૂચિત કરવાનો અધિકાર હશે જે મફત રહેશે. સમિતિ સંસદ દ્વારા બિલ પસાર થયા પછી જ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ પર ચર્ચા કરશે.
વિપક્ષના નેતાની દલીલ
આ ટિપ્પણીઓ જયરામ રમેશની એક પોસ્ટ પછી આવી હતી, જેમાં તેમણે દલીલ કરી હતી કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટનો બોજ સામાન્ય માણસ પર પડશે. તેમણે એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારનો દાવો છે કે UPI ને નાણાકીય રીતે ટકાઉ બનાવવા માટે આવા ચાર્જ વધારવાનો કોઈ વિકલ્પ નથી. "સંપૂર્ણપણે ખોટો" નિર્ણય હતો. આ દાવાને ફગાવી દેતા, સીતારમણે જણાવ્યું હતું કે ગ્રાહકોને મર્ચન્ટ ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં.