Wed Jul 29 2026

Logo

TMKOCનો આ કલાકાર એક્ટિંગ છોડીને હવે કરશે આ કામ, વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ…

2025-10-12 22:53:00
Author: Kshitij Nayak
Article Image

લોકપ્રિય ટીવી સિરીયલની વાત થઈ રહી હોય ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું નામ ના આવે તો જ નવાઈ. દોઢ દાયકા કરતાં પણ લાંબા સમયથી આ શો દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં જ મિ. રોશનલાલ સોઢીનું પાત્ર નિભાવનાર એક્ટર ગુરુચરણ સિંહે થોડા સમય પહેલાં જ ફેન્સને હિંટ આપી હતી કે તે ટૂંક સમયમાં જ ગૂડ ન્યુઝ આપવાના છે અને હવે આખરે એ સમય આવી ગયો છે. હવે ગુરુચરણ સિંહ એક્ટિંગ છોડીને બિઝનેસમેન બની ગયો છે અને તેણે આ ન્યુઝ ફેન્સ સાથે શેર કર્યા છે. આવો જોઈએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરીયલમાં એક્ટર ગુરુચરણ સિંહે મિ. રોશનલાલ સોઢીનો રોલ નિભાવ્યો હતો. જોકે, બાદમાં તેણે આ શો છોડી દીધો હતો. થોડાક સમય પહેલાં જ ગુરુચરણે એક વીડિયો શેર કરીને ફેન્સને ટૂંક સમયમાં જ ગુડ ન્યુઝ આપશે એવી હિન્ટ આપી હતી. એક્ટરની આ પોસ્ટ બાદ તે ફરી તારક મહેતામાં જોવા મળશે કે કેમ એવી ચર્ચા ફેન્સમાં શરૂ થઈ હતી.

જોકે, હવે અભિનેતાએ સસ્પેન્સ પરથી પડદો ઉઠાવ્યો છે અને રીવિલ કર્યું છે તે હવે એક્ટિંગ છોડીને બિઝનેસમેન બની ગયો છે. એક્ટરે દિલ્હીમાં સોયા-ચાપની દુકાન ખોલી છે અને એનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે અને એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ આ વીડિયો પર લાઈક અને કમેન્ટ કરીને એક્ટરને શુભેચ્છા આપી રહ્યા છે.

વીડિયોમાં ગુરુચરણ સિંહની દુકાન પર ઘણા લોકો જોવા મળી રહ્યા છે. યુટ્યૂબર્સ અને કન્ટેન્ટ ક્રિયેટર એક્ટરની શોપને જોરશોરથી પ્રમોટ કરી રહ્યા છે. ત્રણ દિવસ પહેલાં આ દુકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને જણાવ્યું હતું કે તેને આ દુકાન ગિફ્ટમાં મળી છે. એટલું જ નહીં ગુરુચરણ સિંહે ફેન્સને તેમની દુકાન પર આવવા માટે આમંત્રણ પણ આપ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે 2020માં કોવિડ બાદ ગુરુચરણ સિંહે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી એક્ઝિટ લીધી હતી અને ત્યારથી કામ ન મળવાને કારણે તે ફાઈનાન્શિયલ ક્રાઈસિસમાં આવી ગયા હતા. હવે તેમણે આ દુકાનના ઉદ્ઘાટન સાથે એવી આશા વ્યક્ત કરી છે કે આ દુકાનને કારણે તેમની નાણાંકીય સ્થિતિ સુધરશે.