(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટઃ રાજકોટમાં ગૂંગળામણના કારણે માતા-પુત્રનું મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાજકોટના પેલેસ રોડ પર આવેલા મનમંદિર એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી. અહીં ચોથા માળે અચાનક આગ લાગવાના કારણે માતા-પુત્રને ગુંગળામણ થઈ અને બંનેનું મોત નીપજ્યું હતું. આગ લાગી ત્યારે માતા અને પુત્ર ઘરમાં આરામ કરી રહ્યાં હતાં. આ દરમિયાન આગના કારણે ગૂંગળામણ થઈ હોવાથી બંને બેભાન થઈ ગયાં હતા. ત્યારે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યા તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યાં હતાં.
આગના કારણે માતા-પુત્રનું મોત થયું
રાજકોટના પેલેસ રોડ પર આવેલા વર્ધમાનનગર શેરી નંબર 8માં આવેલા મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે બ્લોક નંબર સી-402માં આગ ઘટના ઘટી હતી. મનમંદિર એપાર્ટમેન્ટમાં આગ લાગ્યાનો કોલ મળતાની સાથે ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગના કાબૂમાં મેળવી લીધી હતી. આગના કારણે માતા-પુત્રનું મોત થયું હોવાના કારણે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યાં હતાં.
ઘરમાં રાખેલો આખો સામાન પણ બળીને ખાખ
આગના કારણે 92 વર્ષીય વૃદ્ધ માતા પ્રભાબેન ભગવાનજીભાઈ પુજારા અને 62 વર્ષીય પુત્ર નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ પુજારાનું મોત થયું છે. આગ લાગી હોવાના કારણે ઘરમાં રાખેલો આખો સામાન બળીને ખાખ થઇ ગઈ હતો. આગ શા કારણે લાગી તેનું કોઈ ચોક્કસ કારણ પ્રકાશમાં આવ્યું ના હોવાના કારણે એ ડિવિઝન પોલીસ દ્વારા વધારે તપાસ શરૂ કરી દીધી છે.