Sat May 02 2026

Logo

સુરક્ષા દળોમાં IPS વર્ચસ્વ સામે રાહુલ ગાંધીનો મોરચો! સત્તામાં આવશે તો દૂર કરશે CAPF પ્રમોશનનો ભેદભાવ

2026-04-02 14:57:00
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ  સુરક્ષા દળોમાં વ્યાપ્ત સંસ્થાગત અન્યાયનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે IED બ્લાસ્ટમાં પોતાનો પગ ગુમાવનાર આસિસ્ટન્ટ કમાન્ડન્ટની મુલાકાત લીધી હતી, અને આ મુલાકાત બાદ તેમણે આક્ષેપ કર્યો હતો કે અફસરે ૧૫ વર્ષની નિષ્ઠાપૂર્વક સેવા આપી હોવા છતાં, તેમને પ્રમોશન કે પોતાના જ ફોર્સનું નેતૃત્વ કરવાનો અધિકાર મળ્યો નથી. તેના કારણ વિષે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે  કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) ના તમામ ટોચના હોદ્દાઓ હાલમાં IPS અધિકારીઓ માટે આરક્ષિત રાખવામાં આવ્યા હોવાથી મૂળ કેડરના અફસર અન્યાયનો ભોગ બને છે. 

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, નક્સલી અથડામણ દરમિયાન IED બ્લાસ્ટમાં પોતાનો પગ ગુમાવનાર આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અજય મલિકની ગાથા આજે સુરક્ષા દળોમાં વ્યાપ્ત સંસ્થાગત અન્યાયનું પ્રતીક બની ગઈ છે. દેશની રક્ષા માટે પોતાનું લોહી વહાવનાર આ બહાદુર અફસરે ૧૫ વર્ષની નિષ્ઠાપૂર્વક સેવા આપી હોવા છતાં, તેમને પ્રમોશન કે પોતાના જ ફોર્સનું નેતૃત્વ કરવાનો અધિકાર મળ્યો નથી. આ સ્થિતિ પાછળનું મુખ્ય કારણ એ છે કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) ના તમામ ટોચના હોદ્દાઓ હાલમાં IPS અધિકારીઓ માટે આરક્ષિત રાખવામાં આવ્યા છે, જેના કારણે વર્ષો સુધી ગ્રાઉન્ડ લેવલ પર લડનારા મૂળ કેડરના અધિકારીઓ અન્યાયનો ભોગ બની રહ્યા છે.
 

તેમણે આગળ લખ્યું હતું કે CAPF ના જવાનો માત્ર સરહદો પર જ તૈનાત નથી રહેતા, પરંતુ આતંકવાદ, નક્સલવાદ અને લોકશાહીના પર્વ સમાન ચૂંટણીઓને સુરક્ષિત બનાવવામાં પણ પાયાની ભૂમિકા ભજવે છે. આ જવાનોના મનોબળ અને અધિકારોના મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ અગાઉ સવાલો ઉઠાવ્યા છે, તેમ છતાં વર્તમાન વ્યવસ્થા આ ભેદભાવને કાયમી બનાવવા તરફ આગળ વધી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ટીકાકારોનું કહેવું છે કે જ્યારે દેશની પ્રથમ રક્ષા પંક્તિના યોદ્ધાઓના કરિયરને જાણીજોઈને અવરોધવામાં આવે છે, ત્યારે તેની સીધી અસર રાષ્ટ્રીય સુરક્ષા અને જવાનોના નૈતિક જુસ્સા પર પડે છે.

આ ગંભીર મુદ્દે રાજકીય ગરમાવો વધતા કોંગ્રેસે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે કે જવાનોનું સન્માન માત્ર શબ્દોમાં નહીં પણ નીતિઓમાં હોવું જોઈએ. કોંગ્રેસે વચન આપ્યું છે કે જો તેમની સરકાર સત્તા પર આવશે, તો આ ભેદભાવપૂર્ણ કાયદાઓ અને વ્યવસ્થાઓને તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવશે. જે જવાનો મેદાન-એ-જંગમાં દેશ માટે લડે છે, તેમને પોતાના દળનું નેતૃત્વ કરવાનો અને સન્માનજનક પ્રમોશન મેળવવાનો સંપૂર્ણ અધિકાર મળવો જોઈએ, જેથી દેશની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની શકે.