Fri Apr 24 2026

Logo

રાઘવ ચઢ્ઢાના રાજીનામા બાદ પંજાબમાં 'સરકાર' જોખમમાંઃ AAPમાં ભંગાણ

2026-04-24 18:33:16
Author: Mumbai Samachar Team
Article Image

અમૃતસરઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાત સાંસદોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, જેને લોકો ખરેખર તો ના રાજીનામું માની રહ્યા છે. આ વાવડ જંગલમાં લાગેલી આગની જેમ ફેલાતા આમ આદમી પાર્ટી (AAP)ની અંદર ખળભળાટ મચી ગયો છે. ચર્ચા હવે પંજાબમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીની સરકારની થઈ રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર પડી જશે એ ચર્ચાએ જોર પકડ્યું છે. 

જાણીતા ચહેરા પણ પાર્ટી છોડી શકે

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠકે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. રાઘવ ચઢ્ઢાએ તો દાવો કર્યો છે કે, ભ્રષ્ટાચારનો ગઢ બની ચૂકેલી આમ આદમી પાર્ટીના અન્ય સાંસદ પણ પાર્ટી સાથે છેડો ફાડવાનો નિર્ણય કરી ચૂક્યા છે. પાર્ટીમાંથી રાજીનામુ આપનારા અન્ય સાંસદના નામનો પણ ખુલાસો કરી દીધો છે. રિપોર્ટ અનુસાર રાજીનામુ આપનારા પૂર્વ ક્રિકેટર હરભજન સિંહનું નામ પણ સામેલ છે. આ સિવાય દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલ પણ આમ આદમી પાર્ટી છોડી શકે છે. સાંસદ વિક્રમજીતસિંહ સાહની અને રાજેન્દ્ર ગુપ્તાના રાજીનામાની જાણકારી ટૂંક જ સમયમાં સામે આવશે. 

પંજાબમાં જ સાત સાંસદ

રાઘવ ચઢ્ઢાના આ એલાન બાદ ઉનાળાના તાપ કરતા વધારે ગરમાવો દિલ્હીની સાથે પંજાબની રાજનીતિમાં આવી ગયો છે. દિલ્હીમાં આવેલા આ ડેવલપમેન્ટની સીધી અસર પંજાબમાં થઈ રહી છે. શક્યતા ત્યાં સુધી સેવાઈ રહી છે કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની માન સરકાર પણ ટૂંક સમયમાં પડી જશે. આ મુદ્દાની સંભાવના વધારે ગંભીર છે. પંજાબમાં આમ આદમી પાર્ટીના કુલ સાત સાંસદ છે, જેમાં રાઘવ ચઢ્ઢા, હરભજનસિંહ, સંદીપ પાઠક, અશોક મિત્તલ, સંજીવ અરોડા, વિક્રમજીતસિંહ સાહની અને બલબીરસિંહ સીચેવાલનું નામ સામેલ છે. હકીકત એ છે કે, રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે. 

રાજ્યસભામાં આપના સુપડા સાફ

હવે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીનો એક પણ સાંસદ નથી. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, પંજાબમાંથી જો સાત સાંસદ રાજીનામું આપી દે તો પ્રાંતની રાજનીતિ એક મોટો વળાંક લઈ શકે છે. પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. રાજકીય લોબીમાં એવું માનવામાં આવી રહ્યું છે કે, સાતેય સાંસદના સમર્થકો ધારાસભ્યો પણ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીને અલવિદા કહી શકે છે, સાંસદો સાથે પાર્ટી છોડીને આવેલા ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે. આવી વાતો થઈ રહી છે. સાંસદના સમર્થકો અને ધારાસભ્યો જો પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ જાય અને આ વાત સાચી ઠરે તો પંજાબમાં માન સરકારને મોટો ફટકો પડી શકે એમ છે. 

પંજાબમાં મુખ્યમંત્રી તરીકે મોટો ચહેરો

અણસાર એવા પણ છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાઘવ ચઢ્ઢા પંજાબના મુખ્યમંત્રી તરીકેનો ચહેરો પણ હોઈ શકે છે. આ પાછળનું કારણ એ છે કે, રાઘવ ચઢ્ઢા પણ પંજાબી સમુદાયમાંથી આવે છે. પંજાબમાં તેઓ ઘણા લોકપ્રિય છે અને લોકોને પણ એક આશા છે. સાંસદમાં જે રીતે તેમણે સવાલ ઊઠાવ્યા હતા એ પછી તો લોકપ્રિયતા વધી ગઈ છે. ગ્રામ્ય કરતા શહેરી વિસ્તારના લોકો ખાસ કરીને પંજાબમાંથી લોકો એમને મુખ્યમંત્રી તરીકે જુએ પણ છે. યુવા ચહેરા તરીકે જો રાઘવ ચઢ્ઢા મુખ્યમંત્રીની ખુરશી સુધીં પહોંચે છે તો પંજાબમાં એક અલગ રાજકીય અધ્યાય લખાશે. 

સત્તા પરિવર્તનની શક્યતાઓ

આમ પણ પંજાબની રાજનીતિમાં યુવા ચહેરો હંમેશા ચર્ચામાં રહ્યો છે. હવે ધારાસભ્યો કે સમર્થકોમાં કોઈ નવાજૂની થઈ તો પંજાબમાં રાજકીય ક્રેક પડી શકે છે. સત્તા પરિવર્તનની હવા લહેરાઈ શકે છે. પંજાબમાં આમ આદમી પાર્ટીનું જે મોડલ છે એ દિલ્હી આધારિત મોડલ છે. મફત વીજળી યોજનાથી લઈને સરકારી સ્કૂલના મોડલમાં દિલ્હી કેન્દ્ર સ્થાને છે. કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર લીકર પોલીસી કાંડને લઈને જે કાયદાકીય મુશ્કેલીઓ ઊભી થઈ એમાં પાર્ટીની છબિને પણ નુકસાન થયું છે. પંજાબમાં કાયદો વ્યવસ્થા, ડ્રગ્સ અને સતત વધી રહેલું રાજ્યનું દેવું આવા મુદ્દાઓ પર ફોક્સ થશે તો સત્તા પરિવર્તન થશે.