Wed Aug 19 2026

Logo

પાર્થ પવારે રાજ્યસભાના સાંસદ તરીકે લીધા શપથ: અજિતદાદાની યાદ અપાવતું 'ગુલાબી જેકેટ' બન્યું આકર્ષણનું કેન્દ્ર

2026-04-09 21:18:36
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: યુવા એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) નેતા પાર્થ પવારે ગુરુવારે નવી દિલ્હીમાં રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સી. પી. રાધાકૃષ્ણને તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન સુનેત્રા પવાર, સાંસદ પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે અને જે. પી. નડ્ડા અને જયરામ રમેશ જેવા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

શપથગ્રહણ સમારોહમાં પાર્થ પવારના પોશાકે બધાનું ધ્યાન ખેંચ્યું. તેમણે 'ગુલાબી જેકેટ' પહેર્યું હતું જે સ્વર્ગસ્થ નાયબ મુખ્યપ્રધાન અજિત પવારની એક ખાસ ઓળખ હતું. અજિત પવારની શૈલીમાં પહેરાયેલા આ પોશાકને જોઈને ત્યાં હાજર ઘણા નેતાઓ અને કાર્યકરો ભાવુક થઇ ગયા હતા. આ સમયે એવી ચર્ચા પણ થઈ હતી કે પાર્થ પવારનો ફક્ત પહેરવેશ જ નહીં, પરંતુ તેમની બોડી લેંગ્વેજ અને અવાજમાં પણ અજિતદાદાની છાટ જોવા મળે છે.

અજિત પવારના અવસાન પછી પવાર પરિવાર અને પાર્ટી પર એક મોટી જવાબદારી આવી પડી છે. આવા સમયે, પાર્થ પવારની આ નવી ઇનિંગ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહારાષ્ટ્રના અન્ય સાંસદોના શપથ ગ્રહણ સમારોહ પહેલા જ થઈ ગયો હતો, પરંતુ પાર્થ પવારે ગુરુવારે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા.

હવે, પાર્થ પવારની સંસદમાં હાજરી રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. પાર્થ પવારે અગાઉ માવલ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી. જોકે, તેમનો પરાજય થયો હતો. તે પછી, તેઓ રાજકારણથી દૂર રહ્યા હતા. સ્વર્ગસ્થ અજિત પવાર શરદ પવારથી અલગ થયા પછી, પાર્થ પવાર તેમની સાથે વધુ સક્રિય થયા હોવાનું જોવા મળ્યું હતું. તેથી, હવે અજિતદાદાના નિધન પછી પાર્થની નવી ઇનિંગ્સ કેવી રહેશે તે જોવાનું રહેશે.