Sat May 02 2026

Logo

મમતા બેનર્જીએ કેન્દ્રીય દળો દ્વારા  હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો

2026-04-15 20:12:17
Author: Chandrakant Kanoja
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. જેમાં હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય દળો દ્વારા તેમણે હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે તે કોલકાતા એરપોર્ટ જઇ રહ્યા હતા ત્યારે તેમના વાહનને કેન્દ્રીય દળો દ્વારા  રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે ઉત્તર દિનાજપુર જિલ્લાના ઇસ્લામપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા મમતા બેનર્જીએ આ ઘટનાનો સખત વિરોધ નોંધાવ્યો હતો. 

રોજ મારી કાર ચેક કરી શકે છે
 
તેમણે જણાવ્યું હતું કે જો કેન્દ્રીય બળોમાં હિમ્મત હોય તો  તેમની કારની રોજ તપાસ કરી શકે છે. મમતા બેનર્જીએ કહ્યું કે આજે જ્યારે હું કોલકાતા એરપોર્ટ જઈ રહી હતી. ત્યારે કેન્દ્રીય બળો મારી કારની તપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ જો હિમ્મત છે તો રોજ મારી કાર ચેક કરી શકે છે.  

વિવાદ વચ્ચે  રાજકીય વાતાવરણ વધુ ગરમાયું

ઉલ્લેખનીય છે કે,  એક દિવસ પહેલા જ, તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચે પાર્ટીના નેતાઓના વાહનોને રોકીને  તપાસનો આદેશ આપ્યો છે. આ સમગ્ર વિવાદ વચ્ચે  રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે.  અને ટીએમસી અને કેન્દ્ર સરકાર વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. 

ચૂંટણી પંચ પર પક્ષપાતી વર્તનનો આરોપ લગાવ્યો

ટીએમસીએ  મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પત્ર લખીને ચૂંટણી પંચ પર પક્ષપાતી વર્તનનો આરોપ લગાવ્યો છે. તેમજ વરિષ્ઠ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. 14 એપ્રિલના રોજની પોતાની ફરિયાદમાં, પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચે પોલીસ, નિરીક્ષકો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોને ખાસ કરીને ટીએમસી  નેતાઓ અને તેમના પરિવારના સભ્યોના વાહનોનું નિરીક્ષણ અને નિશાન બનાવવાના નિર્દેશો આપ્યા છે.