દિબ્રુગઢ/જોરહાટ: ભારતના પડોશીઓ અહીં અગાઉની અશાંતિનો લાભ લઈને આસામને "તોડવા" માંગતા હતા, પરંતુ નરેન્દ્ર મોદી સરકારે આ પ્રદેશમાં શાંતિ લાવી હોવાથી તેમના "સ્વપ્નો ચકનાચૂર" થઈ ગયા હતા, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો.આતંકવાદનો અંત આવી ગયો છે અને વિવિધ જૂથો સાથે શાંતિ કરારોમાં આપવામાં આવેલ ૯૨ ટકા ખાતરીઓનો અમલ થઈ ગયો છે, એમ તેમણે એક ચૂંટણી રેલીમાં જણાવ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે આસામમાં ભાજપની આગેવાની હેઠળની સરકારે માત્ર રાજ્યનો વિકાસ સુનિશ્ચિત કર્યો નથી પરંતુ તેની ઓળખનું પણ રક્ષણ કર્યું છે.
તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે રાજ્ય અને ઉત્તરપૂર્વીય પ્રદેશ પ્રત્યે "સાવકી માતા જેવું વલણ" અપનાવીને તેમની અવગણના કરી છે, જ્યારે મોદીએ આ પ્રદેશને વિકાસના કેન્દ્રમાં રાખ્યો છે.ભાજપના દિબ્રુગઢના ઉમેદવાર પ્રશાંત ફુકનના સમર્થનમાં એક રેલીને સંબોધતા ફડણવીસે કહ્યું કે આસામ આજે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. કેન્દ્રના પ્રયાસોને અનુરૂપ મહિલા સશક્તિકરણ પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
એમણે કહ્યું કે છેલ્લા ૨૦૦ વર્ષથી અહીં રહેતા ચાના બગીચાના કામદારોને આખરે આ સરકારે જમીનનો અધિકાર આપ્યો છે, જેના કારણે તેમના માટે વિવિધ વિકાસલક્ષી પગલાં સુનિશ્ચિત થયા છે.ભાજપના જોરહાટના ઉમેદવાર હિતેન્દ્ર નાથ ગોસ્વામીના સમર્થનમાં બીજી એક રેલીમાં બોલતા, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ સરકારો હેઠળ આસામમાં ઘૂસણખોરી ચરમસીમાએ પહોંચી હતી.
મોદી (કેન્દ્રમાં) સત્તામાં આવ્યા ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ. ઘૂસણખોરી બંધ થઈ ગઈ છે, અને રાજ્યના લગભગ તમામ આતંકવાદી જૂથો મુખ્ય પ્રવાહમાં પાછા ફરી રહ્યા છે," એવો તેમણે દાવો કર્યો હતો.