Tue Apr 21 2026

Logo

દિલ્હીમાં 34 વર્ષીય યુવકની ગોળી મારી હત્યા! પાર્કિગ બાબતે શરૂ થયો હતો ઝઘડો

2026-04-20 11:24:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ દિલ્હીમાં ફરી એકવાર હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારમાં આજે સોમવારે માત્ર પાર્કિંગ વિવાદમાં હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે. પાર્કિગ વિવાદમાં 34 વર્ષીય પંકજ નૈયર નામના યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હત્યાની આ ઘટના મામલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી તેના કારણે પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી.

મોડી રાત્રે 2.20 વાગ્યે પાર્કિગ બાબતે થયો હતો વિવાદ

પોલીસના જણાવ્યા પ્રમાણે બે વખત પીસીઆર કોલ આવ્યો હતો. આ ઘટના પ્રીત વિહારમાં એ-114 વિસ્તારમાં રાત્રે 2.20 આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યાં પ્રમાણે માત્ર પાર્કિગ બાબતે બે પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો તે ઘટના હત્યામાં સુધી પહોંચી ગઈ! સ્થાનિકના જણાવ્યાં પ્રમાણે એક પક્ષમાં પંજજ નૈયર અને તેના મોટા ભાઈઓ હતી, જ્યારે સામે પક્ષે સ્થાનિક નિવાસી ગૌરવ શર્મા હતો. આ ઝઘડા દરમિયાન ગૌરવ શર્માએ પિસ્તોલ કાઢીને પંકજ નૈયરને ગોળી મારી દીધી હતી. પંકજને છાતી પર ગોળી વાગી હોવાથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

તબીબોએ પંકજને મૃત જાહેર કરી દીધો

છાતી પર ગોળી વાગી હોવાના કારણે સત્વરે તેનો સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે, સારવાર મળે તે પહેલા જ તબીબોએ પંકજને મૃત જાહેર કરી દીધો હતો. આ હત્યાના આરોપી ગૌરવ શર્મા અને તેના સાથીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયાં હતા. પોલીસે આખા વિસ્તારની ઘેરબંધી કરી દીધી અને આરોપીઓને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી દીધી છે. 

કાર્યવાહીની વાત કરવામાં આવે તો, પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1), 115 (2), 3 (5) અને આર્મ્સ એક્ટની કલમ 25/27 અંતર્ગત ગુનો નોંધીને ફરિયાદ દાખલ કરી છે. આરોપીઓની ઓખળ કરી લેવામાં આવી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. આ સાથે ટૂંક જ સમયમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.