દરભંગાઃ બિહારના દરભંગા જિલ્લાના સુન્દરપુર મુહલ્લામાં રવિવારે રાત્રે ભયાનક દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. રસોડામાં રાત્રિભોજન બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીક થતાં આગ લાગી હતી જેના કારણે ભીષણ વિસ્ફોટ થયો અને આખું ઘર આગની ચપેટમાં આવી ગયું હતું. આ દુર્ઘટનામાં એક યુગલ અને તેમના ૩ મહિનાના બાળકનું મોત થયું હતું. જ્યારે આગની ચપેટમાં આવેલા ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
માતા-પિતા સહિત 03 મહિનાના બાળકનું પણ મોત
મૃતકોમાં 24 વર્ષીય ગોવિંદ કુમાર, તેની 22 વર્ષીય પત્ની ઋષિ કુમારી અને તેમનો 03 મહિનાના બાળકનું પણ મોત થયું છે. પત્ની રસોડામાં ગેસ ચાલુ કરતાં જ ગેસ લીક થયો હોવાના કારણે આગ લાગી અને તરત જ સિલિન્ડર ધડાકા સાથે ફૂટ્યો હતો. આગ ઝડપથી ફેલાઈ ગઈ, જેથી પરિવારના સભ્યો પણ તેની ચપેટમાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની છ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયરની ટીમે એક કલાકે આગ પર કાબૂ મેળવ્યો
ફાયર બ્રિગેટની ટીમે એક કલાકથી વધુ સમયે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન ફાયર ઓફિસર પણ ઈજા થઈ. બે અન્ય લોકો સહિત ચાર જણને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જેમાંથી એકની હાલત નાજુક છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર સલીમ અખ્તરે ત્રણ મૃત્યુની પુષ્ટિ કરી અને તપાસના આદેશ આપ્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે
જૂના સિલિન્ડર અથવા અનિયમિત વપરાશ સાવધાન
આ પ્રકારની દુર્ઘટનાઓ ઘણીવાર ગેસ લીક, જૂના સિલિન્ડર અથવા અનિયમિત વપરાશથી બને છે. નાગરિકોએ નિયમિત તપાસ અને સાવચેતી અપનાવવી જરૂરી છે. ગેસ ચાલુ કરતા પહેલા લીકની તપાસ કરો, વેન્ટિલેશન રાખો અને બાળકોને દૂર રાખો. સરકારે પણ જાગૃતિ અભિયાન વધારવું જોઈએ, જેથી આવી ટ્રેજેડીઓ ટાળી શકાય.