Wed Apr 22 2026

Logo

છત્તીસગઢ વેદાંતા પાવર પ્લાન્ટના બોઈલર વિસ્ફોટમાં મૃત્યુ આંક 17 એ પહોંચ્યો, આવી રીતે ઘટી ઘટના

2026-04-15 15:43:17
Author: Chandrakant Kanoja
Article Image

સિંઘિતરાઈ : છત્તીસગઢના શક્તિ જિલ્લામાં વેદાંતા પાવર પ્લાન્ટમાં મંગળવારે થયેલા બોઈલર વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 17 થયો છે. આ અંગે મળતી માહિતી મુજબ હાઇ પ્રેશર સ્ટીમ પાઇપ ફાટવાથી ઘણા કામદારો દાઝી ગયા હતા. આ ઘટનામાં ઘાયલો કામદારોને હાલમાં રાયપુર અને રાયગઢમાં સારવાર આપવામાં આવી રહી છે. 

બોઈલરની અંદરનું તાપમાન 700 ડિગ્રી સેલ્સિયસ હતું

આ દુર્ઘટના અંગે મળેલી વિગતો મુજબ  સિંઘિતરાઈ ગામમાં સ્થિત એક પ્લાન્ટમાં સ્ટીલની ટ્યુબમાં વિસ્ફોટ થયો હતો. આ  ટ્યુબ બોઈલરથી ટર્બાઇન સુધી ઉચ્ચ દબાણવાળી વરાળનું પરિવહન કરી રહી હતી. તેમજ અકસ્માત સમયે બોઈલરની અંદરનું તાપમાન 700 ડિગ્રી સેલ્સિયસ હતું. આ અકસ્માતમાં મૃત્યુઆંક હવે વધીને 17 થઈ ગયો છે.

10 થી વધુ મજૂરો ઘાયલ

જ્યારે છત્તીસગઢના પોલીસ અધિક્ષક પ્રફુલ્લ ઠાકુરે જણાવ્યું હતું કે 10 થી વધુ મજૂરો ઘાયલ છે. જેમાંથી ચાર રાયપુરની હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે બાકીના રાયગઢમાં સારવાર લઈ રહ્યા છે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ મૃતકોના પરિવારજનોને  રૂપિયા 5 લાખ અને ઘાયલોને  રૂપિયા 50,000 ની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.

વેદાંતા ગ્રુપે મૃતકોના પરિવારજનોને નોકરી સાથે રૂપિયા 35 લાખના વળતરની જાહેરાત કરી 

આ ઉપરાંત વેદાંતા મેનેજમેન્ટે મૃતકોના પરિવારજનોને નોકરી સાથે  રૂપિયા 35 લાખ અને ઘાયલો પ્રત્યેકને  રૂપિયા 15 લાખનું વળતર પેકેજ જાહેર કર્યું છે. તેમજ  કંપનીએ ઘાયલોની સંપૂર્ણ તબીબી સારવાર, તેમના પગાર ચાલુ રાખવા અને કાઉન્સેલિંગ સેવાઓ પૂરી પાડવાનું વચન આપ્યું છે. મૃતકોના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ  માંથી  રૂપિયા 2 લાખ અને ઘાયલોને  રૂપિયા 50,000ની નાણાકીય સહાય પણ આપવામાં આવશે.