ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન આજે તલાટી કમ મંત્રીઓને ગ્રામ્ય કક્ષાએ આપવામાં આવતી આવાસની સવલત અંગેનો સવાલ ઉઠ્યો હતો. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ તલાટી કમ મંત્રીઓને ગ્રામ્ય કક્ષાએ મથક પર હાજર રહેવાનો સવાલ ઉઠાવ્યો હતો.
તેમણે પૂછ્યું કે, રાજ્યના તલાટી મંત્રીઓ તેના મથક પર જ રહી શકે તે માટે પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસ બાંધી આવાસની સવલત આપવામાં આવે છે તે હકીકત સાચી છે? 31-01-2026ની સ્થિતિએ જૂનાગઢ જિલ્લામાં તાલુકાવાર કેટલા ગામમાં પંચાયત ઘર કમ તલાટી મંત્રીની સવલત ઉપલબ્ધ છે અને તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહેતા ન હોવાની કેટલી ફરિયાદ મળી છે?
જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, રાજ્યના તલાટી મંત્રીઓ તેના મથક પર જ રહી શકે તે માટે પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસ બાંધી આવાસની સવલત આપવામાં આવે છે. 31-01-2026ની સ્થિતિએ જૂનાગઢ જિલ્લામાં તાલુકાવાર 124 ગામમાં પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસની સવલત ઉપલબ્ધ છે. જૂનાગઢના 9, માંગરોળના 13, મેંદરડાના 14, વિસાવદરના 25, ભેંસાણના 8, કેશોદના 20, માણાવદરના 5, માળીયા હાટીનાના 18 અને વંથલીના 12 મળી કુલ 124 ગામોમાં પંચાચત ઘર કમ તલાટી મંત્રી આવાસની સવલત ઉપલબ્ધ છે.
વંથલીના સુખપુર ગામથી આવેલી ફરિયાદ બાબતે ખરાઈ કરતાં તલાટી કમ મંત્રી આવાસ જર્જરીત છે, તેમજ નવીન ગ્રામ પંચાયત ઘર બનાવવા દરખાસ્ત કરેલી છે.