ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

175 કરોડ રૂપિયાની ઠગાઈ: સેલ્સ ટૅક્સ અધિકારી અને 16 ‘વેપારી’ વિરુદ્ધ ગુનો

સરકારને જીએસટી ભર્યા વિના બનાવટી દસ્તાવેજોને આધારે ટૅક્સ રિટર્ન મેળવવાના કૌભાંડનો પર્દાફાશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સરકારને એક રૂપિયાનો પણ ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) ન ભરવા છતાં કથિત વેપારીઓ દ્વારા બનાવટી દસ્તાવેજો રજૂ કરી કરોડો રૂપિયાનું ટૅક્સ રિટર્ન મેળવવાનું કૌભાંડ સામે આવ્યું હતું.

16 વેપારીઓ દ્વારા કરવામાં આવેલી 39 અરજીની ઇરાદાપૂર્વક તપાસ કર્યા વિના જ તે સમયના જીએસટી અધિકારીએ નાણાં ચૂકવવા સંબંધી કાર્યવાહી કરીને સરકારને 175.93 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ આ પ્રકરણે સેલ્સ ટૅક્સ અધિકારી સહિત 17 જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

એસીબીના અધિકારીના જણાવ્યા મુજબ કથિત કૌભાંડ ઑગસ્ટ, 2021થી માર્ચ, 2022 દરમિયાન મઝગાંવના જીએસટી ભવન ખાતે થયું હતું. આ પ્રકરણે સેલ્સ ટૅક્સ અધિકારી અમિત ગિરિધર લાળગે (44) અને 16 વેપારી સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા અને છેતરપિંડી, ઠગાઈ સંબંધિત ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ફરિયાદ અનુસાર કથિત કૌભાંડ કરવામાં આવ્યું તે સમયાગાળામાં સેલ્સ ટૅક્સ અધિકારી લાળગે પાસે જીએસટીના ઘાટકોપર ઝોન, નોડલ-11નો ચાર્જ હતો. તે સમયે 16 વેપારીએ બનાવટી ભાડા કરારપત્રો રજૂ કરીને જીએસટી નંબર્સ મેળવ્યા હતા. બાદમાં આ વેપારીઓએ જીએસટી પેટે સરકારને કોઈ ટૅક્સ ભર્યો ન હોવા છતાં તેમણે 175.93 કરોડ રૂપિયાના ટૅક્સ રિટર્ન માટે 39 અરજી કરી હતી.

પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે અધિકારી લાળગેએ આ અરજીઓની ઇરાદાપૂર્વક તપાસ કરાવી નહોતી. ઉપરાંત, આ કરદાતાઓ બોગસ હોવાની નોંધ જીએસટી પોર્ટલ પર હોવા છતાં લાળગેએ આંખ આડા કાન કર્યા હતા. વેપારીઓની અરજીઓ નામંજૂર કરવાને બદલે પોતાના પદનો દુરુપયોગ કરીને વેપારીઓ સાથેની સાઠગાંઠથી કથિત કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.

આ કૌભાંડમાં ખોટા અહેવાલ રજૂ કરીને વેપારીઓને ટૅક્સ રિટર્ન પેટે કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ રીતે સરકારને 175.93 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. એસીબી દ્વારા આ પ્રકરણની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…