Fri May 01 2026

Logo

કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટની મોટી રાહત બદનક્ષી કેસમાં આગોતરા જામીન મંજૂર

2026-05-01 12:45:00
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરામાની પત્ની રિંકી ભૂયાન સરામા બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અને નેતા પવન ખેડાને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ખેડાના આગોતરા જામીન મંજુર કર્યા છે. 

સુપૃમ કોર્ટે કોર્ટે પવન ખેડાને તપાસમાં સહકાર આપવા અને સમન્સ પાઠવવામાં આવે ત્યારે પુછપરછ માટે હાજર રહેવા, તેમજ પુરાવાઓ સાથે છેડછાડનો પ્રયાસ ન કરવા નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પવન ખેડાને પરવાનગી વિના દેશ છોડવાની મનાઈ ફરમાવી. 

સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ જસ્ટિસ જેકે મહેશ્વરી અને એએસ ચાંદુરકરની બેન્ચે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ આ આરોપો અને પ્રતિ-આરોપો રાજકીય રીતે પ્રેરિત લાગી રહ્યા છે. કોર્ટે કહ્યું કે આવા સંજોગોમાં, આરોપીને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવાની કોઈ જરૂર નથી.

આદેશમાં કોર્ટે કહ્યું કે, “વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર એક મૂળભૂત અધિકાર છે. કોઈને આ અધિકારથી વંચિત રાખવા માટે વાજબી કારણો હોવા જોઈએ, ખાસ કરીને ત્યારે જ્યારે આસપાસના સંજોગો રાજકીય પ્રભાવ હેઠળ હોય.”

બેન્ચે કહ્યું, "ઉપરોક્ત વિચારણાઓને ધ્યાનમાં રાખીને, અમારું માનવું છે કે ન્યાયી તપાસ સુનિશ્ચિત કરવામાં રાજ્યના હિત અને વ્યક્તિના મૂળભૂત વચ્ચે કાળજીપૂર્વક સંતુલન જાળવવાઈ રહે એ રીતે આ આગોતરા જામીન માટેની અરજીનો નિર્ણય લેવો જોઈએ.”
સુપ્રીમ કોર્ટે પવન ખેડાને જામીનનો ઇનકાર કરતા ગુવાહાટી હાઇકોર્ટના આદેશને રદ કર્યો છે.

કોર્ટે એ પણ નોંધ્યું કે તેણે મુખ્ય પ્રધાનના નિવેદનો સાંભળ્યા છે કે જો તેઓ આ મહિને યોજાયેલી આસામ વિધાનસભાની ચૂંટણી પછી ફરી સત્તામાં પાછા ફરે તો તેઓ શું કરી શકે છે.