વોશિંગ્ટન ડી સી: પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરુ થયા બાદ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરતા ભારતમાં ઇંધણનો પુરવઠો ખોરવાયો છે. યુએસએએ ભારતને એક મહિના માટે રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવાની મંજુરી આપી હતી, હવે યુએસએ જણાવ્યું છે કે આ છૂટ આગળ નહીં વધારવામાં આવે.
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે બુધવારે જણાવ્યું હતું કે રશિયન અને ઈરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદવા પર પ્રતિબંધોમાં છૂટછાટ લંબાવવામાં નહીં આવે. નોંધનીય છે કે યુએસ દ્વારા પ્રતિબંધોમાં આપવામાં આવેલી છૂટછાટનો ભારત મુખ્ય લાભાર્થી હતો. અહેવાલો અનુસાર, પ્રતિબંધોમાં છૂટછાટ મળ્યા બાદ ભારતે રશિયા પાસેથી આશરે 30 મિલિયન બેરલ પેટ્રોલિયમ ખરીદ્યું.
એક પ્રેસ કોન્ફરન્સમાં સ્કોટ બેસેન્ટે કહ્યું, 11 માર્ચ પહેલા દરિયામ રહેલા જહાજોનું પેટ્રોલિયમ ખરીદવાની મંજુરી આપવામાં આવી હતી.
12 માર્ચના રોજ, યુએસ ટ્રેઝરી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ભારતીય રિફાઇનરોને રશિયન ઊર્જા ખરીદવા ૩૦ દિવસની કામચલાઉ છૂટ આપવામાં આવી છે, આગાઉ લોડ કરવામાં આવેલા ટેન્કરો ખરીદી શકાશે.
બાદમાં યુએસએ ઈરાનનું પેટ્રોલિયમ ખરીદવાની પણ 30 દિવસની મંજુરી આપી હતી. જ્યારે રશિયન તેલ ખરીદવાની છૂટછાટ 11 એપ્રિલના સમાપ્ત થઈ ગઈ હતી, જ્યારે ઈરાનનું પેટ્રોલિયમ ખરીદવા પરની છૂટછાટ 19 એપ્રિલના રોજ સમાપ્ત થશે.
ભારત સહિત ઘણાં એશિયન દેશોના પ્રતિબંધોમાં આપવામાં આવેલી છૂટછાટ લંબાવવા માટે યુએસને વિનંતી કરી હતી, હવે યુએસ ટ્રેઝરીનો આ છૂટછાટ આગળ ન વધારવાની જાહેરાત કરી છે.
રિલાયન્સ જેવા ભારતના અગ્રણી રિફાઇનર્સે અગાઉ રોઝનેફ્ટ અને લુકોઇલ જેવા રશિયન સપ્લાયર્સ પાસેથી પેટ્રોલિયમ ખરીદી બંધ કરી દીધી હતી. યુએસએ રશિયાની આ બંને કંપની પર પ્રતિબંધો લગાવ્યા હતાં.