Wed May 06 2026

Logo

મુંબઈથી અયોધ્યા જવું થશે સરળ: PM મોદીએ બે નવી 'અમૃત ભારત એક્સપ્રેસ' ટ્રેનોને આપી લીલી ઝંડી

1 week ago
Author: Mumbai Samachar Team
Article Image

યુપી અને મહારાષ્ટ્ર વચ્ચે રેલ કનેક્ટિવિટીમાં વધારો; વારાણસી-પુણે અને અયોધ્યા-મુંબઈ વચ્ચે દોડશે નવી ટ્રેનો
 
મુંબઈ/વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેનો બનારસથી પુણેના હડપસર અને અયોધ્યાથી મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ વચ્ચે દોડશે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે રેલ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી પુણે (હડપસર) અને અયોધ્યાથી મુંબઈ (લોકમાન્ય તિલક ટર્મિનસ) સુધી બે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ઉત્તર પ્રદેશ માટે આ ટ્રેનો મહત્વપૂર્ણ છે કારણ કે વારાણસી અને અયોધ્યા મુખ્ય આધ્યાત્મિક સ્થળો હોવાને કારણે વાર્ષિક લાખો ભક્તો અહી આવે છે અને મુંબઈ અને પુણે જેવા મહાનગરો સાથે રેલ કનેક્ટિવિટી વધારવાથી પ્રવાસનને વેગ મળવાની અપેક્ષા છે.

રેલવે મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે "બનારસ-હડપસર (પુણે) ટ્રેનથી કાશી વિશ્વનાથ ધામ સુધી પહોંચવામાં સરળતા થશે જ્યારે અયોધ્યા-મુંબઈ વચ્ચે ટ્રેનથી શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર સાથે કનેક્ટિવિટીમાં સુધારો કરશે."

 આ ટ્રેનો ખાસ કરીને દરરોજ અવરજવર કરતા મુસાફરો, પ્રવાસી કામદારો અને બંને રાજ્યો વચ્ચે મુસાફરી કરતા યાત્રાળુઓને લાભ પહોંચાડશે તેવી અપેક્ષા છે. આ ટ્રેનો સીધી કનેક્ટિવિટી આપશે અને ટ્રેન બદલવાની જરૂરિયાતને દૂર કરશે. 

મંત્રાલય અનુસાર, અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો સામાન્ય માણસ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે આરામ અને સુવિધાનું મિશ્રણ છે. બનારસથી ઉપડતી આ ટ્રેન ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ અને ઝાંસી, મધ્યપ્રદેશમાં ભોપાલ અને મહારાષ્ટ્રમાં મનમાડ અને કોપરગાંવ જેવા મહત્વપૂર્ણ સ્ટેશનો પર ઉભી રહેશે.