ઉત્સવ

રાઠોડોના પ્રતાપે શાહજાદો હવે ઔરંગઝેબ વિરોધી થવા માંડ્યો

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૨૫)
પોતાનાથી ખૂબ તાકાતવર શત્રુને માત્ર બળથી નહિ પણ કળથી ય શાંત પાડી શકાય, પાડવો જ જોઈએ. ઔરંગઝેબની પાશવતા અને પાશવી શક્તિ સામે લડી શકાય, હંફાવી શકાય પણ જીતવું – જીવવું મુશ્કેલ છે એ ચાલાક રાજપૂતો સમજી ગયા હતા.

મોગલ સામ્રાજયના ઈતિહાસમાંથી બોધપાઠ લઈને તેમણે શાહજાદાઓને અબ્બાજાન સામે ભીડાવી મારવાનું વિચાર્યું. આમાં મોઅજજમના કેસમાં ન ફાવ્યા તો મિર્ઝા મુહમ્મદ અકબર વિશે વિચાર્યું. આમેય એ ઔરંગઝેબના અમુક નિર્ણયથી નારાજ હતો જ.

આ વ્યૂહમાં રાજા રામસિંહ રતલામે પહેલ કરી. આ શાહનદા સાથે કેશરીસિંહ ચૌહાણ અને દુર્ગાદાસે સંવાદ – સેતુ સાધ્યો ત્યાં જ એક મોટી અડચણ ઊભી થતા થોડો સમય આગળ ન વધી શકાયું.
આ પ્રતીક્ષા ય લેખે લાગવાની હતી
કારણ કે પછીનું પગલું શાહજાદા અકબર તરફથી લેવાયું.

શાહજાદાનો સંદેશ લઈને દૂત રાઠોડો પાસે પહોંચ્યો. ચર્ચા માટે પધારવાનું આમંત્રણ આપવા સાથે ખાતરી અપાઈ કે મહેમાનો સાથે કોઈ જાતની દગાબાજી નહિ જ થાય. એટલું જ નહિ, સાથ, સહકાર અને સમાધાનની ઊભય પક્ષોને લાભકારી એવી ઓફર પણ અપાઈ: પાટવીકુંવર અજીતસિંહને જોધપુરની ગાદી પર બેસાડાશે, ને શાહજાદા
મિર્ઝા મોહમ્મદ અકબરને દિલ્હીમાં તખ્તનશીન કરાશે.

સ્વાભાવિક છે કે આ ઓફર બન્ને પક્ષને સ્વીકાર્ય અને મનગમતી હતી. રાઠોડોને વિશ્ર્વાસ અપાવવા માટે શાહજાદાએ કુર્રાન પર હાથ મૂકીને સોગંદ લીધા. તો રાઠોડોએ બાદશાહ ઔરંગઝેબની સેના પર હુમલામાં સાથે રહેવાનું વચન આપી દીધું.

એ સમયના રાજકારણમાં આ બહું મોટો અને અકલ્પનીય વ્યૂહ હતો. પરંતુ આટલી મોટી વાત છૂપી ક્યાં સુધી રહે? એકમેકના લશ્કરમાં અને વિશ્ર્વાસુઓમાં ભાઈ-ભાઈ અને બાપના જાસુસ પણ હોય.
શાહજાદા મોઅજજમે તરત અકબરને ચેતવણી આપી કે રાજપૂતોથી સો ગામનું અંતર જાળવજે. એટલું જ નહિ તેણે ઔરંગઝેબને ય સંદેશો મોકલી દીધો કે અકબરને ફોસલાવીને રાજપૂતો પોતાના પક્ષે ખેંચી રહ્યાં છે. પરંતુ ઔરંગઝેબે એની ચેતવણીને સાચી ન માની કારણ કે એને અકબર પર સંપૂર્ણ વિશ્ર્વાસ હતો ને મોઅજજમ પર ભારોભાર અવિશ્ર્વાસ. કેવી વિચિત્ર છે આ વિશ્ર્વાસ – અવિશ્ર્વાસની ભ્રમણા.

જે નિયતિમાં લખાયું હતું એ થવાની શરૂઆત થઈ ગઈ. જોધપુરમાં શાહજાદા મિર્ઝા
મુહમ્મદ અકબરની પધરામણી થઈ. એની
સાથેની ચર્ચામાં દુર્ગાદાસ રાઠોડ ઉપરાંત અનેક સરદાર જોડાયા. એમનો જોશ જોઈને અકબરને કલેજે ટાઢક થઈ. એને પોતાના નિર્ણય પર ગર્વ થયો.
આ બેઠકની ફળશ્રુતિ ઝડપભેર નજરે પડવા માંડી. ઔરંગઝેબના ત્રણેક હજાર મનસબદારોને જેલ ભેગા કરી દેવાયા. એટલું જ નહિ, શાહજાદા પ્રત્યેની વફાદારી સ્પષ્ટપણે વ્યક્ત ન કરનારાઓને પણ સળિયા પાછળ ધકેલી દેવાયા.

રાઠોડોને ખિલઅત (શાહી સન્માન તરીકે પોશાક), તલવાર, અશ્ર્વો અને હાથી અપાયા. સાથોસાથ આ સંધિને સફળ બનાવવામાં સિંહફાળો આપનારા પોતાના વિશ્ર્વાસુ તહવ્વર ખાનને પણ શાહજાદાએ માન-અકરામ-ઈનામથી બિરદાવ્યો હતો.

પરંતુ ઔરંગઝેબ આ બધુ જાણીને
ગુસ્સામાં કંઈક આકરું પગલું ન ભરી લે એટલે શાહજાદા ગજબનાક ચાલ રમ્યો. તેણે સંદેશો મોકલાવ્યો કે હું પોતે રાઠોડ આગેવાનને
લઈને આપની પાસે ન આવું અને આપની માફી ન માગી લઉં ત્યાં સુધી આ લોકો આપણી સાથે જોડાવા ઈચ્છુક નથી. ભૂતકાળમાં થયેલી દગાબાજીથી આ લોકો હવે કોઈ જોખમ લેવા માગતા નથી.
આ સંદેશાથી ઔરંગઝેબ શાંત પડ્યો કે નહિ પણ શાહજાદા મિર્ઝા મુહમ્મદ અકબરના મનમાં કંઈક ભળતું જ રંધાતું હતું. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza