અમદાવાદઃ રાજકોટની એઈમ્સ હૉસ્પિટલના ઈન્ટર્ન ડોક્ટર રતન મેઘવાલે રેલવે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કર્યો હતો. આ કેસમાં પાંચ મેડિકલ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી. એમબીબીએસનો અભ્યાસ કરતા રતને પોતાની સ્યૂસાઈડ નોટમાં આ પાંચ વિદ્યાર્થી અને એક મહિલા મિત્રના કથિત માનસિક અને શારીરિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. મૃતકે અગાઉ બે વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પણ બહાર આવ્યું હતું. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર હાલ પોલીસે કોર્ટના આદેશ મુજબ પાંચ ઇન્ટર્ન ડોક્ટર્સને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અગાઉ રતને 28મી જાન્યુઆરીએ પારાપીપળીયા ફાટક પાસે આપઘાત કરવાની કોશિશ કરી હતી. ગ્રામજનોએ તે સમયે તેને બચાવી લીધો હતો અને ત્યારબાદ તેનું કાઉન્સેલિંગ થયું હતું. જોકે તે પોતાને વતન રાજસ્થાન ચાલી ગયો હતો.
યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું બહાર આવ્યું હતું. હવે તેની સ્યૂસાઈડ નોટને આધારે પોલીસે કાર્યવાહી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.