અમદાવાદઃ જૂનાગઢ શહેર ભક્તકવિ નરસિંહ મહેતાની નગરી તરીકે ઓળખાય છે, પરંતુ કોઈ વિકૃત કે અસામાજિક તત્ત્વો દ્વારા અહીંના ગિરનાર દરવાજા પાસે આવેલી એક પ્રતિમાને ખંડિત કરવામાં આવી હોવાના ધિક્કારને પાત્ર સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. અહીં ઊભેલી મોટી પ્રતિમાનો એક હાથ કોઈએ ખંડિત કરી નાખ્યો હતો.
નરસિંહ મહેતા સ્ટેચ્યુ ટ્રસ્ટ દ્વારા ૧૯૮૩માં સ્થાપિત કરાયેલી આ પ્રતિમા ૪૮ કલાકથી વધુ સમયથી ખંડિત હાલતમાં છે, અને ટ્રસ્ટે હવે તેનું સમારકામ કરવાનું નક્કી કર્યું છે.
આ અંગે ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે ખંડિત ભાગને ફરીથી જોડવો કે પછી નવો જ બનાવવો તે અંગે કારીગર સાથે વાતચીત કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. હાલમાં તૂટેલો ભાગ પોલીસ સ્ટેશનમાં છે અને આગળની કાર્યવાહી થઈ રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે આ પ્રતિમા મૂળ ગિરનાર દરવાજા સર્કલ પર નરસિંહ મહેતાના વારસાની યાદમાં સ્થાપિત કરવામાં આવી હતી, કારણ કે જૂનાગઢને નરસાઈયાની ભૂમિ માનવામાં આવે છે. આ સ્થાન જાણી જોઈને પસંદ કરવામાં આવ્યું હતું, કારણ કે નરસિંહ મહેતા દામોદરકુંડમાં સ્નાન કરવા માટે દરરોજ આ માર્ગ પરથી પસાર થતા હોવાનું માનવામાં આવે છે.
દરમિયાન, રહેવાસીઓએ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે સર્કલની આસપાસ યોગ્ય લાઇટિંગ અને સુરક્ષાના પગલાં લેવાની માગણી કરી હતી. ઈતિહાસ અનુસાર ૧૫મી સદીના પ્રખ્યાત ભક્ત કવિ નરસિંહ મહેતાએ તેમના જીવનનો લાંબો અરસો જૂનાગઢમાં વિતાવ્યો હતો, જે તે સમયગાળા દરમિયાન ભક્તિનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. અહીં તેમણે ભગવાન કૃષ્ણને સમર્પિત ઘણા ભજનો અને ભક્તિ કવિતાઓની રચના કરી હતી. અહીં નરસિંહ મહેતાનો ચોરો પણ એક ખૂબ જ પ્રસિદ્ધ સ્થળ છે જ્યાં નરસિંહ મહેતા ભક્તિમાં લીન થતા અને ભજનકીર્તન કરતા હતા.