કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારની રચના સાથે જ ગેરકાયદે ઘૂસણખોરી મુદ્દે કડક એક્શન લેવાની શરૂઆત થઇ છે. જે અંગે સીએમ સુવેન્દુ અધિકારીએ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સરહદ પર વાડ કરવા અને સુરક્ષા માળખા માટે બીએસએફને જમીન સોંપી છે. જેની શરૂઆત 27 કિલોમીટરના એક પટ્ટાની સોંપણી સાથે થઇ છે. તેમજ રાજ્યની સરહદની સુરક્ષા માટે જરૂર પડશે તો વધુ જમીન સોંપવામાં આવશે.
ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદને સુરક્ષિત કરાશે
બીએસએફને જમીન સોંપવા અંગેની બેઠકને સંબોધતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા રાજ્યમાં સરહદ સુરક્ષા વધારવા માટે એક મોટી પહેલની શરૂઆત છે. તેમણે કહ્યું, આ જમીન બે અઠવાડિયામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સને સોંપવામાં આવશે. જેમાં શરૂઆતમાંભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર 27 કિલોમીટરના વિસ્તારમાં આવતી જમીન સોંપવામાં આવી રહી છે.
લગભગ 600 કિલોમીટરમાં વાડ બાકી
તેમણે કહ્યું, પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ સાથેની કુલ 2,200 કિલોમીટર લાંબી સરહદમાંથી આશરે 1,600 કિલોમીટર પહેલાથી જ વાડ કરવામાં આવી છે. જ્યારે લગભગ 600 કિલોમીટરમાં વાડ બાકી છે. તેમણે વધુમાં ઉમેર્યું, જ્યાં પણ વાડ અને સરહદ સુરક્ષા માટે જમીનની જરૂર પડશે અમે બીએસએફને સોંપીશું.