ચંદીગઢ: દેશમાં NEET 2026 પરીક્ષાનું પેપર લીક થયા બાદ 21 જૂનના રોજ તેની પુન: પરીક્ષા યોજાવાની છે. જેના પગલે પંજાબ સરકારે રાજ્યમાં નીટની પરીક્ષા આપી રહેલા તમામ વિદ્યાર્થીઓ માટે 20, 21 અને 22 જૂને પંજાબ રોડવેઝની તમામ બસોનું ભાડું માફ કરવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓને તેમના પ્રવેશ કાર્ડ બતાવશે તો તેમની જોડેથી કોઈ ભાડું લેવામાં આવશે નહીં.
કેજરીવાલે તેમના એક્સ હેન્ડલ પર આ માહિતી શેર કરી
આ અંગે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે તેમના એક્સ હેન્ડલ પર આ માહિતી શેર કરી હતી. જેમાં કેજરીવાલે કહ્યું, વિદ્યાર્થીઓ તમારા સૂચનો પર કાર્ય કરતા, પંજાબ સરકારે 20 થી 22 જૂન સુધી NEET ના તમામ વિદ્યાર્થીઓ માટે બસ સેવાઓ મફત કરવાનો નિર્ણય લીધો છે. હવે, તમારી તૈયારીઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો.
વિદ્યાર્થીઓએ બસ ભાડું માફ કરવા અપીલ કરી હતી
આ અંગે કેજરીવાલે એક્સ પર એક વીડિયો શેર કરતા જણાવ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓએ તેમને બસ ભાડું માફ કરવા અપીલ કરી હતી. કેજરીવાલે નોંધ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓએ ધ્યાન દોર્યું હતું કે ઘણા ગરીબ વિદ્યાર્થીઓ NEET પરીક્ષા આપે છે. તેમજ તેમની પાસે ઘણીવાર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે બસ ભાડા માટે પણ પૈસા નથી હોતા . તેમજ આજે અમે પંજાબમાં છીએ અને મેં મુખ્યમંત્રી ભગવંત માન સાથે આ બાબતે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ આ વિદ્યાર્થીઓ માટે બસ ભાડું માફ કરવાનો નિર્ણય લીધો છે.