લોકસભા ચૂંટણીઃ મુંબઈ કરતા આ શહેરમાં વધુ છે તૃતીયપંથીય મતદાર, જાણો કેટલી?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીકમાં છે દેશમાં તૃતીયપંથીઓને પણ મતદાનનો હક્ક બજાવવાનો સમાન અધિકાર છે અને એટલા માટે જ પુરુષ અને સ્ત્રી ઉપરાંત તૃતીયપંથીઓ માટે અલાયદી શ્રેણી પણ તૈયાર કરવામાં આવી છે અને તેમની સંખ્યા કેટલી છે કેટલા ટકા તૃતીયપંથીઓ મતદાન કરે છે તેની માહિતી પણ રાખવામાં આવે છે.
2024ની લોકસભાની ચૂંટણીમાં પણ તૃતીયપંથીય મતદારોની સંખ્યા બહાર પાડવામાં આવી છે. મહારાષ્ટ્રના આંકડાઓ ઉપર નજર નાંખીએ તો થાણે જિલ્લામાં તૃતીયપંથીય મતદારોની સંખ્યા ગઇ ચૂંટણી કરતાં બમણાં જેટલી વધી હોવાનું જણાયું છે.
અહીં તેમની સંખ્યા થાણે મતવિસ્તારમાં વધીને 1,279 થઇ ગઇ છે. જ્યારે મુંબઈ ઉપનગરમાં તૃતીયપંથીય મતદારોની સંખ્યા 812 છે, જ્યારે પુણેમાં આ સંખ્યા 726 છે. આ સિવાય ગોંદિયામાં 10, ગઢચિરોલીમાં 9, હિંગોલીમાં 7, ભંડારામાં 5 અને સિંધુદુર્ગમાં 1 તૃતીયપંથીય મતદારોની નોંધણી કરવામાં આવી છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ રામટેકથી પીએમ મોદી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ
ઉલ્લેખનીય છે કે 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં તૃતીયપંથીયોને મતદાનનો અધિકાર નહોતો, એટલે કે તેમની માટે કોઇ અલગ શ્રેણી ઊભી કરવામાં આવી નહોતી. જેના કારણે અનેક તૃતીયપંથીઓ મતદાનનો હક્ક બજાવી શકતા નહોતા.
4 એપ્રિલ 2023 સુધી કરવામાં આવી નોંધણી મુજબ રાજ્યમાં કુલ 5,617 હોવાનું જણાયું હતું. આ સંખ્યા રાજ્યમાં 2019ની ચૂંટણી દરમિયાન લગભગ અડધી એટલે કે 02,086 હતી. સૌપ્રથમ 2014માં તૃતીયપંથીય મતદારોની સંખ્યાની ગણતરી કરવામાં આવી હતી અને ત્યારે તેમની સંખ્યા 918 હતી. જે 2019માં વધીને બમણી થઇ 2086એ પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે 2014માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પહેલી વખત તૃતીયપંથીઓ માટે અલાયદી શ્રેણી ઊભી કરીને તેમને મતદાનનો અધિકાર આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જ્યારબાદ તેમને મતદાન કરવાનો હક્ક મળ્યો હતો.