તરોતાઝા

ઘરમાં જાતે બનાવેલાં અથાણાં સ્વાસ્થ્યવર્ધક ગણાય છે

શું આપને ખ્યાલ છે `ખીચડીના ચાર મિત્રો દહીં, પાપડ, ઘી, અથાણું.'

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

ઉનાળાની રજાઓ ચાલી રહી છે. ફળોના રાજા કેરી ખાવાનો આનંદ કાંઈક અલગ જ હોય છે. કેરીનું નામ પડે એટલે રસમધુરી પાકી કેરીનો સ્વાદ મોંમાં આવી જતો હોય છે. તો બીજી તરફ કાચી કેરીની વિવિધ વાનગીઓની મજા માણવામાં આવે છે.

કોઈ કાચી કેરીમાં ફક્ત મીઠું ભેળવીને કટકી ખાવાનું પસંદ કરે છે. તો વળી કોઈ કેરી કાંદાનું કચુંબર ખાવાનું પસંદ કરતાં હોય છે. કાચી કેરીનો બાફલો કે પન્ના પીવાથી ગરમીમાં શરીરને ટાઢક મળી જતી હોય છે. કેરીની ચટણી કે દાળમાં કેરીની ખટાશ સ્વાદને સમૃદ્ધ બનાવી દે છે. ગરમીમાં સ્વાદરસિયાઓ કેરીનો આસ્વાદ માણવાનું કોઈને કોઈ બહાનું શોધી લેતાં હોય છે.

ઉનાળામાં ઘરે ઘરે અથાણું બનાવવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. પ્રત્યેક ગૃહિણી વિવિધ પ્રકારના અથાણાં બનાવવા ઉત્સુક હોય છે. તેનું મુખ્ય કારણ છે અથાણું થાળીમાં ફ્કત ચપટી જેટલું પીરસાયું હોય, પરંતુ તેના સ્વાદની સાથે, સ્વાસ્થ્યવર્ધક ગુણો અઢળક જોવા મળે છે.

દાદી-નાનીની રીતથી અથાણાં બનાવવાની પદ્ધતિ હાલમાં તો મોબાઈલનું એક બટન દબાવતાં સરળતાથી ઉપલબ્ધ છે. તો પ્રશ્ન એ થાય કે અથાણું સ્વાસ્થ્ય માટે ગુણકારી કહેવાય કે નહીં? જી હા, અથાણું પ્રમાણભાન રાખીને ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. ચોકસાઈ ફક્ત એટલી જ રાખવાની કે અથાણું ઘરે સ્વચ્છતાની કાળજી લઈને બનાવવામાં આવ્યું હોય. તેનું મુખ્ય કારણ છે અથાણામાં વપરાતા મસાલામાં વિવિધ સ્વાસ્થ્યવર્ધક ગુણો છુપાયેલા છે. તેથી જ તે શુદ્ધ હોય તે આવશ્યક છે.

ચટપટું અથાણું વરસાદી મોસમમાં તો એક શાકની ગરજ પૂર્ણ કરે છે. અતિથિ ઘરે આવે ત્યારે વિવિધ પકવાનોની સાથે અથાણું પીરસાય તેની ખાસ કાળજી લેવામાં આવતી હોય છે. તેથી જ તો ગુજરાતીમાં કહેવત પડી છે `જેની દાળ બગડી તેનો દિવસ બગડ્યો. તો જેનું અથાણું બગડ્યું તેનું વર્ષ બગડ્યું.’

ઈતિહાસકારના મત મુજબ અથાણું પ્રાચીનકાળમાં ફારસી ભોજનનો હિસ્સો ગણાતું આવે છે. એ સમયે ફળ, શાકભાજીમાં મીઠું, સરકો તેમજ મધ ભેળવીને લાંબા સમય માટે સંગ્રહ કરવામાં આવતું. એવી પણ માહિતી મળે છે. કે અથાણું બનાવવાની પરંપરા ટિગરીસ નદીની ઘાટીમાં ઈસા પૂર્વમાં 3000 વર્ષો પહેલાં શરૂ થઈ હતી.એવું કહેવાય છે કે ત્યાંના લોકો ભારતથી આવેલી કાકડીનું અથાણું બનાવીને ખાતા હતા. પોર્ટુગલ ચિકિત્સકે મીઠું ભેળવેલાં કાજુનું અથાણું બનાવીને તેને અથાણું ગણાવ્યું હતું.

ઉપનામ ભારતમાં અથાણું બનાવવાની શરૂઆત ઈસવીસન 1594માં ગુરૂલિંગા દેસિકાના ક્નનડ પાઠ લિંગપુરાણમાં મળે છે. જેમાં 50 પ્રકારના વિવિધ અથાણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતમાં પકાવ્યા વગર બનાવવામાં આવતાં ભોજનમાં અથાણાનો સમાવેશ થાય છે. તેમાં મુખ્યત્વે 3 પ્રકારની રીતનો ઉપયોગ થાય છે. સરકો, મીઠું તથા તેલ. હાલમાં તો ફળ, શાકભાજી, મૂળિયા તેમજ પાનનો ઉપયોગ અથાણામાં થવા લાગ્યો છે. મદ્રાસમાં એક લેખિકાએ 1 હજાર જાતના અથાણાં બનાવવાનું પુસ્તક બહાર પાડ્યું છે. અમેરિકામાં શરદ ઋતુમાં વાર્ષિક અથાણાંનો દિવસ (એન્યુઅલ પિકલ ડે) ઊજવવામાં આવે છે. 2400 બી.સીમાં મોહન જોદડો સભ્યતામાં અથાણું બનાવવામાં આવતું હતું.

ફળ-ફળાદિ તેમજ શાકભાજીને વધુ દિવસ સુધી ખાવા લાયક બનાવવા માટે મીઠું લગાવીને તેલમાં ડૂબાડૂબ રાખવામાં આવતું. તેમ કરવાનું મુખ્ય કારણ લાંબા સમયના પ્રવાસમાં ભોજનની વ્યવસ્થા ન થઈ શકે ત્યારે અથાણું ઉપયોગી બને. રોમન સમ્રાટ જુલિયસ સીઝર અથાણાંના શોખીન હતા. ઘરમાં જાતે બનાવેલાં અથાણાંના ફાયદા વિશે માહિતી આપવામાં આવી છે. વિટામિન કે, વિટામિન એ, વિટામિન ડી, વિટામિન સી, પ્રોબાયોટિક બેક્ટેરિયા સમાયેલા હોય છે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. મિનરલ્સ તેમજ ખનિજ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે.

અથાણું ભારતની વિવિધ ભાષામાં અલગ-અલગ નામે ઓળખાય છે. જેમ કે મરાઠીમાં લોણચા, તમિળમાં ઉરકાઈ, મલયાલમમાં ઉપપિલ્લુથુ, ક્નનડમાં ઉપપિનકાઈ, તેલગુમાં પચાદી કહેવામાં આવે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે ગુણકારી :
હૃદયરોગને કારણે હાલમાં સૌથી વધુ મૃત્યુ થતાં જોવા મળે છે. અથાણાંના સેવનથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી કરવામાં મદદ મળે છે. વળી તેમાં ઉત્તમ રસો સમાયેલા હોય છે, જે હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી ગણાય છે. જેમ કે લાલ મરચાંમાં કેપ્સાઈસિન, હળદરમાં કરક્યૂમિન, સરસવના તેલમાં તેમજ તલના તેલમાં કૉલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉપયોગી પોષક તત્ત્વ સમાયેલા હોય છે. જે હૃદયના સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે.

ઍન્ટિ-ઓક્સિડન્ટના લાભ
અથાણાંનો ઉપયોગ કરવાથી શરીરને આવશ્યક ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા મળી રહે છે. જે શરીરને ક્ષતિ પહોંચાડતાં ફ્રી રેડિકલ્સનો નાશ કરે છે. આમ અથાણું સ્વાસ્થ્ય માટે ઉપયોગી બને છે.

અથાણાંના ગુણ
વિટામિનથી સમૃદ્ધ : અથાણાંમાં વિટામિન એની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. ચટણીની માત્રા જેટલી થાળીમાં લઈએ તેટલી માત્રામાંતાજું ઘરનું બનાવેલું અથાણું ખાવામાં આવે તો રોગપ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. જેથી શરીરમાં વાયરસ કે બેક્ટેરિયાથી થતાં નુકસાનથી બચી શકાય છે.

એનિમિયાની તકલીફમાં રાહત
શરીરમાં આયર્નની ઊણપને કારણે એનિમિયાની તકલીફ વધતી હોય છે. જેમાં હિમોગ્લોબિનની ઊણપને કારણે શરીર થોડું કામ કરવાથી થાકી જાય છે. અથાણાંમાં આયર્નની માત્રા વધુ હોય છે, જે હિમોગ્લોબિનના સ્તરને વધારવામાં ઉપયોગી બને છે. મીઠાની માત્રા વધુ હોય છે.

વજનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ:
અથાણાંનું સેવન કરવાથી શરીરમાં લુઘતમ માત્રામાં કૅલરીનો સમાવેશ થાય છે. વળી અથાણું બનાવવામાં ઉપયોગમાં લેવાતાં મસાલામાં શરીરમાં વધી ગયેલી ચરબીને ઘટાડવાની મદદ મળે છે. મસાલાનો ઉપયોગ અથાણાંને વધુ ગુણકારી બનાવે છે. જેને કારણે મસાલા તથાં તેલમાંં રહેલી ફેટની માત્રાને નાના નાના ટુકડાંમાં વિભાજિત કરી દે છે. જેને કારણે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. અથાણાંમાં વિટામિન સીનું પમાણ વધુ હોય છે. જે વધુ માત્રામાં કૉલેજન બનાવવામાં મદદ કરે છે. જેને કારણે ત્વચા સ્વસ્થ તેમજ ચમકદાર બને છે. વિટામિન ઈને કારણે ત્વચા જીવનભર સંપૂર્ણ રીતે સ્વસ્થ તેમજ મુલાયમ બની રહે છે.

પાચનતંત્ર મજબૂત બને
અથાણાંના સેવનથી પાચનતંત્ર મજબૂત બને છે. અથાણાંમાં ઉપયોગમાં લેવાતાં રાઈ-મેથીના કુરિયા, હિંગ તથા મરચું સ્વાદની સાથે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. લાંબા સમયથી કબજિયાતની તકલીફ હોય તેમણે પ્રમાણભાનનો ખ્યાલ રાખી અથાણાંનો ઉપયોગ નિયમિત કરવો જોઈએ.

અથાણાંનો મસાલો બનાવવાની રીત
સામગ્રી : 100 ગ્રામ રાઈના કુરિયા, 100 ગ્રામ મેથીના કુરિયા, 100 ગ્રામ લાલ મરચું, 100 ગ્રામ મીઠું, 3 ચમચી હિંગ, 1 ચમચી વરિયાળી, 1 ચમચી અધકચરાં ખાંડેલાં મરી, 5-6 નંગ લવિંગ, 1 મોટો ટુકડો તજ, 25 ગ્રામ હળદર, 200 ગ્રામ હૂંફાળું સરસિયાનું તેલ-અથવા તલનું તેલ.
બનાવવાની રીત : સૌ પ્રથમ રાઈના કુરિયાને સાફ કરીને ધીમા તાપે શેકી લેવાં. મેથીના કુરિયાને સાફ કરીને અલગ શેકી લેવાં. મીઠું શેકી લેવું. વરિયાળી, મરી, તજ-લવિંગ શેકી લેવાં. હવે એક મોટી કથરોટમાં એક પછી એક શેકેલાં રાઈ-મેથીના કુરિયા ગોઠવવા. તેમાં મીઠું તેમજ લવિંગ-મરી-તજ-વરિયાળી મૂકવાં. તેલને હૂંફાળું ગરમ કરી ઠંડું કરવું. નવશેકું ગરમ હોય ત્યારે મરચું, હળદર, હિંગ કથરોટમાં ફેલાવીને ઉપરથી તેલ રેડવું. કથરોટ ઢાંકી દેવી. 10 મિનિટ બાદ મસાલો બરાબર ભેળવી લેવો. કાચી કેરીનું ખાટું અથાણું કે ગુંદા-કેરીના અથાણાંમાં ઉપરોક્ત મસાલો ઉપયોગમાં લઈ શકાય છે. અથાણું પ્રમાણભાન રાખીને નિષ્ણાત ડૉક્ટરની સલાહ સાથે ખાવું આવશ્યક છે. ચોમાસામાં તેમજ ઠંડી-ગરમીમાં અથાણાંનો ચટાકો તન-મનને તાજગી બક્ષે છે. મધ્યમ વર્ગમાં આજે પણ દાદી-નાની-માના હાથના પ્રેમથી બનાવેલાં અથાણાં શાકભાજીની ગરજ પૂર્ણ કરવામાં મદદ કરે છે. આ વર્ષે અથાણું ઘરે બનાવીને તેનો ચટાકો અવશ્ય લેજો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…