Fri Apr 17 2026

Logo

સુરત રેલવે સ્ટેશન પર 30 દિવસનો બ્લોક, મુંબઈ - મહારાષ્ટ્ર જતી આ ટ્રેનો ઉધના સ્ટેશનથી દોડશે

2026-03-27 14:30:00
Author: MayurKumar Patel
Article Image

સુરતઃ રેલવેમાં મુસાફરી કરતાં લોકો માટે કામના સમાચાર છે.  સુરત રેલવે સ્ટેશનના આધુનિકીકરણનું કામ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યું છે. સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે, રેલવે દ્વારા પ્લેટફોર્મ નંબર 2-3 અને 4 વચ્ચે યુ-રૂફ સ્ટ્રક્ચર લોન્ચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ હેતુ માટે, રેલવે વહીવટીતંત્રે 30 દિવસ માટે ટ્રાફિક વર્કિંગ ઓર્ડર જાહેર કર્યો છે, જેના કારણે સુરતથી દોડતી કેટલીક લાંબા અંતરની ટ્રેનોને અસર થશે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કામગીરી 30 માર્ચ, 2026 થી શરૂ થશે અને સતત 30 દિવસ સુધી ચાલશે.

આ સમયગાળા દરમિયાન, મુસાફરોની સુવિધા માટે અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે, કેટલીક ટ્રેનો સુરતને બદલે ઉધના સ્ટેશનથી ચલાવવામાં આવશે.

ટ્રેન વ્યવહાર પર અસર

ટ્રેન નંબર 12935 બાંદ્રા ટર્મિનસ–સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ: 30 માર્ચથી 28 એપ્રિલ, 2026 સુધી આ ટ્રેન સુરતને બદલે ઉધના સ્ટેશન પર ટૂંકાવવામાં આવશે અને ત્યાંથી જ પરત રવાના થશે.

ટ્રેન નંબર 20925 સુરત–અમરાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ: 2 એપ્રિલથી 26 એપ્રિલ, 2026 દરમિયાન દર ગુરુવાર, શુક્રવાર અને રવિવારે આ ટ્રેન સુરતને બદલે ઉધના સ્ટેશનથી ઉપડશે.

ટ્રેન નંબર 20926 અમરાવતી–સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ: 30 માર્ચથી 27 એપ્રિલ, 2026 દરમિયાન દર સોમવાર, શુક્રવાર અને શનિવારે આ ટ્રેન માત્ર ઉધના સુધી જ દોડશે અને ઉધનાથી સુરત વચ્ચે રદ રહેશે.