(અમારા પ્રતિનિધિ તરફથી)
છત્રપતિ સંભાજીનગર: શિવસેનાના વિધાનસભ્ય સંતોષ બાંગરે ફરી એકવાર મહાયુતિ સરકારના કેટલાક પ્રધાનો પર નિશાન સાધતા કહ્યું છે કે વિધાનસભ્યો અને પક્ષના સામાન્ય કાર્યકરોના ફોન ન ઉપાડનારાઓને પોતાને પ્રધાન કહેવડાવવાનો કોઈ અધિકાર નથી.
એક મરાઠી ન્યૂઝ ચેનલ પર તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રધાનોએ ફક્ત પોતાના મતવિસ્તાર સુધી મર્યાદિત ન રહેવું જોઈએ અને તેમણે રાજ્યના દરેક ખૂણામાં જઈને પક્ષ માટે કામ કરવું જોઈએ.
સંતોષ બાંગર રાજ્યના મરાઠવાડા ક્ષેત્રના હિંગોલી જિલ્લાના કળમનુરી વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
તાજેતરમાં, એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બાંગરે રાજ્યના પ્રધાનો પર દુર્ગમ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે પ્રધાનમંડળના કેટલાક સભ્યોને સત્તા માથામાં ‘જતી રહી છે.’
ચેનલને આપેલા તેમના તાજેતરના નિવેદનમાં, તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે પક્ષ કેટલાક લોકોને પ્રધાનપદની જવાબદારી આપે છે, ત્યારે તેઓએ તેમના મતવિસ્તાર સુધી મર્યાદિત ન રહેવું જોઈએ. તેમણે રાજ્યના દરેક ખૂણામાં જઈને પક્ષ માટે કામ કરવું જોઈએ.’
‘પ્રધાનોએ એ પણ જોવું જોઈએ કે અન્ય મતવિસ્તારો અને જિલ્લાઓમાં શું થઈ રહ્યું છે. તેમણે પક્ષના સામાન્ય કાર્યકરો અને વિધાનસભ્યોના ફોન કોલ્સનો જવાબ આપવો જોઈએ. જો તેઓ કોલનો જવાબ નથી આપી રહ્યા, તો તેમને પોતાને પ્રધાન ગણાવવાનો કોઈ અધિકાર નથી,’ એમ પણ બાંગરે કહ્યું હતું.
તેમણે કોઈ પણ પ્રધાનનું નામ લેવાનો ઇનકાર કર્યો હતો.
સંબંધિત પ્રધાનોને સંદેશ પહોંચી ગયો હશે. (શિવસેનાના વડા) એકનાથ શિંદેને કંઈ કહેવાની જરૂર નથી કારણ કે તેઓ જમીન સાથે જોડાયેલા નેતા છે. પ્રધાનોએ આ સંદર્ભમાં એકનાથ શિંદે અને શ્રીકાંત શિંદેને અનુસરવું જોઈએ.