નવી દિલ્હી: યુએસ અને ઇઝરાયલે હુમલો કર્યા બાદથી ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજોની અવરજવર પર નિયંત્રણો મુક્યા છે, ઈરાન તેના મિત્ર દેશો સાથે જોડાયેલા જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની મંજુરી આપી રહ્યું છે. એવામાં સોશિયલ મીડીયા પર એવા દાવા કરવાં આવી રહ્યા હતાં કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરવા ભારતીય વેપારી જહાજો પાકિસ્તાની ધ્વજ લહેરાવી રહ્યા છે.
કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે, ભારતીય જહાજો ઈરાનના સંભવિત હુમલાઓથી બચાવ માટે પાકિસ્તાની ધ્વજનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ હવે આવા દાવાને ધ્યાનમાં લીધા હતાં અને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે.
ભારતના વિદેશ મંત્રાલયની ફેક્ટ-ચેકિંગ બ્રાન્ચે સોશિયલ મીડિયા દાવાઓને સંપૂર્ણપણે ખોટા, પાયાવિહોણા અને વાહિયાત ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર ફેક્ટ-ચેકિંગ એકાઉન્ટે લખ્યું, "ફેક ન્યૂઝ એલર્ટ! સોશિયલ મીડિયા પર આવા ખોટા અને પાયાવિહોણા દાવાઓથી સાવધ રહો."
@MEAFactCheck એ આજે સવારે કરેલી એક પોસ્ટ સાથે "ફેક" સ્ટેમ્પ સાથે ત્રણ વાયરલ પોસ્ટના સ્ક્રીનશોટ શેર કર્યો.
વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ભારતને તેના જહાજોની સુરક્ષા માટે અન્ય કોઈ દેશના ધ્વજની જરૂર નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તાજેતરમાં એક બ્રીફિંગમાં સ્પષ્ટતા કરી હતી કે ભારત ઈરાન અને મધ્યોપૂર્વના અન્ય દેશો સાથે સતત સંપર્કમાં છે. ભારતની સ્વતંત્ર રાજદ્વારી કામગીરીનું પરિણામેં ભારતીય જહાજો કોઈપણ અવરોધ વિના હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે.