નવી દિલ્હી: લોકસભામાં મહિલા અનામત બિલ અને સીમાંકન બિલ અંગે ચાલી રહેલી ચર્ચાનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપી રહ્યા છે. અમિત શાહે જણાવ્યું હતું કે મહિલા અનામત સામે કોઈએ વાંધો ઉઠાવ્યો નથી. પરંતુ ઇન્ડી ગઠબંધનના તમામ સભ્યોએ જો અને પરંતુનો આશરો લઈને તેનો વિરોધ કર્યો છે. તેમજ સીમાંકનનો વિરોધ કરી રહેલા વાસ્તવમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકોમાં વધારાનો વિરોધ કરી રહ્યા છે.
આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે જો કોઈ આ ચર્ચાને ધ્યાનથી સાંભળે તો એ સ્પષ્ટ થાય છે કે કોઈએ મહિલા અનામત અંગેના બંધારણીય સુધારાનો વિરોધ કર્યો નથી. તમામે સમર્થન આપ્યું છે કે તેઓ આ બંધારણીય સુધારાનું સ્વાગત કરે છે. જોકે, ઇન્ડી એલાયન્સના તમામ સભ્યોએ સ્પષ્ટપણે મહિલા અનામતનો વિરોધ કર્યો છે. તેમજ વિપક્ષ બિલને લાગુ કરવાની રીતનો વિરોધ નથી કરી રહ્યું. પરંતુ મહિલા અનામતનો વિરોધ કરી રહ્યો છે.
2029 ની ચૂંટણીઓ મહિલા અનામત સાથે યોજવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો
તેમણે મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ રજૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય દર્શાવ્યો હતો. તેમણે સમજાવ્યું કે આ બિલ રજૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને બંધારણીય સુધારાઓને સમયબદ્ધ રીતે અમલમાં મૂકવાનો છે. જેના દ્વારા 2029 ની ચૂંટણીઓ મહિલા અનામત સાથે યોજવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો છે.
બંધારણની સાચી ભાવનાને અમલમાં મૂકવાનો ઉદ્દેશ
જ્યારે બીજો ઉદ્દેશ એક વ્યક્તિ, એક મત, એક મૂલ્યના સિદ્ધાંતને સમર્થન આપવાનો છે. જે આપણા બંધારણના મૂળમાં રહેલો સિદ્ધાંત છે. તેથી બંધારણની સાચી ભાવનાને અમલમાં મૂકવાનો છે. તેમણે સીમાંકન મુદ્દે પણ સ્પષ્ટતા
કરી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2023ના બિલમાં 2026ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન બાદ મહિલા અનામત લાગુ કરવાની વાત છે. તેમજ વર્ષ 1971માં ઇન્દિરા ગાંધીની સરકાર તેનું નિર્ધારણ કર્યું હતું એટલે કરવું પડ્યું હતું.
મતવિસ્તારમાં દરેક મતનું મૂલ્ય સમાન થઈ જશે
અમિત શાહે સંસદીય બેઠકમાં મતદારોની સંખ્યાની અસમાનતા અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં 127 સંસદીય મતવિસ્તાર છે જ્યાં વસ્તી 20 લાખથી વધુ છે. કેટલાક કિસ્સાઓમાં એક પ્રતિનિધિ 45 લાખ મતદારોની સેવા કરે છે. જ્યારે અન્ય કિસ્સાઓમાં એક પ્રતિનિધિ ફક્ત 6 લાખ મતદારોની સેવા કરે છે. પરિણામે દરેક મતવિસ્તારમાં દરેક મતનું મૂલ્ય એક સમાન નથી. અમિત શાહે વિપક્ષને ખાતરી આપી હતી કે જો તેઓ સીમાંકન માટેની સરકારની પહેલને ટેકો આપે છે તો દરેક મતવિસ્તારમાં દરેક મતનું મૂલ્ય સમાન થઈ જશે.
માતૃશકિત હિસાબ માંગશે
આ ઉપરાંત અમિત શાહે કહ્યું, હું જાણું છું કે જો તમે મત નહિ આપો તો બિલ પસાર નહિ થાય. જોકે આ દેશની મહિલાઓ જોઈ રહી છે કે તેમના માર્ગમાં કોણ અવરોધ બની રહ્યું છે. તમે અહીં હંગામો કરીને છટકી શકો છો. પરંતુ તમારે બહાર તમારે માતાઓ અને બહેનોના ગુસ્સાનો સામનો કરવો પડશે. જ્યારે તમે ચૂંટણી દરમિયાન મત માંગવા જશો ત્યારે માતૃશકિત હિસાબ માંગશે.