Fri Apr 17 2026

Logo

જમશેદપુરની એક નદીમાંથી મળી આવ્યો 226 કિલોનો શક્તિશાળી બોમ્બ, નિષ્ક્રિય કરવા સેના બોલાવવી પડશે

2026-03-20 14:07:00
Author: Vimal Prajapati
Article Image

જમશેદપુરઃ ઝારખંડમાં જમશેદપુરના બહરાગોડામાં આવેલા સ્વર્ણરેખા નદીના તટ પરથી એક શંકાસ્પદ લોખંડની વસ્તુ મળી આવી હતી. આ શંકાસ્પદ વસ્તુ કોઈ ધાતુ નહીં પરંતુ બોમ્બ હોવાનું જાણવા મળતા આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. જ્યારે બોમ્બ સ્કવોર્ડે આવીને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, આ એક શક્તિશાળી બોમ્બ છે.  પહેલા તેને માત્ર સામાન્ય ધાતુનો ટૂકડો સમજી લેવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, આ 226 કિલોનો એક શક્તિશાળી બોમ્બ હોવાના આશંકા વ્યક્ત કરવામા આવી રહી છે.

સ્થાનિક બોમ્બ સ્કવોર્ડ આ બોમ્બને નિષ્ક્રિય નહીં કરી શકે!

મહત્વની વાત એ છે કે, આ બોમ્બ એટલો શક્તિશાળી છે કે, રાંચીથી આવેલી બોમ્બ સ્કવોર્ડ દ્વારા તેને નિષ્ક્રિય કરી શકાય તેમ નથી. રાંચી બોમ્બ સ્કવોર્ડના ઇન્ચાર્જ નંદકિશોર સિંહે જણાવ્યું કે, આ કોઈ સામાન્ય બોમ્બ નથી. તો ખૂબ મોટો છે અને શક્તિશાલી હોય તેવું લાગી રહ્યું છે. આ બોમ્બને નિષ્ક્રિય કરવા માટે વિશિષ્ટ તકનીકો અને કુશળતાની જરૂર છે. સામાન્ય રીતે આવી તકનીક ભારતીય સેના પાસે જ હોય છે. જેથી હવે આ બોમ્બને નિષ્ક્રિય કરવા માટે સેનાની મદદ લેવામા આવશે તેવું લાગી રહ્યું છે. 

તંત્ર દ્વારા આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો

આ મામલાની જાણ થતાં સ્થાનિક તંત્ર દ્વાર આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો અને નાકાબંધી કરી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ આસપાસના ગ્રામીણ લોકોને પણ નિર્દેશ આપી દેવામાં આવ્યાં છે કે, આ વિસ્તારથી દૂર રહેવું, અને કોઈ પણ પ્રકારની છેડછાડ કરવી નહીં. અત્યારે આ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરવામં આવી રહી છે. ખાસ તો લોકોની સુરક્ષાને પહેલી પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. 

બહરાગોરા સર્કલ ઓફિસરે શું કહ્યું?

આ અંગે બહરાગોરા સર્કલ ઓફિસર રાજારામ મુંડાએ જણાવ્યું કે, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, અને આગળની કાર્યવાહી માટે ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન ચાલુ છે. વધુમાં કહ્યું કે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.