ગાંધીનગર : ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યૂનલ (સુધારા) વિધેયક-2026 વિના વિરોધે વિધાનસભા ગૃહમાં પસાર થયું છે. રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કરતાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પ્રશ્નોના ઝડપી અને બિન ખર્ચાળ નિરાકરણ માટે ગુજરાતમાં ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એકટ-2006 અમલી છે.
વર્ષ-2023 માં રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીઓને લગતાં જુદા-જુદા કાયદાઓને એકીકૃત કરી ગુજરાત જાહેર યુનિવર્સિટી અધિનિયમ, 2023 અમલમાં મૂકતાં યુનિવર્સિટીને લગતાં અલગ-અલગ એકટ રદ કરવામાં આવ્યા હતા.
શિક્ષણ પ્રણાલીમાં ન્યાય, જવાબદારી અને કાર્યક્ષમતા વધશે
આ એક્ટ રદ થતાં તે તમામ યુનિવર્સિટી ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ, 2006 ના અધિકાર ક્ષેત્રમાંથી દૂર થયા હતા. જેથી તે તમામ યુનિવર્સિટીને ફરીથી ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એકટના અધિકાર ક્ષેત્રમાં લાવવા માટે અને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં ન્યાય, જવાબદારી અને કાર્યક્ષમતા વધારવા ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ (સુધારા) વિધેયક-2026 ને આજે વિધાનસભા ગૃહમાં વિના વિરોધે પસાર કરવામાં આવ્યું છે તેમ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ વિધેયકનીમાં બીજી જોગવાઈઓ અંગે કહ્યું હતું કે કોઇ અન્ય યુનિવર્સિટીઓને ઉમેરવાની જરૂરિયાત હોય તો તે નોટિફિકેશન મારફત સરકાર તેમની સત્તાની રૂએ ઉમેરી શકે છે તે મુજબ જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ કોઇ યુનિવર્સિટીને રદ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય, તો તે સત્તા સરકાર પાસે ન હોઇ તે બાબતે પણ જોગવાઈ કરવામાં આવી છે.
યુનિવર્સિટીઓની સ્વાયત્તતાને પણ ધ્યાનમાં રાખવામાં આવી
હવે રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેરનામાથી, અનુસૂચિ-1માં નિર્દિષ્ટ કરેલા રાજ્ય વિધાનમંડળના કોઇ અધિનિયમને બાકાત કરી શકશે. આ વિધેયકમાં યુનિવર્સિટીઓની સ્વાયત્તતાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. યુનિવર્સિટીઓને ટ્રિબ્યુનલના અધિકારક્ષેત્રમાં લાવવાથી સેવા સંબંધિત અને સંસ્થાકીય વિવાદોનું નિરાકરણ એક વિશેષ સંસ્થા દ્વારા ઝડપી અને અસરકારક રીતે થઈ શકશે.
નિર્ણયોમાં એકરૂપતા આવશે અને અદાલતો પરનો ભાર પણ ઓછો થશે
આ યુનિવર્સિટીઓને ટ્રિબ્યુનલના અધિકારક્ષેત્ર હેઠળ લાવવાથી નિર્ણયોમાં એકરૂપતા આવશે અને સામાન્ય અદાલતો પરનો ભાર પણ ઓછો થશે તેમ તેમણે ઉમેર્યું હતું.ટ્રિબ્યુનલમાં જવાથી એક ફાયદો એ પણ છે કે પક્ષકારો દ્વારા વકીલ રોકીને અથવા જાતે હાજર રહી રજૂઆત કરી શકાય છે. પ્રાથમિક થી શરૂ કરી યુનિવર્સિટી સુધીની સંસ્થાઓમાં કામગીરી કરતા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓ માટે ઉચિત અને સમયસર ન્યાય મેળવવાનું ટ્રિબ્યુનલ એક ઉચિત માધ્યમ છે.
શૈક્ષણિક ટ્રિબ્યુનલ દ્વારા કુલ 3650 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો
વર્ષ 2014 થી અત્યાર સુધીમાં શૈક્ષણિક ટ્રિબ્યુનલ દ્વારા કુલ 3650 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે અને જે અરજદારને લાભ મળવાપાત્ર હોય તેવા કિસ્સાઓમાં તેઓને લાભો ચૂકવી આપવાના હુકમો કરવામાં આવ્યા છે તેમજ જે કિસ્સામાં લાભ મળવાપાત્ર ન હોય તેવા કિસ્સામાં તેઓની અરજી રદ પણ કરવામાં આવી છે.