Fri Apr 17 2026

Logo

ઈશ્વર કૃપાથી મળે તેમાં સંતોષ માનવો

2026-04-13 11:40:00
Author: Anwar Valyani
Article Image

આચમન - અનવર વલિયાણી

પોતાના પરિશ્રમ અને ઈશ્ર્વર કૃપાથી મળી જાય તેમાં જ પ્રસન્ન તથા સંતુષ્ટ રહેવાનું શીખવું જોઈએ 

એક ઋષિ પોતાના સૌથી પ્રિય શિષ્ય કપિલની સાથે શ્રાવસ્તી નરેશ પાસે ગયા.

-ઋષિને મળીને શ્રાવસ્તીના રાજા ખૂબ જ પ્રસન્ન થયા અને તેમના આદર - સત્કારમાં જોડાઈ ગયા.

*  ઋષિ પોતાના શિષ્ય કપિલ સાથે ઘણા દિવસો સુધી રાજમહેલમાં રોકાયા.

*  આ સમયગાળા દરમિયાન કપિલ રાજમહેલની એક સેવિકાના રૂપ પર મોહી ગયો.

*  તેણે સેવિકા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકયો.

*  સેવિકાએ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. પરંતુ લગ્ન પહેલાં મોંઘાં કપડાં અને ઘરેણાં આપવાની શરત મૂકી.

*  સેવિકાની માગણી બહુ મોટી હતી અને કપિલ આ બધી જ વસ્તુઓ તેને આપવામાં અસમર્થ હતો.

- ઘણાં દિવસો વીતવા છતાં કપિલ મોંઘાં કપડાં કે ઘરેણાં લાવી શકયો નહીં

*  તે સતત વિચારતો કે આ બધું કેવી રીતે મેળવવું?

*  કપિલની મન:સ્થિતિ જાણીને સેવિકાએ આ બધી વસ્તુ મેળવવા માટે એક સરળ ઉપાય જણાવ્યો.

- તેણે કહ્યું કે,

*  પ્રાત: કાળે જે વ્યક્તિ સૌથી પહેલાં શ્રાવસ્તી નરેશનું અભિવાદન કરે છે તેને તેઓ બે સુવર્ણ મુદ્રાઓ આપે છે.

- આ ઉપાય જાણી તેના જીવમાં જીવ આવ્યો.

*  સવારે પોતાની પહેલાં કોઈ શ્રાવસ્તી નરેશને અભિવાદન કરી જશે તો?

*  હું આખી રાત તેમના શયનખંડમાં વિતાવું તો સરળતાથી કોઈની પણ પહેલાં તેમનું અભિવાદન કરી શકું.

- આવું વિચારીને તે રાત્રે જ શ્રાવસ્તી નરેશના શયનખંડમાં પ્રવેશવા જાય છે, પરંતુ દ્વારપાળોએ કપિલને ચોર સમજીને પકડી લીધો.

- સવારે નરેશ સામે કપિલને હાજર કરવામાં આવ્યો ત્યારે કપિલે બધી વાતો જણાવી.

- જેથી પ્રસન્ન થઈને નરેશે તેને મોં માગી વસ્તુઓ આપવાનું વચન આપ્યું.

- કપિલે તેના માટે એક દિવસનો સમય માગ્યો.

- કપિલ વિચારવા લાગ્યો કે બે-પાંચ સુવર્ણમુદ્રાઓ તો બહુ ઓછી છે. તેના કરતાં સો સુવર્ણમુદ્રાઓ માગી લઉં તો! પરંતુ કેટલા દિવસ ચાલશે. તેનાથી તો માત્ર મારાં લગ્ન થશે.

*  પત્ની સાથે આગળનું જીવન કેવી રીતે વિતાવીશ?

*  આખી રાતના મનોમંથન બાદ તેણે આખું રાજ્ય જ માગી લેવાનું વિચાર્યું.

- બીજા દિવસે તે નરેશ પાસે ગયો અને સમગ્ર રાજ્યની માગણી કરી.

*  શ્રાવસ્તી નરેશ નિ:સંતાન હતા.

*  તેઓ પોતાના રાજ્યનો કારભાર સંભાળી શકે તેવી વ્યક્તિની શોધમાં જ હતા.

*  તેમને રાજ્ય સંભાળવા માટે કપિલ એકદમ યોગ્ય લાગતો હતો. તેથી તેઓ પ્રસન્નતાપૂર્વક પોતાનું રાજ્ય કપિલને આપવા માટે તૈયાર થઈ ગયા.

- અને કહ્યું,

*  ‘તેં મારો ઉદ્ધાર કરી દીધો. હું તૃષ્ણારૂપી પાશમાંથી છૂટી ગયો...!’

- આ સાંભળીને કપિલમાં વિવેક જાગ્યો અને તેણે કહ્યું,

- ‘મહારાજ! તમે જે દલદલમાંથી નીકળવા માગો છો, હું તેમાં પડવા માગતો નથી.’

- ત્યાર બાદ મારે કશું જોઈતું નથી. હું સેવિકાના રૂપના મોહમાં પડી ગયો હતો. હવે હું કોઈપણ જાતના મોહમાં પડવા માગતો નથી...!

- ત્યારબાદ શ્રાવસ્તી નરેશની આજ્ઞા લઈને કપિલ પોતાના ગુરુ પાસે ગયો અને બધી જ વાત જણાવી.

- ઋષિએ કહ્યું,

*  ‘બેટા, કામનાઓનો ક્યાંય અંત નથી હોતો, તેથી જેટલું પોતાના પરિશ્રમ અને ઈશ્ર્વરકૃપાથી મળી જાય તેમાં જ પ્રસન્ન તથા સંતુષ્ટ રહેવાનું શીખવું જોઈએ...!’