Loksabha Election: મહારાષ્ટ્રમાં MVA ગઠબંધનમાં બેઠક વહેંચણીનો નિર્ણય અદ્ધરતાલે?

મુંબઈ: લોકસભા ચૂંટણી (LokSabha Election 2024)ની શરણાઇઓ વાગી ગઇ છે છતાં મુરતિયા હજી તૈયાર ન થયા હોવાનું ચિત્ર મહારાષ્ટ્રના રાજકારણમાં ઊભું થયું છે. મહાયુતિએ મહારાષ્ટ્રના અમુક ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે મહાવિકાસ આઘાડીએ પણ ચુનંદા ઉમેદવારોની જાહેરાત કરી છે. પહેલા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે બેઠકોની વહેંચણી માટે હજી મહાવિકાસ આઘાડીને કેટલો સમય લાગશે તે જોવું રહ્યું.
આ ઉપરાંત હજી સુધી મહાવિકાસ આઘાડી (એમવીએ)ના ત્રણેય મુખ્ય પક્ષો કૉંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે બેઠકો માટે ખેંચતાણ ચાલી રહી હોવાની પણ ચર્ચા છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં 18 થી 19 વર્ષના મતદારોની સંખ્યામાં વધારો પણ…
અધુરામાં પૂરું હવે શરદ પવારની એનસીપીએ ઉત્તર-પૂર્વ મુંબઈની બેઠક ઉપર પણ ડોળો નાંખ્યો છે. આ બેઠક ઉપરથી પોતાનો ઉમેદવાર લડે એ માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. શરદ પવાર જૂથના પદાધિકારીઓ આ મામલે વાતચીત કરવા માટે શરદ પવારને પણ મળ્યા હતા.
ઉત્તર-પૂર્વ મુંબઈમાં પાર્ટીનો દબદબો સારો હોવાનું એનસીપીના પદાધિકારીઓએ શરદ પવારને આ મુલાકાત દરમિયાન કહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: કૉંગ્રેસ અમેઠી અને રાયબરેલીથી કોને ઉતારશે?
આ ઉપરાંત, મુંબઈમાં પોતાના પક્ષનું વર્ચસ્વ રાખવા માટે આ બેઠક ઉપરથી લડવું જરૂરી હોવાનું પણ પદાધિકારીઓએ શરદ પવારને જણાવ્યું હતું. શરદ પવારે પણ મહાવિકાસ આઘાડીની બેઠક દરમિયાન આ મુદ્દો ઉઠાવશે, તેવું આશ્ર્વાસન પોતાના પક્ષના કાર્યકરોને આપ્યું હતું.