Good News: મુંબઈને વધુ એક વંદે ભારત ટ્રેન મળવાની શક્યતા

મુંબઈઃ મુંબઈ-મહારાષ્ટ્રને એક પછી એક વધુ વંદે ભારત ટ્રેનની સુવિધા મળી રહી છે ત્યારે આગામી દિવસોમાં વધુ એક વંદે ભારત ટ્રેન મળશે. મુંબઈગરાને વધુ એક એટલે સાતમી વંદે ભારત એક્સપ્રેસ મળે તેવી શક્યતા છે, જેમાં મુંબઈ-પુણે-કોલ્હાપુર રૂટ દોડાવવાની યોજના છે.
સીએસએમટી-પુણે-સોલાપુર રૂટ પર મુંબઈથી પુણેને જોડનારી આ બીજી વંદે ભારત એક્સપ્રેસ હશે. આ ટ્રેનથી મુંબઈ, પુણે અને કોલ્હાપુર વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે કનેક્ટિવિટી વધશે, મુસાફરી ઝડપી અને વધુ સુવિધાજનક બનશે અને આ શહેરોના વિસ્તારોને આર્થિક વેગ મળશે તેવી અપેક્ષા છે.
મધ્ય રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં મુંબઈ અને કોલ્હાપુર વચ્ચેની સૌથી ઝડપી ટ્રેન મહાલક્ષ્મી એક્સપ્રેસ છે, જે ૫૧૮ કિલોમીટરનું અંતર લગભગ ૧૦.૩૦ કલાકમાં કાપે છે. ટ્રેનની એવરેજ સ્પીડ ૪૮.૯૪ કિમિ પ્રતિ કલાક છે. વંદે ભારત તેની શ્રેષ્ઠ ક્ષમતાઓ સાથે મુસાફરીના સમયને નોંધપાત્ર રીતે ઘટાડશે તેવી અપેક્ષા છે, જો કે ચોક્કસ સમયપત્રક હજી નક્કી કરવામાં આવ્યું નથી.
આપણ વાંચો: વડા પ્રધાન મોદી એક સાથે 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે, આ રાજ્યોને જોડશે
પુણે-મિરજ લાઇનને બમણી કરવાથી, હવે ઝડપી ટ્રેન સંચાલન માટે વધુ ટ્રેક ઉપલબ્ધ થશે. જે આ રૂટ પરની હાલની સેવાઓની તુલનામાં સમયની નોંધપાત્ર બચત કરશે. આ વધારા સાથે, મધ્ય રેલવે મુંબઈથી પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન કરશે, જ્યારે પશ્ચિમ રેલવેમાં મુંબઈ અને ગુજરાત વચ્ચે દોડતી બે સેવાઓમાં મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર અને મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ રૂટનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની કુલ સંખ્યા વધીને ૧૧ થશે, જેમાં નાગપુર અને પુણેની હાલની સેવાઓનો સમાવેશ થાય છે. વધુ બે રૂટ નાગપુર-સિકંદરાબાદ અને પુણે-હુબલી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. વંદે ભારત એક્સપ્રેસ, તેની ઝડપ, આરામદાયક અને અદ્યતન સુવિધાઓ માટે વખણાય છે, તે ભારતીય રેલ્વેના આધુનિકીકરણના પ્રયાસોથી મુસાફરોને શ્રેષ્ઠ મુસાફરીનો અનુભવ કરાવે છે.