Election Result: શરદ પવારે ૬૯ પ્રચારસભા ગજાવી પણ…

મુંબઈ: છેલ્લા અનેક દિવસથી રાજ્યમાં ચર્ચાનું કેન્દ્રબિંદુ ઠરેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં. આ ચૂંટણીમાં ભાજપ અને મહાયુતિની સુનામીને કારણે એમવીએ અક્ષરશ: ધૂળ ચાટતી થઇ ગઇ હોવાનું ચિત્ર ઊપસ્યું. ચૂંટણી પહેલાં એમવીએ અને મહાયુતિ વચ્ચે બરાબરની લડાઈ થશે, એવી ચર્ચા હતી.
જોકે એ અપેક્ષા તદ્દન ઠગારી નીવડી હતી. આ વખતની ચૂંટણીમાં શરદ પવારે મહાયુતિ અને ખાસ કરીને ભાજપ વિરુદ્ધ કરેલો પ્રચાર ચર્ચાનો વિષય બન્યો હતો. પ્રચાર માટે શરદ પવારે ૬૯ સભા કરી હતી.
પશ્ચિમ મહારાષ્ટ્રમાં તેમની સભામાં ભારે ભીડ પણ જોવા મળી હતી. આ સભામાં શરદ પવારનું ભાષણ પણ ખૂબ ગાજ્યું હતું. આથી પશ્ચિમ મહારાષ્ટ્રમાં તુતારીના ઉમેદવારો ભારે માત્રામાં જીતશે, એવો અંદાજ સેવવામાં આવી રહ્યો હતો.
આપણ વાંચો: ચૂંટણીનાં પરિણામ
છેલ્લાં પાંચ વર્ષમાં શરદ પવાર એમવીએનો મુખ્ય ચહેરો હતો. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના કરિશ્માને કારણે એમવીએને વિજય મળશે,એવો અંદાજ હતો. બંને નેતાઓએ ભારે પ્રમાણમાં રાજ્ય આખામાં સભા બોલાવી હતી. શરદ પવારે ભાજપના અનેક નેતાઓની ભારે ટીકા પણ કરી હતી. જાતીય અને રાજકીય સમીકરણનો વિચાર કરીને અનેક ઠેકાણે ઉમેદવારોને ઉમેદવારી આપવામાં આવી હતી.
વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં શરદ પવારે ભાજપના બટેંગે તો કટેંગેના એજન્ડા પર હાંસી ઉડાવી હતી. આ ઉપરાંત લાડકી બહીનને કારણે મહાયુતિને મળનારી સહાનુભૂતિ સામે શરદ પવારે મહિલા અત્યાચારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
આ ઉપરાંત, શરદ પવારે પોતાની સભામાં સોયાબીન અને કપાસના મળતા ઓછા ભાવના મુદ્દાને પણ ચગાવ્યો હતો.
મહાયુતિને ટક્કર આપવા માટે શરદ પવારના આ મુદ્દાઓ ઘણા પ્રભાવ પાડી શકશે, પણ રાજ્યની પબ્લિક સમજદાર છે. તેણે આખરે કમળ પર જ પસંદગી ઉતારી હતી.
આપણ વાંચો: હરિયાણા-કાશ્મીરનાં પરિણામો, ભાજપ માટે ચમત્કાર થઈ ગયો