ઈન્ટરવલ

ચોવકનાં પ્રતીકો એ કોઈનું પ્રતિનિધિત્વ કરે છે

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

એક સરસ મજાની ચોવક છે: “સિજ઼ સામૂં થુક ઉડાઈયોં ત અચી પે મોં તે અહીં જે પહેલો શબ્દ ‘સિજ઼’ છે, તેનો અર્થ થાય છે: સૂરજ. અને ‘સામૂં’ એટલે સામે. ‘થુક’નો અર્થ થાય છે: થૂંક, અને ‘ઉડાઈયોં’ એટલે ઉડાડીએં, ‘અચી પે’ જે બે શબ્દોનો સમૂહ છે જેનો અર્થ થાય છે: આવી ને. ‘પે’ એટલે પડે અને ‘મોં તે’ એ બે શબ્દનો સમૂહ છે જેનો અર્થ થાય છે: મોઢા પર. ચોવકનો શબ્દાર્થ છે: સૂરજ સામે થૂંક ઉડાડીએં તો આવીને પછી આપણા મોઢા પર જ પડે. પરંતુ ચોવકનો ભાવાર્થ ઘણો ગહન છે. ચોવક કહે છે કે: જો તાકાત ન હોય તો આપણાથી વધારે બળવાન સાથે વેર બાંધવાથી આખરે આપણને જ નુકસાની થાય છે.

આપણને સૌને અનુભવ હશે કે, કોઈ વાતનો, ઘણા માણસો મહિમા જ ન સમજે! આવા લોકો માટે એક ચોવક પ્રચલિત છે: “સીધી જમાધાર ચંધર ડિસો, ત ચેં પિંઢઈ પ્યો ડિસાંધો! કચ્છમાં રાજાશાહીના સમયથી સીદ્દી લોકો વધારે હતા અને એ ‘જમાદાર’ હોય કે ન હોય પણ કચ્છના લોકો એ દરેક વ્યક્તિને જમાદાર તરીકે જ બોલાવતા! એ શબ્દોનો પ્રયોગ કરીને ચોવક રચાઈ છે.

‘સીધી જમાદાર’ એટલે સીદ્દી વ્યક્તિ. એ માત્ર અહીં પ્રયોગપાત્ર છે. ‘ચંધર’ એટલે ચંદ્ર. ‘ડિસો’નો અર્થ થાય છે જૂઓ. ‘ત’ નો અર્થ અહીં ‘તો’ થાય છે અને ‘ચેં’ એટલે કહે. ‘પિંઢઈ’ શબ્દનો અર્થ છે: પોતે જ. એની સાથે ‘પ્યો’ શબ્દ ઉમેરતાં એ બે શબ્દોનો અર્થ થાય છે: પોતાની મેળે! ‘ડિસાંધો’ એટલે દેખાશે. શબ્દાર્થ છે: સીદ્દી જમાદાર ચંદ્રનાં દર્શન કરો, તો કહે, ઈ પોતાની મેળે જ દેખાશે! પૂછનારનો હેતુ એ હોય છે કે, ચંદ્રનાં દર્શન કર્યાં? પણ પ્રશ્ર્નનો મહિમા સમજવાના બદલે જવાબ મળે છે કે, ‘એ પોતે જ દેખાશે’! મતલબ કે, વાતનો મહિમા જ ન સમજવો. સીદ્દી જમાદાર તો ચોવકમાં માત્ર પ્રતીક જ છે, જે સમાજના ઘણા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે!

જેમની શારીરિક હાલત સારી ન હોય અને તેમ છતાં પણ હાકલા-પડકારા કરતા હોય તેવા લોકો માટે પણ કચ્છીમાં એક ચોવક બહુ પ્રચલિત બની છે. ચોવક છે: “સા સૂંઢે મેં ખણે તો પહેલો શબ્દ છે: ‘સા’ અને તેનો અર્થ થાય છે: શ્ર્વાસ. ‘સૂંઢે’ એટલે મોટો સુંડલો અને તેની સાથે એકાક્ષરી શબ્દ જોડાયો છે: ‘મેં’ જેનો અર્થ થાય છે ‘માં’. બન્ને શબ્દો જોડીએં તો તેનો અર્થ થાય છે: સુંડલામાં! ‘ખણે તો’ એટલે લે છે. શબ્દાર્થ થાય છે! શ્ર્વાસ સુંડલામાં લે છે. આ ચોવક એક કટાક્ષ ઉક્તિ છે. અર્થ આપણે શરૂઆતમાં જ જોઈ લીધો છે: શ્ર્વાસ માંડ લઈ શકે છે અને હાકલા-પડકારા મારે છે!

એક ચોવક છે: “વિંધાણૂં સે મોતી ‘વિંધાણુ’ શબ્દનો અર્થ થાય છે: વિંધાવું. એ શબ્દ સાથે પણ એક એકાક્ષરી ‘સે’ શબ્દ જોડાય છે ત્યારે તેનો અર્થ થાય છે: ‘જે વિંધાણું તે’. ‘મોતી’ એટલે મોતી. શબ્દાર્થ છે: જે વિંધાણું તે મોતી. મોતી એને કહેવાય કે જેને સરળતાથી વિંધી શકાય. પણ ચોવકને કહેવું એમ છે કે: જે કામ સમયસર થાય તેને જ કામ કર્યું કહેવાય!

જીવનમાં કામનું મહત્ત્વ વધારે છે. કામ કર્યા વગર કમાણી ન થાય. કમાણી ન થાય તો આજીવિકાનો સવાલ ઊભો થાય. બાપ-દાદાનું કમાયેલું જ ખાવા માંડીએ, કે વાપરવા માંડીએ તો તિજોરીનું તળીયું જ દેખાય! એટલે અકર્મી લોકો માટે ચોવક બની છે: “વિઠે-વિઠે ખાધે જાગ઼ીરું ખુટી પે ‘વિઠે-વિઠે’ એટલે બેઠાં-બેઠાં. ‘ખાધે’નો અર્થ થાય છે: ખાવાથી. ‘જાગ઼ીરું’નો અહીં અર્થ થાય છે: વૈભવ અને ‘ખુટી પે’ એટલે ખુટી પડે. ‘પે’ એટલે પડે. મૂળમાં ચોવક જીવનમાં કામનું મહત્ત્વ જ દર્શાવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…