સૌરાષ્ટ્રની કાયાપલટઃ ગુજરાત સરકારે વિકાસલક્ષી કામકાજ માટે 247 કરોડ મંજૂર કર્યાં
![Chief Minister's in-principle approval: For development works in Saurashtra Rs. 247.92 crores sanctioned](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/Bhupendrabhai-Patel-Chief-Minister-of-Gujarat.webp)
રાજકોટ: રાજ્યના મહાનગરો-નગરોમાં માળખાકીય સુવિધાના વિકાસથી લોકોની સુવિધામાં વધારા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટ અને અન્ય નગરો ગોંડલ, ભાવનગર, શિહોર, માળીયા મિંયાણા માટેના વિકાસના કામો માટે કુલ રૂ. 247.92 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે.
રાજકોટમાં બનશે ચાર નવા ફલાયઓવર બ્રિજ:
મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાય ઓવર બ્રિજ ઘટક અંતર્ગત મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર નિર્માણની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં કુલ 185.79 કરોડના ખર્ચે રાજકોટમાં રાજકોટમાં કટારીયા ચોકડી પર અંડરબ્રિજ અને ફ્લાય ઓવર બ્રિજના ફેઝ-૨ નું કામ, રૈયા ગામથી સ્માર્ટ સિટીના ડી.પી. રોડ પર વોકળા બ્રિજ નિર્માણ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર કટારીયા ચોકડીથી સ્માર્ટ સિટી જતા રોડ પર ત્રણ બ્રિજના વાઈડનીંગ કામ તેમજ ખોખળ દળ નદી ઉપર કોઠારીયા તથા લાપાસરીને જોડતા માર્ગ પર હાઇ લેવલ બ્રિજ બનાવવાના કામોનો સમાવેશ થાય છે.
અન્ય નગરોને ફાળવાઈ આટલી રકમ:
મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરપાલિકાના ફ્લાય ઓવરના કામો સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, શિહોર, ગોંડલ અને માળિયા-મિયાણા માટે પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી વિકાસ કામો માટેની રકમને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં મેઘમહેર : જુનાગઢ અને કોડીનારમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ
શહેરી વિકાસ વિભાગની દરખાસ્તોમાંથી ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના નવ ગામો પૈકીની સૂચિત નગર યોજના ૩૧ અને વરતેજ ગામતળના વિસ્તારની ભૂગર્ભ ગટર યોજના માટે તેમણે 45.69 કરોડ રૂપિયા ફાળવવાની અનુમતિ આપી છે.
શિહોર નગરપાલિકામાં ટાઉનહોલ બનાવવા માટે રૂ. 8.31 કરોડના કામોની સિદ્ધાંતિક મંજૂરી આપી છે. સાથે જ ગોંડલ નગરપાલિકાને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નિર્માણ માટે રૂ. 6.92 કરોડના કામો મંજૂર કર્યા છે.
માળિયા-મિયાણા નગરપાલિકાને સી.સી. રોડ બનાવવાના 4 કામ માટે રૂ. 2 કરોડના કામોની સિદ્ધાંતિક મંજૂરી પણ મુખ્યમંત્રીએ આપી છે.