
વોશિંગ્ટન ડીસી: આજે પાકિસ્તાને ફરી ભારત પર કાયરતાપૂર્ણ ડ્રોન હુમલો કર્યો છે, ત્યાર બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમરજન્સી બોલાવી છે. ભારત પાકિસ્તાન સામે વળતી કાર્યવાહી શરુ કરી શકે છે. એવામાં અમેરિકા બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વ્હાઇટ હાઉસના એક પ્રેસ બ્રિફિંગમાં જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે બંને દેશો વચ્ચે તણાવ ઝડપથી ઓછો થાય.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે અમેરિકા ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં મધ્યસ્થી કરવાના સક્રિયપણે પ્રયાસો કરી રહ્યું છે. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બંને તણાવ ઓછો કરવાની પ્રક્રિયામાં સામેલ છે.
કેરોલિન લેવિટે જણાવ્યું કે “રાષ્ટ્રપતિ ઇચ્છે છે કે તણાવ શક્ય તેટલી વહેલી તકે ઓછો થાય, તેઓ લાંબા સમયથી ચાલતા આ વિવાદના સ્વભાવથી વાકેફ છે.” લેવિટે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ બંને દેશોના નેતાઓ સાથે સારા સંબંધો જાળવી રાખવા ઈચ્છે છે, અને રુબિયો કટોકટી ઉકેલવામાં મદદ કરવા માટે તેમની સાથે સતત સંપર્કમાં છે.
આપણ વાંચો : ઓપરેશન સિંદૂર બાદ ભારતના સમર્થનમાં આવ્યા ઋષિ સુનક, કહ્યું યોગ્ય કાર્યવાહી