IPL 2025વીક એન્ડ

સ્પોર્ટ્સ મૅન: સીએસકેની નિષ્ફળતા માટે એકમાત્ર ધોની જ જવાબદાર શા માટે?

  • અજય મોતીવાલા

ચેન્નઈ એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી એ માટે માત્ર એન્જિન (માહી) જ કારણરૂપ નથી, તમામ ડબ્બા પણ ડગમગી ગયા છે એનું શું?

પ્રચંડ સૂરજ પણ છેવટે એક દિવસ ઢળતો જ હોય છે. મહેન્દ્રસિંહ ધોની જેવો પ્રચંડ સૂરજ પણ ઉંમર વધવાને લીધે અત્યારે ક્રિકેટ કારકિર્દીના સંધ્યાકાળે છે. એટલે સ્વાભાવિક છે કે આઇપીએલ-2025માં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નું પ્રદર્શન ધાર્યા જેટલું સારું નથી રહ્યું. આ સીઝનમાં સીએસકેની ટીમ એક પછી એક મૅચમાં હારતી રહી એનાં અનેક કારણો છે. ધોનીની નિષ્ફળતા જ એકમાત્ર કારણ નથી. ઘણાને લાગ્યું હશે કે ધોની એકંદરે ફ્લૉપ રહ્યો એટલે જ પાંચ ટાઇટલ જીતનાર સીએસકેએ વળતા પાણી જોવા પડ્યા. જોકે કૅપ્ટન્સીમાં બદલાવ અને રણનીતિમાં અસ્થિરતા જેવાં કારણો મુખ્ય સ્થાને હતાં.

સીએસકેની કૅપ્ટન્સીની જવાબદારી ઋતુરાજ ગાયકવાડને સોંપાઈ હતી, પરંતુ તે ઈજા પામતાં સ્વાભાવિક છે કે નેતૃત્વની જવાબદારી ફરી ધોની પર જ આવી પડી. એક પછી એક પાંચ મૅચના પરાજયને પગલે ધોનીના સુકાન પર બોજ વધી ગયો હતો. આ વખતની સીઝનના ઑલ્ડેસ્ટ ખેલાડી ધોનીએ 43 વર્ષની મોટી ઉંમરે સીએસકેની કૅપ્ટન્સી સંભાળવાની જવાબદારી સ્વીકારી તો લીધી, પણ ટીમની રણનીતિ અને મનોબળમાં ખાસ કોઈ અસર નહોતી જોવા મળી. જોકે એ માટે કોઈ એક ખેલાડીની નિષ્ફળતાનું કારણ નહોતું. ખુદ ધોનીએ સ્વીકાર્યું હતું કે `આ ટીમ મોટી ભાગીદારીઓના અભાવ અને સ્થિતિને સમજવામાં નિષ્ફળ રહી.’

આ પણ વાંચો: સ્પોર્ટ્સ મૅન :પૈસા મળે કરોડોમાં, પણ પર્ફોર્મન્સના નામે મીંડું

આ જ કારણોસર સીએસકેની ટીમ સીઝનમાં પહેલી 10માંથી માત્ર બે મૅચ જીતી શકી હતી.

આ સીઝનમાં સીએસકેની શરૂઆત જ ખરાબ થઈ હતી. પહેલી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે એનો ખરાબ રીતે પરાજય થયો હતો અને એને લીધે એની નબળી બૅટિંગ શરૂઆતથી જ ઉઘાડી પડી ગઈ હતી. બીજી મૅચ દિલ્હી કૅપિટલ્સ સામે હતી અને એમાં પણ સીએસકેની ટીમ અસલ પ્રભાવ પાડ્યા વગર હારી ગઈ હતી. એ પરાજયમાં સૌથી મોટું કારણ એ હતું કે બૅટિંગમાં એનો ટૉપ-ઑર્ડર ફ્લૉપ રહ્યો હતો. ત્રીજી મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રણનીતિમાં ક્ષતિ હોવાને કારણે અને ચોથી મૅચમાં રાજસ્થાન રૉયલ્સ સામે રન બનાવવાની ધીમી ગતિને લીધે હારી ગઈ હતી. પાંચમી મૅચ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ સામે હતી જેમાં સીએસકેનો મિડલ-ઑર્ડર ખુલ્લો પડી ગયો હતો.

લાગલગાટ પાંચ મૅચના પરાજય બાદ છેક છઠ્ઠી મૅચમાં સીએસકેનો લખનઊ સુપર જાયન્ટ્સ સામે વિજય થયો હતો. ખૂબીની વાત એ છે કે જે ધોનીને આ સીઝનમાં સીએસકેની નિષ્ફળતાના મુખ્ય કારણ તરીકે જવાબદાર ગણાવવામાં આવી રહ્યો છે એ જ ધોનીએ એ મૅચમાં પોતાની મૅચ-ફિનિશિંગના કૌશલ્યથી સીએસકેને જીત અપાવી હતી. જોકે આ વિજય સાથે સીએસકે પોતાની હારની હારમાળા સાવ રોકી નહોતી શકી, કારણકે નવી મૅચમાં સીએસકેનો પંજાબ કિંગ્સ સામે અંતિમ ઓવર્સમાં પડેલી વિકેટોને કારણે પરાજય થયો હતો. ત્યાર બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સીએસકેની બોલિંગ સરિયામ નિષ્ફળ રહી હતી.

આ પણ વાંચો: સ્પોર્ટ્સ મૅન : ઇમ્પૅક્ટ ખેલાડીઓના અસરદાર પર્ફોર્મન્સ

એ રીતે, સીએસકે હારની લાંબી હારમાળા બાદ એક જ મૅચ જીત્યા પછી ફરી હારવા લાગી હતી અને પ્લે-ઑફમાં પહોંચવાની એની સંભાવના પર ત્યારે જ પૂર્ણવિરામ લગભગ મુકાઈ ગયું હતું. બીજી રીતે કહીએ તો પ્લે-ઑફ માટેના એના લગભગ બધા દરવાજા બંધ થઈ ગયા હતા. જો બે મૅચમાં સીએસકેએ ચમત્કારિક પ્રદર્શન કર્યું હોત તો એના માટે આશાનું કિરણ ફૂટ્યું હોત. પ્લે-ઑફની સંભાવના નહીં જેવી હતી અને ત્યારે ધોનીના સુકાનમાં ચેન્નઈની ટીમે નવમી મૅચમાં ગુજરાત ટાઇટન્સ (જે હાલમાં પૉઇન્ટ્સ-ટેબલમાં સર્વોચ્ચ સ્થાને છે) સામે ઑલરાઉન્ડ પર્ફોર્મ કરીને અસલ મિજાજ બતાવ્યો હતો અને વિજય મેળવ્યો હતો. જોકે ફરી સીએસકેએ હારવાનું શરૂ કર્યું અને પંજાબ સામેની એ મૅચમાં હારનું સૌથી મોટું કારણ એ હતું કે પંજાબના યુઝવેન્દ્ર ચહલે એમાં હૅટ-ટ્રિક લીધી હતી.

સીએસકે 10માંથી આઠ મૅચ હારી એ માટે 43 વર્ષીય ધોનીનું જ ખરાબ પ્રદર્શન કારણરૂપ હતું એવું નથી. તેણે લખનઊ સામે 11 બૉલમાં આક્રમક 26 રન બનાવીને મૅચને બહુ સારી રીતે ફિનિશ કરી આપી હતી એટલું જ નહીં, તેણે ટીમને શાનદાર જીત પણ અપાવી હતી.

આ પણ વાંચો: સ્પોર્ટ્સ મૅન: ટીમ ઇન્ડિયાના ઇંગ્લૅન્ડ-પ્રવાસ માટેની ટીમ જાહેર કરશો, પણ ક્યારે?

ધોનીની અપૂરતી ફિટનેસ અને મર્યાદિત ફટકાબાજીને લીધે સીએસકેની ટીમે પરાજય જોવા પડ્યા એવું નથી. સમગ્ર ટીમની નિષ્ફળતા પણ કારણરૂપ છે. ટૉપ-ઑર્ડરમાં રચિન રવીન્દ્ર અને ડવૉન કૉન્વે સરિયામ નિષ્ફળ રહ્યા. તેઓ મોટી ભાગીદારીઓ નહોતા કરી શક્યા અને પછી રાહુલ ત્રિપાઠી તથા શિવમ દુબે પણ જોઈએ એવું ન રમ્યા. રવીન્દ્ર જાડેજા અને આર. અશ્વિન પ્રભાવ નહોતા પાડી શક્યા. મુખ્ય કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ શરૂઆતના તબક્કામાં ઈજા પામતાં સીએસકેની ગાડી પ્રારંભથી જ ખડી પડી હતી અને પછી અનેક કોશિશ કરવા છતાં ગાડી પાછી પાટા પર ન આવી શકી. થોડી ચૂક તો ટીમ-મૅનેજમેન્ટની પણ કહેવાય. રાજસ્થાન સામેની મૅચમાં ધોનીને છેક સાતમા ક્રમે બૅટિંગમાં મોકલવાનો નિર્ણય ચર્ચાસ્પદ હતો. કારણ એ છે કે ત્યાં સુધીમાં તો મૅચમાં કમબૅક કરવાની સીએસકેના હાથમાંથી તક છીનવાઈ ચૂકી હતી.

ધોનીને વારંવાર સ્નાયુઓનો દુખાવો થયો હોવાથી આ સીઝનમાં તે લગભગ અડધો ફિટ છે એમ પણ કહી શકાય.
ટૂંકમાં, 2025ની સીઝનમાં સીએસકેની નિષ્ફળતા ફક્ત ધોનીને કારણે નહીં, ટીમના અનેક ખેલાડીઓના નબળા પર્ફોર્મન્સને લીધે રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button