આજે સંસદના વિશેષ સત્રના ત્રીજા દિવસે મહિલા અનામત બિલ એટલે કે નારી શક્તિ વંદ બીલ પર ચર્ચા થઇ રહી છે. ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ નવી સંસદમાં મળેલી બંધારણની નકલ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ નકલમાં બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી-સેક્યુલર શબ્દ હટાવી દેવામાં આવ્યા છે.
અધીર રંજન ચૌધરીએ કહ્યું કે બંધારણની જે નવી નકલો અમને 19 સપ્ટેમ્બરે આપવામાં આવી હતી, જે અમે અમારા હાથમાં પકડીને નવા સંસદભવનમાં પ્રવેશ્યા હતા, તેની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી સેક્યુલર’ શબ્દ નથી. તેમણે કહ્યું કે આપણે જાણીએ છીએ કે આ શબ્દો 1976માં એક સુધારા પછી ઉમેરવામાં આવ્યા હતા, પરંતુ જો આજે કોઈ આપણને બંધારણ આપે છે અને તેમાં આ શબ્દો નથી, તો તે ખૂબ જ ચિંતાનો વિષય છે. નેતાએ કહ્યું કે તેમણે આ વાત રાહુલ ગાંધીને પણ કહી છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો તમે હવે કંઈક કહેવાનો પ્રયત્ન કરશો તો તેઓ કહેશે કે શરૂઆતમાં જે હતું તે આપવામાં આવી રહ્યું છે. ચૌધરીએ કહ્યું કે, પરંતુ તેમનો ઈરાદો અલગ છે. તેમણે કહ્યું કે અમે ચિંતિત છીએ. આપણને જે બંધારણ આપવામાં આવ્યું છે તેમાંથી સમાજવાદી-સેક્યુલર શબ્દોને ચાલાકીપૂર્વક કાઢી નાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ અમારા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. મેં આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મને તક મળી નહીં.