ટોપ ન્યૂઝનેશનલ

મણીપુરના ચુરાચંદપુરમાં આજથી સંપૂર્ણ બંધનું એલાન, આદિવાસી સંગઠનોએ આપ્યું અલ્ટીમેટમ

મણિપુરમાં સ્થિતિ ફરી એકવાર બગડી રહી છે. મેઇતેઈ સમુદાયના બે વિદ્યાર્થીઓની હત્યા બાદ લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓએ ચાર આરોપીઓની પણ ધરપકડ કરી હતી. ઈન્ડીજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) અને અન્ય આદિવાસી સંગઠનો હત્યા કેસમાં ચાર આરોપીઓની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે અને આ સંગઠનોએ આજે 2જી ઓક્ટોબર સોમવારના રોજ સવારે 10 વાગ્યાથી ચૂરાચંદપુર જિલ્લામાં સંપૂર્ણ બંધનું એલાન કર્યું હતું.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એઆઈએ) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા બે સગીર સહિત કુકી સમુદાયના લોકોની ધરપકડના જવાબમાં વિવિધ નાગરિક સમાજ સંગઠનોની સંયુક્ત બેઠક ચુરાચંદપુરમાં યોજાઈ હતી. આ પછી નિર્ણય લેવામાં આવ્યો કે 2 ઓક્ટોબર, 2023ના રોજ સવારે 10 વાગ્યાથી અનિશ્ચિત સમય માટે બંધ રહેશે. આ સંસ્થાઓના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક દરમિયાન અનેક દરખાસ્તો પણ કરવામાં આવી હતી.

આ બેઠકમાં દરમિયાન બંધ ઉપરાંત જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમને જલ્દી મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. એનઆઈએ અને સીબીઆઈને ઔપચારિક રીતે 48 કલાકની અંદર સાત લોકોને મુક્ત કરવા વિનંતી કરવામાં આવી છે. જો આમ કરવામાં નહીં આવે તો, નાગરિક સમાજ સંગઠનોએ મણિપુરના તમામ પહાડી જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી આપી હતી.

એનઆઈએએ શનિવારે મ્યાનમાર અને બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠનો દ્વારા ભારત સરકાર સામે યુદ્ધ કરવા માટેના આંતરરાષ્ટ્રીય કાવતરાને લગતા કેસમાં ચુરાચંદપુરના પહાડી જિલ્લામાંથી 51 વર્ષીય વ્યક્તિની પણ ધરપકડ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button