જો નકલી શિવસેના કોંગ્રેસમાં ભળી જશે તો…: PM મોદીએ વિપક્ષ પર તાક્યું નિશાન
![If the fake Shiv Sena merges with the Congress...: PM Modi targets the opposition](https://bombaysamachar.com/wp-content/uploads/2024/05/Add-a-heading-6.jpg)
મુંબઈઃ લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના પાંચમા તબક્કાનું મતદાન 20મી મેના યોજાશે. પાંચમા તબક્કા પ્રચારાર્થે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મહારાષ્ટ્રની મુલાકાતે છે. મુંબઈની મુલાકાત પૂર્વે ડિંડોરીમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 20મીના કલ્યાણ, મુંબઈ, થાણે, નાશિક, ધુળે, ડિંડોરીની બેઠકો પર મતદાન યોજવામાં આવશે ત્યારે આજે પીએમ મોદીએ ડિંડોરીની સભાને સંબોધતા શિવસેના (યુબીટી) સાથે કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું.
આ પણ વાંચો : કૉંગ્રેસ રામ લલ્લાને ફરી તંબુમાં મોકલવાનું કાવતરૂં ઘડી રહી છે: મોદી
વડા પ્રધાન મોદીએ સભાને સંબોધતા કહ્યું હતું કે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ એટલી ખરાબ રીતે હારી રહી છે કે એમના માટે ‘માન્ય’ વિપક્ષ બનવાનું પણ મુશ્કેલ છે અને એટલા માટે અહીંના નેતાઓ I.N.D.I.A. એલાયન્સના મહારાષ્ટ્રના નેતાઓ છે તેમને તમામ નાના નાના પક્ષો છે, એ પક્ષોને એવી ભલામણ કરી છે કે ચૂંટણી પૂરી થયા પછી કોંગ્રેસ સાથે મર્જર કરે.
તમામ નાના પક્ષોને એક કરવા માટેની એક જ કારણ છે કે ‘માન્ય’ વિપક્ષ બને. નકલી શિવસેના અને નકલી રાષ્ટ્રવાદીનું કોંગ્રેસમાં વિલય થવાનું નક્કી છે. જો વિલય થશે તો મને સૌથી પહેલા યાદ બાળા સાહેબ ઠાકરેની આવશે અને જે દિવસે શિવસેના કોંગ્રેસમાં ભળી જશે એ દિવસે શિવસેના ખતમ થઈ જશે. નકલી શિવસેનાને કારણે બાળા સાહેબના સપનાને ચૂર કર્યા હોવાનું પણ મોદીએ જણાવ્યું હતું.
સભાને સંબોધતા મોદીએ આગળ કહ્યું હતું કે બાળા સાહેબનું સપનું હતું કે અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવાનું હતું. કાશ્મીરમાંથી 370 કલમ દૂર કરવાનું હતું. એ સપનું સાકાર થયું પણ નકલી શિવસેનાએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં સામેલ થયા નહીં. કોંગ્રેસ સાથે શિવસેનાનું વિલય થવો એ ‘પાપની પાર્ટનરશિપ’ છે. કોંગ્રેસના લોકો રામમંદિર માટે જેમફાવે તેમ બોલી રહ્યા છે. હકીકતમાં નકલી શિવસેનાએ કોંગ્રેસને માથે ચઢાવી છે.