ક્લોઝ અપ: ધરતી પરના દૃશ્યમાન દેવદૂત: થેંક્યુ ડોકટરજી!
તબીબ એટલે વ્યવસાય અને સમાજ પ્રત્યે આગવી નિષ્ઠાનું બીજું નામ

– ભરત ઘેલાણી
દક્ષિણ ભારતનાં અનેક સ્થળોએ દેવ ધન્વંતરિનાં મંદિર છે ધન્વંતરિ દેવની પ્રતિમા
1 જુલાઈના આપણે `ડોકટર્સ ડે’ ઉજવીએ છીએ.
તાજેતરમાં આ પહેલી જુલાઈના દિવસે એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારે’ ઐતિહાસિક 203 વર્ષ પૂર્ણ કરી 204મા વર્ષમાં યશસ્વી પ્રવેશ કર્યો એ અવસરે સમાજ પર તબીબોનાં ઋણને સ્નેહભર સ્વીકારમુંબઈ સમાચારે’ આગવી રીતે કર્યો. તબીબી ક્ષેત્રે અનન્ય નિષ્ઠા સાથે પોતાની સેવા આપતા 16 ડોકટરને મુંબઈ સમાચારે'
ધન્વંતરિ અવોર્ડ’ની પ્રતિમા સાથે બિરદાવ્યા અને પ્રત્યેકને શુભેચ્છારૂપી રૂપિયા 25 હજારની ધનરાશિ સાથે વધાવ્યા…!
આમ તો 30 માર્ચના રોજ વિશ્વભરમાં ડોકટર્સ ડે’ની ઉજવણી થાય છે, પણ આપણે ત્યાં પશ્ચિમ બંગાળના સૌપ્રથમ મુખ્ય મંત્રી ડોકટર બિધાનચન્દ્ર રાય,જેવા પ્રખર ચિકિત્સકને એમની સ્મૃતિરૂપે દર 1જુલાઈના યાદ કરીએ છીએ. આ અવસરે તબીબ-ખાસ કરીને ફેમિલી ડોકટરને આપણે મૌખિક કે પછી ગ્રિટિન્ગ કાર્ડ દ્વારાથેક્યુ’ કહીએ છીએ.
આપણા શિક્ષક પાસેથી એ પણ જ્ઞાન મળ્યું છે કે અદૃશ્ય એવા આપણા આરાધ્ય દેવ એકથી વધુ હોય શકે, પણ જગતમાં માત્ર ત્રણ દેવતા જ એવા છે, જેને આપણે નજરોનજર જોઈ શકીએ છીએ..
આ પણ વાંચો: ક્લોઝ અપ: સાયબર સ્પેસમાં થતાં અણધાર્યા અપરાધોનો લેટેસ્ટ એક્સ-રે…
એમાંથી બે તો છે આપણાં જન્મદાતા માતા-પિતા અને ત્રીજા છે અધ્ધર આકાશ-અંતરિક્ષમાં સૂર્યદેવતા કોઈ પણ કાર્ય કામ માટે ઘરની બહાર નીકળીએ તો પહેલાં માતા-પિતાને પગે લાગી-પ્રણામ કરીએ અને પછી ઘર બહાર આવી મોટાભાગના લોકો ગગન તરફ તાંકી-હાથ જોડી (કે પછી) ગરદન ઝૂકાવી મનોમન સૂરજદેવતાના શુભાષિશ લેશે!
જાણે-અજાણ્યે મા-બાપે પણ નાનપણથી આપણામાં એક સંસ્કાર રોપી દીધાં છે કે મદદરૂપ થનારાનો આભાર માનવાનું કયારેય ચૂકવું નહીં અને આવા આભાર માનવાની પંક્તિમાં સૌપ્રથમ આવે છે આપણા તબીબ..
આર્થિક મૂંઝવણમાં મુકાવ ત્યારે સ્વજન કે મિત્ર વહારે-મદદે આવે, પણ જ્યારે શારીરિક કે માનસિક વિપદામાં અટવાઈ જાવ ત્યારે તત્વરાએ આપણો હાથ પહોંચી જાય છે મોબાઈલના કી- પેડ પર અને આ કોલ એવો હોય છે કે જેનો ભાગ્યે જ તમને ઉત્તર ન મળે. અરધી રાતે પણ સામે છેડેથી તમને હૂંફાળો સ્વર સાંભળવા મળે, જેમાં તમારા માટે ચિંતા સાથે ભારોભાર લાગણી પણ છલકાતી હોય. આવી લાગણી વ્યકત કરનારી વ્યક્તિ વ્યવસાયે તબીબ હોય, પણ પછી કાળક્રમે આપણા પરિવારની જ એક અંગત વ્યક્તિ બની જાય, જેને આપણે `ફેમિલી ડોકટર’ કહીએ છીએ. આવો અનુભવ એકલદોકલ નથી હોતો. લગભગ આપણે બધાએ આ અનુભવ્યું છે.
આ પણ વાંચો: ક્લોઝ અપ:એક ચાલ તારી એક ચાલ મારી!
આવી વ્યક્તિ વ્યવસાયિક રીતે તબીબી જ્ઞાનમાં અવ્વલ હોવા ઉપરાંત આપણાં પરિવાર સાથે એવી હળીભળી જાય છે કે આપણી તબિયતની તાસીર ઉપરાંત ઘરના બધાના મિજાજ પણ અદ્લોદલ જાણતી હોય છે. એ શારીરિકની સાથોસાથ આપણી મનદુરસ્તીનું પણ રખોપું કરે છે. સમય જતા આવા તબીબ ઘરના વડીલ પણ બની જાય. ઘરસંસારના પ્રશ્નો વખતે પણ એમનું ડાયાગ્નોસિસ-નિદાન અને નિરાકરણ પણ ઘર-પરિવાર માટે અકસીર નીવડે. આમ નજર સમક્ષ હાજરાહજુર સૂર્ય પછી માતા-પિતા ઉપરાંત ધરતી પણ હાજરાહજૂર દેવદૂત કહો તો એ તમારા તબીબ છે…
બીજી તરફ, આપણાં બ્રહ્મપુરાણ અનુસાર સમુદ્રમંથન વખતે અમૃત કળશ સાથે ભગવાન વિષ્ણુના અવતાર સમા ધન્વંતરિ દેવનું પ્રાગટ્ય થયું હતું. સમુદ્રમંથન વેળાએ અનેક ઔષધિ ઉત્પન્ન થઈ હતી. એ પછી અમૃતનું સર્જન થયું. ત્યારથી એ આપણા પ્રાચીન આયુર્વેદના જન્મદાતા ગણાય છે. એમની ગણના દેવલોકના વૈદ્ય તરીકે થતી. પ્રાચીન શસ્ત્રો અનુસાર ધન્વંતરિ વૈદ્યે જગતભરની હજારો વનસ્પતિઓનું અધ્યન- પૃથકકરણ કરીને એના પ્રભાવ ગુણ તેમજ એની આડ-અસર પર અનેક ગ્રંથ તૈયાર કર્યા હતા, જેના આધારે કાળક્રમે આપણા આયુર્વેદના સિધ્ધાંતોનો ગ્રંથ બન્યો, જેમાંથી જ્ઞાન મેળવી પ્રથમ સુશ્રુત મુનિ અને પાછળથી ચરક જેવા વૈદ્યએ આયુર્વેદ ચિકિત્સાની પરંપરા આગળ વધારી પૌરાણિક ગ્રંથો અનુસાર ધન્વંતરિનો જન્મ’ ઈશુ ખ્રિસ્તના 7 હજાર વર્ષ પૂર્વે ધનતેરસના દિવસે થયો હતો. એમના આયુર્વેદ જ્ઞાન અનુસાર માનવ મૃત્યુના 100 પ્રકાર છે, જેમાંથી એક સમય વીતતાની સાથે થતુંકાળ મૃત્યુ’ છે. બાકીના 99 અકાળ મૃત્યુ આયુર્વેદના સચોટ નિદાન તથા ચિકિત્સા-સારવારથી અટકાવી શકાય-રોકી શકાય!
આ પણ વાંચો: ક્લોઝ અપ: દિલ્હીની વગોવાયેલી તિહાર જેલ: કોણ કોણ અહીં આવ્યાં-રહ્યાં ને ગયાં?!
(એક આડ-વિચાર: ધન્વંતરિ-સુશ્રુત-ચરક જેવાં વૈદ્યાચાર્યોના જીવનકાળ એવા તો રસપ્રદ છે કે એમનાં પર બાયોપિક-વેબ સિરીઝ સરજી શકાય..!)
થોડા સમય પહેલાં વિશ્વવ્યાપી એક સર્વેક્ષણ થયું હતું: કયો વ્યવસાય સૌથી વધુ Trust Worthy એટલે કે વિશ્વાસપાત્ર છે? વિશ્વના અનેકવિધ ક્ષેત્રોના તલસ્પર્શી સર્વેના તારણ અનુસાર 64% લોકો માને છે કે તબીબ ડોકટરનું પ્રોફેશન-વ્યવસાય સૌથી વધુ વિશ્વસનીય છે. એના પછી 61% લોકોને વિજ્ઞાનીઓ પર અને 55% લોકોને શિક્ષક પર વધુ ભરોસો છે અને હા, કાગડા બધે કાળાની જેમ 10% થી પણ ઓછા લોકોને મંત્રી-રાજકારણી-નેતા પર માંડ માંડ વિશ્વાસ બેસે છે! આ સર્વેક્ષણ એમ પણ કહે છે કે રીત-ભાત- શિસ્તની બડી ચુસ્ત આગ્રહી એવી બ્રિટિશ પ્રજાને ડોકટર 73% વિશ્વાસુ લાગે છે. એ જ રીતે, ડચ તથા કેનેડાના લોકોને તબીબ પર 71% ભરોસો બેસે છે. થોડી અંગત વાત કરું તો લાંબો સમય મેડિકલ સ્ટોરમાં કામ કર્યું- મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે પણ કામગીરી બજાવી અને ખુદ બે વાર અતિ જટીલ ઑપરેશનની પ્રક્રિયામાંથી પસાર થયો છું અને વ્યવસાયે વર્ષોથી પત્રકાર હોવાને લીધે એ દરમિયાન, અનેક તબીબો- નિષ્ણાતોના ઘનિષ્ટ પરિચયમાં આવ્યો છું. જીવન મૃત્યુની કટોકટી વેળા ડોકટર કેવા દબાણ હેઠળ નિર્ણય લેતા હોય છે એવી એમની કામગીરી મેં બહુ નજીકથી નિહાળી છે. એમના એક નિર્ણયથી કોઈની જિંદગી ફરી આબાદ બની જતી હોય તેમ કોઈ પરિવારનાં સપનાં પણ રગદોળાય જતાં હોય છે…..એ વખતે સૌથી વધુ મદદરૂપ થઈ હિંમતના ઑક્સિજનનો પુરવઠો પૂરો પાડે છે આપણા ડોકટર-તબીબ.
છેલ્લાં કોવિડ-કોરોનાની મહામારીએ જગતભરમાં તબાહી મચાવી. દુશ્મનના આક્રમણ સામે દેશના સીમાડાની રક્ષા કરવા આપણા સૈન્યના જવાનો જે રીતે શહીદી વહોરે એ જ રીતે આપણા સફાઈ કામદારથી લઈને નર્સ અને ડોકટરોએ મોત સામે બાથ ભીડીને આપણી રક્ષા જે રીતે કરી હતી એની અપૂર્વ ગાથાના આપણે સૌ સાક્ષી છીએ. એ દૃષ્ટિએ દેવી -દેવતાના જીવકરક્ષક એવા વૈદ્યોના સાચુકલા દેવદૂત છે આપણા આ તબીબ!
આ પણ વાંચો: ક્લોઝ અપ: ડોનલ્ડ ટ્રમ્પ ટૅરિફ પર ટૅરિફ…’ પછી અજમાવે છે
આવા અનન્ય આદમીને માત્ર વર્ષના વચલે દિવસે યાદ કરવાથી આપણે એનું ઋણ ફેડી નથી શકતા. એને તો મનોમન આપણે રોજ કહેવું જોઈએ :
`થેંક્યુ ડોકટરજી!’
દાકતરબાબુ એટલે…
- કોઈ તબીબી વ્યવસાય પસંદ કરે છે ત્યારે એ માનવતાને પણ આવકારે છે
- રાતે ઘેર જાવ ત્યારે `આજના દિવસે કંઈ જ ઉપયોગી નથી કર્યું’ એવો નકારાત્મક વિચાર તમને ક્યારેય નહીં આવે -જો તમે વ્યવસાયે ચિકિત્સક હશો તો!
- કોઈને આરોગ્ય પરત આપવા જેવી શ્રેષ્ઠ ભેટ કોઈ ન હોય શકે..અને આવી સોગાદ માત્ર ડોકટર જ આપી શકે..!
- તબીબ પણ કેવા ભાગ્યશાળી હોય છે… એને એક દિવસમાં જેટલાં સારાં કાર્ય કરવાની તક મળે છે તેટલી તક તો કોઈ કર્ણ જેવા દાનવીરને પણ બે-ત્રણ મહિને નથી મળતી!