વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈ: થોડામાં ઘણું-સાદગીની પૂર્ણતા

-હેમંત વાળા

સામાન્ય રીતે એમ થતું આવ્યું છે કે સ્થાપત્યની રચનામાં બિનજરૂરી દેખાવ ક્યારેક મહત્ત્વનો બની રહે છે. આ પ્રકારના દેખાવ માટે મકાન ઉપર એક પછી એક જાણે સ્તર ચઢાવતાં જાય છે. આ પ્રકારની પ્રક્રિયામાં સુંદર દૃશ્ય અનુભૂતિ તો સર્જાય પણ તે દૃશ્ય અનુભૂતિ જાણે કે બહારથી ઉમેરાયેલી વ્યવસ્થા હોય તેમ લાગે. તેની અપેક્ષાએ સ્પેનના બાર્સિલોનામાં 1929માં આયોજાયેલ આંતરરાષ્ટ્રીય પ્રદર્શીની દરમિયાન જર્મન સ્થપતિ મીસ વાન્ડે રોએ એક નવા જ દૃષ્ટિકોણ પર કામ કર્યું. અહીંયા બાંધકામની મૂળ સામગ્રી અને તકનીક થકી જ મકાનની સુંદરતા માટેની વર્ણમાળા સ્થાપિત કરી.

આધુનિક સ્થાપત્ય શૈલીના ત્રણ ધુરંધર સ્થપતિઓ ગણાય છે અમેરિકાના ફ્રેન્ક લોઇડ રાઇટ, ફ્રાન્સના લી કાર્બુઝિયર તથા જર્મનીના મીસ વાન્ડે રો. અમેરિકાના સ્થપતિ રાઈટના સર્જનમાં ક્યાંક પરંપરાગતતાની છાંટ જોવા મળશે. તેમના કામમાં અસર વર્તાય છે પણ તેમના મકાનોના વિગતિકરણની શૈલી પ્રમાણે તે ક્યાંક ભૂતકાળ સાથે જોડાયેલાં રહે છે. તેમની સરખામણીમાં કાર્બુઝિયરે પૂર્ણ ભૌમિતિક આલેખનને વધુ મહત્ત્વ આપેલું.

સાવ જ સાદગી ભરેલી તેમની રચનાઓમાં પાછળથી કંઈક બદલાવ આવેલો અને પોતાની રચનાના પ્રમાણમાં એકધારાપણાથી તેઓ જાણે વિમુખ થયેલાં. તેમની કારકિર્દીના છેલ્લાં તબક્કામાં તેમણે પોતાની રચનાના સિદ્ધાંતો સાથે છૂટછાટ પણ લેવા માંડી હતી. આ બધામાં વાન્ડે રોનું સ્થાપત્ય તથા તેમની શૈલીના મૂળ સિદ્ધાંતો જ્યારે જાણે આજે પણ સાંદર્ભિક જણાય છે.

સ્થાપત્યના ક્ષેત્રમાં તેમનું નામ આજે પણ આદરપૂર્વક લેવાય છે. આ સ્થપતિ એ આધુનિક સ્થાપત્ય શૈલીમાં કેટલાક આગવાં અવિસ્મરણીય નમૂનાઓનું સર્જન કર્યું છે જેની અસર લાંબા સમય સુધી સ્થાપત્યના ક્ષેત્રમાં રહી છે.

સન 1929માં બનાવાયેલ આ જર્મન પેવેલિયન એમ તો સામાન્ય રચના છે. આ મકાન એક રીતે જોતાં મકાન ઓછું અને આધુનિક સામગ્રીમાંથી બનાવાયેલું, આધુનિક વિચારધારા પ્રમાણેનું, તેમાં રહી શકાય એવું શિલ્પ વધારે છે. નાની જગ્યાએ જાણે ખૂણામાં ઊભું હોય, તેમ ઊંચી પ્લીન્થ પર, આજુબાજુની ચહલપહલથી અલાયદું લાગે તેવું, ભવિષ્યની સંભવિત સ્થાપત્ય-શૈલીની સાથેના સેતુ સમાન આ મકાન ખુલ્લું મુકાયા બાદ સમગ્ર પ્રદર્શી પ્રદર્શનમાં મહત્ત્વનો નમૂનો બની રહેલું.

આ મકાન સાથે આમ તો ખાસ કોઈ ઉપયોગીતા સંકળાઈ ન હતી કે નહોતા રખાયાં તેમાં કોઈ પ્રદર્શન માટેના નમૂના. આ મકાન જ પ્રદર્શન સમાન હતું.

આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ: શું ઉંદર સ્થપતિ છે?

ભવ્ય પગથિયાં, કુદરતી સામગ્રી અને આધુનિક સામગ્રી સાથેનો સંવાદ, શુદ્ધતા દર્શાવતી હોય તેવી રચના, લંબચોરસ માળખામાં રચાયેલું સ્થાન નિર્ધારણ, જમીન સાથે સમાંતરિતતાથી સ્થપાયેલ નમ્ર પ્રમાણમાપ, ટેકા પર ઉંચકાયેલ પ્લીન્થથી પ્રતીત થતો મકાન તરતું હોવાનો ભાસ, આવનજાવનનો માર્ગ સૂચિત કરતી દીવાલો, નજરને ચોક્કસ સ્થાને લઈ જઈ શકે તેવી મકાનની મકાનના વિવિધ ભાગોની ગોઠવણ, જાણે નવાં જ અર્થ નીકળતાં હોય તેવી આંતરિક અનુભૂતિ, એકબીજા સાથે સહજતાથી સંકળાઈ જતાં આંતરિક સ્થાન આ અને આવી બાબતો આ મકાનને આગવું બનાવે છે.

વાસ્તવમાં તો આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શની પૂરું થયા પછી સન 1930માં આ મકાન તોડી પડાયું હતું. ખરેખર તો તેને ઉપયોગીતા બાદ તોડી પડાય તે રીતે જ તેની રચના કરવામાં આવી હતી. પાછળથી તે મકાનનું સ્થાપત્યકીય મૂલ્ય સમજી સન 1983માં તેને તેના મૂળ સ્થાને જ જેની તે સ્થિતિમાં ફરીથી બનાવાયું. અત્યારનું હયાત મકાન તેની પુનર્રચના છે. આજ વાત એ બાબતની સાબિતી છે કે સ્થાપત્યના ક્ષેત્રમાં આ રચનાનું કેટલું મહત્ત્વ છે.

સામાન્ય રીતે પુરાતત્ત્વ વિભાગ દ્વારા પ્રાચીન મકાનોનો ર્જીણોદ્ધાર કરાય છે, અહીં તો 60 વર્ષના સમયગાળામાં જ એક મકાનને ફરીથી બનાવી દેવાયું. આજે તેમાં આજ સ્થપતિ દ્વારા ડિઝાઇન કરાયેલ માત્ર એક ખુરશી રખાય છે જેના પર બેસવાની મનાઈ છે.

આ મકાનથી જાણે સ્થાપત્યમાં સુંદરતાની વ્યાખ્યા જ બદલાઈ ગઈ. ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે સમાજમાં દરેક પ્રકારની ડિઝાઇન માટે નવી વિચારધારા જરૂરી બની હતી. લાકડાની ખુરશીમાંથી જ્યારે લોખંડની ખુરશીને સમાજમાં સ્વીકૃતિ મળતી ગઈ ત્યારે તે લોખંડની ખુરશીને સારી દેખાડવા પ્રયત્નો થતા ગયાં. આવું જ સ્થાપત્યમાં હતું. અત્યાર સુધી સ્થાપત્યની સુંદર રચના માટે પ્રમાણમાં ઓછાં જોવાં ગમતાં મકાનના ભાગોને ઢાંકી દેવાતાં. હવે પ્રાથમિક ભૌમિતિક આકાર, સામગ્રી અને તેને વપરાશની તકનીક તેમજ સામાન્ય ભૌમિતિક ગોઠવણ થકી સુંદરતા ઉભારવાના પ્રયત્નો થયાં. સ્થાપત્યમાં આ એક મોટો બદલાવ હતો.

આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ :કાચની દીવાલવાળું ક્વીન્સલેન્ડનું પરફોર્મિંગ આર્ટ સેન્ટર – ઓસ્ટે્રલિયા

ક્રમશ: બધું બદલાવવા માંડ્યું. હવે માળખાકીય સુંદરતા પણ લોકો માનતા થયાં. બાંધકામની તકનિકમાં પણ દેખાવ માટેની સંવેદનશીલતા સ્થપાતી ગઈ. મકાનની દરેક બાબત હવે મહત્ત્વની ગણાવા માંડી અને મૂળભૂત સામગ્રી જ દેખાવ તેમજ ફિનિશિંગ માટે મહત્ત્વની બનતી ગઈ.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીની પ્રગતિ દર્શાવવા માટે આ પેવેલિયન બનાવવામાં આવેલું, આ રચનાથી વિશ્વ સમજી ગયું કે હવે જર્મની ક્યાં છે અને તે કઈ દિશામાં જઈ રહ્યું છે. મકાનની રચના દ્વારા એક પ્રકારની રાજકીય વિચારધારાનો સંદેશો પહોંચાડવાનો આ એક સફળ પ્રયોગ હતો. યુદ્ધમાં વિનાશ પામેલા દેશે ફરીથી મેળવેલી ઉપલબ્ધિઓના પ્રતીક્ષામાં આ મકાનનો ઉલ્લેખ અનિવાર્ય છે.

હલકાપણાની અનુભૂતિ, અંદર બહાર પ્રસરતાં સ્થાન, પાણીના બે કુંડનો આંતરિક સ્થાન નિર્ધારણમાં અસરકારક ઉપયોગ, પ્રકાશને યોગ્ય રીતે પરાવર્તિત કરતો નાનો કુંડ તથા મકાનના પ્રતિબિંબને ઝીલી એને મહાનતા આપતો મોટો કુંડ, ફરસ તથા દીવાલોમાં મોંઘાં આરસના ઉપયોગથી ઊભરતી દૃશ્ય-સમૃદ્ધિ, તથા નમ્રતા સાથે દૃઢતા રજૂ કરતી રચના – આ બધી આ મકાનની ઉલ્લેખનીય બાબતો. આધુનિક સમયમાં કેટલાક મકાનો એવા છે કે જેમને કારણે, જે તે સમય પછીની સ્થાપત્યની વિચારધારામાં મોટો બદલાવ આવી શક્યો છે. આ મકાન એ શ્રેણીમાં આવે.

આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈઃ પર્વતના શિખર પર બેસવા ઈચ્છતા માણસને પણ હોટેલ તો જોઈએ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button