ઉત્સવ

કવર સ્ટોરી: નેપાળ ફરી રાજાશાહી સાથે હિન્દુ રાષ્ટ્ર બને એ દિવાસ્વપ્ન તો સાબિત નહીં થાયને?

-વિજય વ્યાસ

નેપાળ પર શાહ રાજવંશે 239 વર્ષ શાસન કર્યું. એ પછી 2015માં નવા બંધારણ અનુસાર હિન્દુ રાષ્ટ્રના સ્થાને નેપાળને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બનાવવામાં આવ્યું, પણ લોકશાહી અહીંના રાષ્ટ્રીય પક્ષોને સદી નથી. છેલ્લાં 17 વર્ષમાં તો 14 વાર સરકાર અને 13 વાર વડા પ્રધાનો બદલાઈ ગયા. આવા અરાજકતાના માહોલમાં લોકશાહીને પડતી મૂકી નેપાળમાં ફરી રાજાશાહી પરત લાવવા માટે ઉગ્ર આંદોલનો થઈ રહ્યાં છે… આમ છતાં નેપાળ ફરી એક વાર રાજાશાહી સાથે હિન્દુ રાષ્ટ્ર બની શકશે ખરું?

ભારતના પાડોશી દેશ નેપાળમાં છેલ્લાં કેટલાક સમયથી અશાંતિનો માહોલ છે. નેપાળમાં લોકશાહી છે અને સામ્યવાદી નેતા કે.પી. શર્મા ઓલી વડાપ્રધાન છે, પણ હમણાં નેપાળને ફરી હિન્દુ રાષ્ટ્ર બનાવવાની ઝુંબેશ ચાલી રહી છે અને લોકશાહીના સ્થાને રાજાશાહીની માગ સાથે ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે તેથી નેપાળ ફરી આંતરિક વિગ્રહ તરફ ધકેલાઈ રહ્યું હોય એવાં એંધાણ છે. છેલ્લાં લગભગ બે વર્ષથી થઈ રહેલા દેખાવો હિંસક પણ બની રહ્યા છે તેથી દેશમાં અરાજકતા પણ વ્યાપેલી છે.
નેપાળમાં 2006 સુધી રાજાશાહી હતી. નેપાળ પર શાહ રાજવંશે 239 વર્ષ શાસન કર્યુ. નેપાળના રાજા બિરેન્દ્ર વીર બિક્રમ શાહ અને એમના પરિવારના આઠ સભ્યની 2005માં સામૂહિક હત્યા પછી જ્ઞાનેન્દ્ર શાહને નેપાળના રાજા બનાવવામાં આવ્યા હતા.જોકે ત્યાર પછી નેપાળમાં પ્રસરેલી અરાજકતાની સ્થિતિનો લાભ લઈને ચીનના પીઠ્ઠુ એવા માઓવાદીઓ સક્રિય થઈ ગયા અને હિંસા શરૂ કરી દીધી. એ વખતે ભારત અને નેપાળના સંબંધો સારા હતા તેથી ભારતે માઓવાદીઓને દબાવી દેવામાં મદદ કરેલી.

બીજી તરફ જ્ઞાનેન્દ્ર શાહે લોકશાહીને સ્થાને પોતાની સમરમુખત્યારશાહી સ્થાપવા પ્રયત્ન કર્યો તેના કારણે 2006માં પ્રચંડ આંદોલન શરૂ થયું.જ્ઞાનેન્દ્ર શાહે તેની સામે ઝૂકીને 2007માં સર્વપક્ષીય સરકારને સત્તા સોંપવી પડી અને 2008માં નેપાળમાં રાજાશાહીનો અંત આવ્યો. વચગાળાના બંધારણનો અમલ કરીને લોકશાહી પુન:સ્થાપિત કરવામાં આવી અને સંપૂર્ણ બંધારણનો અમલ કરવાની કવાયત શરૂ થઈ.

એ પછી 2012માં નેપાળમાં બંધારણનો પહેલો ભાગ અમલી બન્યો કે જેમાં હિન્દુ રાષ્ટ્રના સ્થાને નેપાળને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બનાવવામાં આવ્યું. 20 સપ્ટેમ્બર 2015ના રોજ નેપાળનું સંપૂર્ણ બંધારણ અમલમાં આવ્યું એ સાથે ત્યાં રાજાશાહી અને હિન્દુ રાષ્ટ્રનો દરજ્જો સમાપ્ત થઈ ગયો.

નેપાળમાં રાજાશાહી વખતે રાજા કહે એ કાયદો હતો. લેખિત બંધારણના અમલ પછી નેપાળમાં રાજા રહ્યા જ નહીં ને એના સ્થાને પ્રમુખ આવી ગયા ને ફક્ત ચૂંટાયેલી સરકાર જ કાયદા બનાવી શકે છે એવી ગોઠવણ અમલમાં તો આવી, પણ નેપાળના રાષ્ટ્રીય પક્ષોને એ લોકશાહી સદી નથી. વિભિન્ન પક્ષોની સરકાર રચાય છે અને સરકાર માંડ ટકે તો એના વડા પ્રધાન બદલાય… આંતરિક મતભેદ અને પક્ષમાં જ અસંતોષને લીધે ત્યાં ભાગ્યે જ કોઈ પક્ષની સરકાર સ્થિર રહી, છેલ્લાં 17 વર્ષમાં તો 14 વાર સરકાર અને 13 વાર વડા પ્રધાનો બદલાઈ ગયા. આ પણ એક વિશ્વ વિક્રમ ગણાય!
આવા મહોલમાં લોકશાહીને પડતી મૂકી નેપાળમાં ફરી રાજાશાહી પરત લાવવાની ધૂન ફરી સંભળાવા લાગી છે. પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર છેલ્લાં કેટલાક સમયથી પાછા સક્રિય થયા છે અને એમના ઈશારે ફરી રાજાશાહીની સ્થાપનાની માગ પ્રબળ બની રહી છે.

આ પણ વાંચો…કવર સ્ટોરી : અમદાવાદ વિમાન દુર્ઘટના: આંચકો,અવાક, આઘાત વે પછી આક્રંદ…

રાજાશાહીની નાબૂદી પછી રચાયેલી સરકારોના ગેરવહીવટના કારણે નેપાળમાં ગરીબી અને બેરોજગારી વધી છે, સામ્યવાદી શાસકો ચીનના ખોળામાં બેસતાં ભારત સાથેના સંબંધો વણસ્યા તેથી પહેલાંની જેમ સરળતાથી ભારત જઈ શકાતું નથી તેનો પણ આક્રોશ છે. આ બધાં કારણોસર નેપાળમાં આંદોલનો થઈ રહ્યાં છે.

નેપાળ એક સમયે દુનિયાનું એક માત્ર હિન્દુ રાષ્ટ્ર હતું, પણ રાજાશાહીના અંત પછી સેક્યુલર બની ગયું. હવે ફરી આટલાં વર્ષો પછી નેપાળને ફરી હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માગ પણ પ્રબળ બની છે. સામ્યવાદીઓનો દાવો છે કે, ભારતમાં ભાજપ સત્તામાં આવ્યા પછી નેપાળમાં હિન્દુવાદ નો પ્રભાવ વધ્યો છે તેથી ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નેપાળને ફરી હિન્દુ રાષ્ટ્ર બનાવવા સક્રિય થયાં છે.

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ મુખ્ય મંત્રી બન્યા પછી નેપાળમાં હિન્દુવાદીઓ વધારે સક્રિય થયાના આક્ષેપ પણ થાય છે. નેપાળના મધેસ ક્ષેત્રમાં સંઘનો પ્રભાવ વધ્યો છે તેથી હિન્દુત્વનો મુદ્દો ઊઠી રહ્યો છે એવું પણ કહેવાય છે. યોગી આદિત્યનાથનો મતવિસ્તાર ગોરખપુર નેપાળની સરહદની નજીક આવે છે તેથી નેપાળના ઘણા હિન્દુઓ ગોરખપુર મઠના અનુયાયી છે. આ કારણે પણ નેપાળના તરાઈ ક્ષેત્રમાં યોગીનો પ્રભાવ છે. 2018માં યોગી આદિત્યનાથ નેપાળના જનકપુર ગયા પછી મઠના સ્વયંસેવકો વધારે સક્રિય થયા છે.

ભાજપ વિદેશમાં ‘ભાજપને જાણો’ નામનો એક કાર્યક્રમ ચલાવી રહ્યું છે. 2022માં નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન પ્રચંડે ભાજપના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભાજપ અને આરએસએસના નેતાઓએ કાઠમંડુની વારંવાર મુલાકાતો લીધી છે એ દરમિયાન નેપાળને ફરીથી ‘હિન્દુ રાષ્ટ્ર’ બનાવવા અંગે ચર્ચા પણ થઈ હતી. આ વાતમાં કેટલો દમ છે એ ખબર નથી, પણ નેપાળમાં છેલ્લાં કેટલાક દિવસોથી હિન્દુ રાષ્ટ્રની માગ સતત થઈ રહી છે એ હકીકત છે. માર્ચ 2023માં નેપાળના જનકપુરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નિકળી ત્યારે પણ એને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માગ સાથે સૂત્રોચ્ચાર થયેલા. એ શોભાયાત્રા પર ત્યારે હુમલો થયો હતો. હિન્દુવાદીઓએ તેનો જવાબ આપતાં ઘર્ષણ થયું અને નેપાળમાં પહેલી વાર કોમી રમખાણો ફાટી નિકળ્યાં હતાં.

આ રમખાણોને તો સરકારે દબાવી દીધાં પણ નેપાળને ફરીથી હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માગને દબાવી શકાઈ નથી. આ માગ સ્વાભાવિક પણ છે કેમ કે નેપાળમાં હજુય હિન્દુઓની બહુમતી છે. વસતિની ટકાવારીની રીતે વિશ્વમાં હિન્દુઓની સૌથી વધુ નેપાળમાં વસતિ છે. ભારતમાં સંખ્યાની રીતે હિન્દુઓ વધારે છે પણ ટકાવારીની રીતે નેપાળ ભારતથી આગળ છે.
નેપાળને ફરી હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે બંધારણ બદલવું પડે. નેપાળના બંધારણ 2012 (ભાગ 1, કલમ 4) દ્વારા નેપાળને સેક્યુલર નેશન જાહેર કરવામાં આવ્યું છે. આ કલમ પ્રમાણે ધર્મ નિરપેક્ષતાનો અર્થ ‘ધાર્મિક, સાંસ્કૃતિક સ્વતંત્રતા, તેમ જ ધર્મ, સંસ્કૃતિનું રક્ષણ થાય છે કે જે અનાદિ કાળથી (સનાતન)થી કરવામાં આવે છે.’

બંધારણ બદલવા માટે હિન્દુવાદી સરકારની રચના કરવી પડે, નેપાળમાં હિન્દુત્વનો ઝંડો ઉઠાવીને ‘રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી’ ચાલે છે પણ નેપાળની સંસદમાં તેનો કોઈ પ્રભાવ નથી. અહીં નેપાળી કૉંગ્રેસ અને સામ્યવાદી પક્ષોનો પ્રભાવ વધારે છે અને સત્તા પણ તેમની પાસે ફરતી રહે છે. આ બંને પક્ષને કમ સે કમ અત્યારે તો નેપાળને ફરી હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં રસ નથી કેમ કે બંને ચીનના ખોળામાં બેઠાં છે. આ સંજોગોમાં જ્યાં સુધી ‘રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી સત્તા’ પર નહીં આવે ત્યાં સુધી નેપાળ હિન્દુ રાષ્ટ્ર બને એવી આશા રાખવા જેવી નથી.

નેપાળમાં હિન્દુઓની કેટલી વસતિ?
2011ની વસતિ ગણતરી પ્રમાણે નેપાળમાં લગભગ ત્રણ કરોડની વસતિમાં અઢી કરોડથી વધારે એટલે 81.3 ટકા હિન્દુ છે, જ્યારે 3.1 ટકા કિરાત છે કે જે હિન્દુત્વની જ એક શાખા છે. આમ 85 ટકા વસતિ હિન્દુત્વને અનુસરે છે. કુલ વસતિમાં બૌદ્ધ ધર્મી નવ ટકા છે, જ્યારે મુસલમાન 4.4 ટકા, ખ્રિસ્તી 1.4 ટકા અને પ્રકૃતિ પૂજક 0.5 ટકા છે. દાયકાઓ સુધી નેપાળ સત્તાવાર રીતે હિન્દુ રાજ્ય હતું અને મહાદેવ એટલે કે ભગવાન શિવને દેશના રક્ષક દેવતા માનવામાં આવતા હતા.

આ પણ વાંચો…કવર સ્ટોરી: પાકિસ્તાની આતંક વિરુદ્ધ વિસ્મયજનક વિકાસથી જડબાતોડ જવાબ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button