વલો કચ્છ : કચ્છનો આ અષાઢી મેહુલિયો છેલબટાઉ છોરો!

- ડૉ. પૂર્વી ગોસ્વામી
અષાઢી બીજ એટલે માત્ર શ્રદ્ધાનું જ નહીં, પરંતુ કચ્છ માટે નવા વર્ષનો આરંભ અને પ્રકૃતિ સાથેના મૈત્રી ભાવનું જોડાણ છે. બીજ એટલે કે કચ્છી નવું વર્ષ આવતા સુધીમાં અગર જો મેહુલિયો ડોકિયું કરી જાય તો તો કચ્છના હૈયા હિલોળા લેતા થઈ જતા હોય છે.
કારણકે અછતની આ ભૂમિ જાણે છે પૂર્તિની કદર. આ માહોલમાં જ્યારે ‘આષાઢી મેહુલિયો, છેલબટાઉ છોરો’ જેવી પંક્તિઓ સંભળાય, ત્યારે સહજ રીતે લાગણીના દરવાજા ખૂલી જાય છે. રચના છે ઉષ્માબહેન શુક્લની.
આષાઢી આ મેહુલિયો, છેલબટાઉ છોરો.
વરસી જાય કો લીલપે, કચ્છને રાખે કોરો.
નખરાળી નદીઓની અરજે, કાયમ આવતો ઓરો.
સફેદ રણના વાયરા…જોતા ! !.. ખાતો કેવો પોરો !!
ગજવી જાય ગોરંભીને, ગામ, ગલીને ચોરો… આષાઢી…
ચાતક નજરે વાટ્યું જુએ, મૂંગા, અબોલ ઢોરો.
વરસે તે વિસ્તાર લાગે, અંગ્રેજ જાણે ગોરો.
ચિમડાયેલી ચામડી જેવો, સૂક્કો મુલક મ્હારો.
અળવીતરા આ આભને, સાચા રસ્તે કોઈ દોરો.
આષાઢી આ મેહુલિયો છેલબટાઉ છોરો.
કવિતા માણીને મજા પડીને? ઉષ્માબહેન શુક્લ ભલે ભુજોડીના શિક્ષણક્ષેત્રથી જોડાયેલાં છે, પરંતુ તેમની રચનાઓનો વિસ્તાર કચ્છના કણ-કણમાં પ્રસરી ગયો છે. એ તેમની કવિતાઓના શીર્ષક જાણીને જ સમજી જશો.
કિલ્લા, કૂંડ, હસ્તકલા, કચ્છી સાલ, બાંધણી જેવાં કાવ્યો અભિવ્યક્તિના સરાણે ચઢી મુખરિત બન્યાં છે. ‘કચ્છી સાલ’ એક સળંગ, એક સૂત્રતા સાંધતું લયબદ્ધ સરસ મજાનું કાવ્ય છે. એકમાત્ર કચ્છી કાવ્ય તે ‘બાંધણીજા બંધ’. એજ રીતે આ પ્રદેશની ઓળખ: સુરખાબ, દાબેલી, છાશ, મીઠો માવો, ખારેક, કેશર કેરી કે ભૂંગા છે, એનું નાવિન્ય તેમની કવિતાઓમાં પડઘાય છે.
તેમની કલમ માત્ર શિક્ષણ સુધી મર્યાદિત રહી નથી; એ કલમ ક્યારેક મેઘમય અષાઢી બન્યા કરે છે, ક્યારેક રણની વ્યાકુળતા ગાય છે, તો ક્યારેક કચ્છી હસ્તકલા કે યાત્રાધામોની અનોખી ઓળખ અપાવે છે.
કચ્છી ભાષા અને હસ્તકલા એ પણ તેમનું વિશિષ્ટ ક્ષેત્ર છે. તેમણે કચ્છી સાલ અને બાંધણી જેવી લોકવારસાને આવરી લેતી રચનાઓ કરી છે, જે માત્ર શાબ્દિક રચનાઓ નથી એ લોકજીવનના દસ્તાવેજ છે.
મીઠા મલકની કારીગરી, ગમશે તમને એવી…
વિશ્વ આખ્ખું નોંધ લે, મારા કચ્છની હસ્તકલા એવી…
ખારેક, પાકો, જત અને મુતવા, આરી, રબારી ભરત ભરે, સાંકડી,
બખિયો આભલા સંગે, જોતાં સૌની નજરું ઠરે…
સુડી-ચપ્પુની ધાર જ એવી, કહે પ્રવાસી લેવા જેવી.
ધાતુના ઘૂઘરા ઘમ-ઘમ થાય, વાગે જાણે આંગણે ટહુકા વેરાય.
અજરખને બાટીકની છાપ વખણાય, લેવા પ્રવાસીનું મન લલચાય.
રોગાનકલા ના કયાંય જોવા જડે, કચ્છમાં કારીગરી અઢળક મળે.
આપણ વાંચો ઝબાન સંભાલ કે : રે આજ અષાઢ આયો, મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો!
કવિતાના માધ્યમથી કચ્છ બોલે છે. એ બુલંદ અવાજ ધરાવે છે ઉષ્માબહેન. અવાજ એટલે કે તેઓ આકાશવાણી ભુજના અચ્છા ઉદઘોષક પણ છે. અંતે ઉષ્માબેનને કચ્છી વંદન આપતા ધરાની ભવ્યતામાં કચ્છની ઝલક મેળવીએ.
સતીઓની છે આ ધરા જે, યુગો-યુગોથી પુજાય છે.
તપ આકરાં જે કરે, ઘરા તે ‘તપો ભૂમિ’ કહેવાય છે.
સતી તોરલ, સતી કપુરી, કે ચારણી દેવલબાઈ હો, રણ-ડુંગર દરિયે સદા, ગુણલાં તેનાં ગવાય છે. દુકાળ હો કે ધરાકંપ, કાળોકેર વર્તાય છે, તે છતાં, જો આ ધરાની, માણસાઈ વખણાય છે !!
ચારેકોર અફાટ દરિયો, મોજથી લહેરાય છે, કુદરતના આ મીઠા મુલકના, ગુણલા બધે ગવાય છે.