વલો કચ્છ : પશુપંખીની સૌંદર્યમંડિત શિલ્પાકૃતિ

- ડૉ. પૂર્વી ગોસ્વામી
વૈવિધ્યની ચાહક માનવવૃત્તિ કલાની અભિવ્યક્તિમાં હંમેશાં અવનવાં રૂપાન્તરો ખોળતી જ રહે છે અને એના એ પ્રયત્નોમાંથી આપણને અસંખ્ય સુંદર નવસર્જનો મળતાં રહ્યા છે.
ભારતીય શિલ્પસ્થાપત્યની પરંપરાના મહાપ્રવાહને પોતાનું આગવું ગતિશીલ અને સમૃદ્ધ કલા વૈવિધ્ય આપનાર ગુજરાતે એ ક્ષેત્રે અનેક અભિનવ પ્રયોગો કરીને ઉચ્ચતર શિખરો સર કયાર્ં છે જેની અસર કચ્છ સુધી પણ વિસ્તરી છે, પરંતુ કચ્છમાં અન્ય એક કોલોનિયલ પ્રભાવ પણ સારા પ્રમાણમાં જોઈ શકાય છે.
કચ્છનું સ્થાપત્ય તેમનાં ઐતિહાસિક, સામાજિક અને ભૌગોલિક પરિપ્રેક્ષ્યના સંયોજનથી વિકસેલું છે. અહીંનો વસવાટ પ્રાચીન યુગોથી ચાલુ રહ્યો છે અને ત્યાંથી શરૂ થયેલી લોકપરંપરાની ભૌતિક રજૂઆતો સ્થાપત્યમાં રૂપાંતરિત થઈ છે.
જ્યાં કલ્પના પાસે માળખું મળે, ત્યાં સ્થાપત્ય જન્મે; અને જ્યાં પથ્થર બોલવા લાગે, ત્યાં શિલ્પ જીવંત બને.
શિલ્પ આભૂષણોથી વિભૂષિત દેવપ્રતિમાઓ, અલંકારમંડિત અન્ય ભૌમિતિક આકારો સાથે સંસારની સમસ્ત જીવનલીલાને સમાવી લેતાં અનેક ભવ્ય મંદિરો, મહેલો અથવા અન્ય જાહેર કે ખાનગી સ્થાપત્યો બન્યાં છે જેમાં નૈસર્ગિક રંગછટાઓનું સમાવેશી સંયોજન તેની એક અલગ જ સુંદરતા સાથે નિખરી આવે છે.
આમ કરવામાં એણે પોતાના કલ્પનાવિહાર અને કલાકૌશલનો જે પરચો બતાવ્યો છે તે દાયકાઓ ને સદીઓ પછીયે એટલો જ રોચક રહ્યો છે. કાલાનુક્રમે એની શૈલી કે વિષય બદલાતાં હશે, પણ કંઈક વધુ સુંદર, કંઈક ઓર નવું કરી બતાવવાની મૂળભૂત ઝંખનાનો પ્રવાહ તો એક જ સરખો વહેતો રહ્યો છે.
એ સ્રોતમાં વહેવા આજે વાત કરીએ કચ્છના શોભન-સંયોજનમાં પશુપક્ષીઓનાં સ્થાપત્ય શિલ્પોની. બિંદુ, રેખા કે વર્તુળની અવનવી અટપટી રચનાઓમાંથી માનવ હૃદયે ભૌમિતિક આકૃતિઓનું વૈવિધ્ય સર્જાવ્યું. એટલું જ નહીં તેમાંથી આગળ વધીને રંગબેરંગી પુષ્પો, વેલપત્તી ને ઘાટીલાં ફળો ઉપરાંત પશુપંખી જેવી કુદરતી સમૃદ્ધિમાંથી પ્રેરણા લઈ અનેકાનેક અવનવી ભાતો કલ્પીને એણે તેને પથ્થર, ધાતુ, કાષ્ઠ કે આલેખનમાં ઉતારી છે.
એથીયે આગળ જઈ છેક માનવપાત્રોની હૂબહૂ નકલ ઉતારવા એ પ્રેરાયો છે, એટલું જ નહિં પણ એ બધાંને પ્રકૃતિમાં ક્યાંયે જોવા ન મળે એવી અદ્ભુત રીતે ગોઠવીને કોઈ અનન્ય અભિનવ આકૃતિ કે રચના પણ ઉપજાવે છે.
સ્વાભાવિક દર્શને ભયપ્રેરક લાગતા નાગ અને સિંહના અંગ-વળાંકની એટલી સુંદર ગૂંથણી કરી બતાવી છે કે દૃષ્ટિ સંતોષ પામે જોઈને. એક જ સરખાં પ્રાણીના સમૂહની આવી કલામય ઉપરાંત પ્રાણીઓની અવનવી ગૂંથણી આ સુંદર રચનાઓમાં માણી શકાય છે. તદ્દન સાદી ગણાય તેવી રચનાથી માંડી વિવિધ આકારોમાં ને અટપટી ગૂંથણીમાં પણ આ સંયોજનાઓ મળી આવે છે.
કચ્છના નજરે જોયેલા વિવિધ સંયોજનની વાત કરીએ તો હાથીની પ્રતિમા ભુજના હમીરસરની પાળની દીવાલ ઓગન પર તથા કિનારે આવેલ જૂના સત્યનારાયણ મંદિર પરિસરમાં આવેલ સૂર્ય નારાયણ મંદિરના બારસાખ પર, છતરડીના દાદર પર, કલેકટર ઓફિસ પાસે આવેલ ભારતીય સંસ્કૃતિ દર્શનમાં શોભાયમાન અલંકૃત દ્વારના તોરણની કોતરણીમાં (અહીં અન્ય વાઘ અને સિંહની પ્રતિમા પણ માણી શકાય છે) તથા વિવિધ મંદિરોમાં જોવા મળ્યા છે.
કચ્છ મ્યુઝિયમના ટ્રેડમાર્ક સ્વરૂપ એક કાષ્ઠની પ્રતિમા પણ હાથીની જ છે. તે સિવાય પ્રાગ મહેલ સંકુલમાં મહેલ દીવાલની જાળીઓમાં, સ્તંભ તથા બ્રેકેટ્સ તરીકે મોર, સસલું, નાગ, વાંદરો, તથા અન્ય પક્ષીઓ જોવા મળે છે. થાન મઠ, માંડવી, મુન્દ્રાની જૂની હવેલીઓ તથા જૈન તથા શિવ અને સ્વામિનારાયણ મંદિરો તો ક્યાંક વાવ સ્થાપત્ય કે મહેલ કે ગઢ કિલ્લાની દીવાલોમાં આ કુદરતી વિશ્વ આજે પણ કોતરેલા સમયની સાક્ષી પૂરે છે. લાકડું અને પથ્થરના કોતરકામની પરંપરાને જાળવી રાખતા વિવિધ શિલ્પીઓએ પોતાની કલા કારીગરીના અદ્ભુત દર્શન કરાવીને પોતાનું નામ અમર કરી દીધું છે.
આપણ વાંચો: ઊડતી વાત : માથા પર ભમતી અમેરિકી ‘ઘાત ’
ક્યારેક એ શિલ્પો ઘમંડ અને શક્તિનો સંદેશ આપે છે, તો ક્યારેક એ શાંતિ અને શૃંગારનો ભાવ વ્યક્ત કરે છે. નાગ અને સિંહ જેવા ભયાનક જણાતાં પ્રાણીઓના શિલ્પો પણ એટલી નમ્રતા અને સૌંદર્ય સાથે ગોઠવાયા છે કે તેઓ ભયજનક નહીં પણ શોભાયમાન લાગે છે. અને અંતે આ લેખ વાંચતા સૌ પ્રવાસીઓને વિનંતી કે આપણે સ્થાપત્યોની ઉપરછલી મોજણી કરવાની બદલે તેની અલંકૃત વિશિષ્ટતાને બારીકાઈથી માણી એનું ગૌરવ વધારીએ.
(સંદર્ભ: ડો મંજુલાલ મજમુદાર)