ઉત્સવ

હેં… ખરેખર?! : વેસ્ના વુલોવિક તનથી તૂટેલાં, મનથી પોલાદી!

પ્રફુલ શાહ

વેસ્ના વુલોવિક નામની એરહૉસ્ટેસ વિમાન દુર્ઘટનામાં 33 હજાર ફૂટની ઊંચાઈએથી પેરેશૂટ વગર પડવા છતાં બચી ગઈ, જીવી ગઈ પણ એ જીવન આસાન નહોતું. દશ મહિના બાદ વેસ્ના હૉસ્પિટલમાંથી બહાર આવી ત્યારે નવા અને અલગ જંગ એની પ્રતીક્ષા કરી રહ્યા હતા. વેસ્નાએ ફરી ડ્યૂટી પર જોડાવું હતું. કહો કે એ નોકરી પર પાછી ફરવા માટે તલપાપડ હતી પણ એરલાઈન માટે એ શક્ય નહોતું. આની સાથોસાથ ગિનિઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન મેળવીને એ સેલિબ્રિટી બની ચૂકી હતી. કંપનીને એને જતી કરીને જનતાની ખફગી વહોરી લેવી નહોતી, ને સાથોસાથ એને રાખીને પબ્લિસિટી પણ મેળવવી હતી. આથી યુગોસ્લાવિયામાં નેશનલ હિરો બની ચુકેલી વેસ્નાને ડેસ્ક જોબ આપી દેવાઈ.

આ દરમિયાન વેસ્નાના જીવનમાં એક સુખદ પળ આવી. એ માતા બનવા અક્ષમ હોવા છતાં એના લગ્ન થઈ ગયા. કલ્પના કરો કે વિમાન દુર્ઘટના બાદ ખોપરીમાં ફેકચર, ત્રણ તૂટેલા મણકા, ભાંગેલા પગ, તૂટેલી પાંસળીઓ અને ભાંગેલા પેડુ અને છોગામાં પેરેલિસિસ છતાં કોઈક એને જીવનસાથી બનાવવા તૈયાર થયું હતું, પરંતુ આ ખુશી-આનંદ લાંબા ન ટક્યા અને છૂટાછેડામાં પરિણમ્યા હતા.

બીજી તરફ જાટ ફ્લાઈટ 367ની દુર્ઘટનાનાં કારણોની પણ તપાસ થઈ.સનસનાટીસભર હકીકત બહાર આવી કે વિમાન કોઈ અક્સ્માતને લીધે નહિં પણ બૉમ્બ ધડાકાને લીધે તૂટી પડ્યું હતું. આ વિમાનનું તૂટી પડવું એ આતંકવાદી કૃત્યનું પરિણામ હતું. ડેન્માર્કથી કોપનહેગનના સ્ટોપ હોવા દરમિયાન આ વિમાનમાં બૉમ્બ મુકાયો હોવાની શક્યતા વ્યક્ત થઈ હતી, પરંતુ આ બાબતમાં ન કંઈ સાબિત થયું કે ન કોઈની ધરપકડ થઈ.

આ વિમાન દુર્ઘટનાના દાયકાઓ બાદ 2002માં વેસ્નાએ ઈન્ટરવ્યૂમાં મોટી વાત કરી હતી કે મારા સાથીઓને સતત લાગતું હતું કે વિમાનમાં કંઈક ખોટું-ખરાબ થવાનું છે. ઉડ્ડયનના 24 કલાક અગાઉ એક પાઈલોટે 24 કલાક સુધી પોતાને રૂમમાં પૂરી રાખ્યો હતો અને એ બહાર જ નહોતો નીકળ્યો એ બાબત પણ વેસ્નાને વિચિત્ર અને વાંધાજનક લાગી હતી. વેસ્નાને જીવનભર વારંવાર વિમાનની ટ્રોલી યાદ આવતી હતી. વિમાન તૂટી પડ્યું ત્યારે એ ટ્રોલી લઈને નીકળી હતી. વિમાનના ટુકડા થવાથી ટ્રોલી એક ટુકડામાં ફસાઈ ગઈ. આને લીધે વેસ્નાને બે તરફથી રક્ષણ મળી ગયું, જેણે તેનો જીવ બચાવવામાં સિંહફાળો આપ્યો હતો. આની સાથે નીચે પડેલી બરફની ચાદર પર પટકાવાથી ઝાઝી ઈજા થઈ નહોતી.

આ બધી ભયાનક સ્મૃતિ, ખરાબ તબિયત, શારીરિક લાચારી અને તૂટેલા લગ્ન છતાં વેસ્ના જરાય હતાશ કે નિરાશ ન થઈ બલ્કે એના જોશ-જોમ એકદમ નક્કર-મક્કમ અને સકારાત્મક રહ્યાં. ઉડ્ડયન જગતના ઈતિહાસના સૌથી અસાધારણ માનવ સહનશીલતા અને જાગૃતિના પ્રતીક સમાન વેસ્ના વુલોવિક સમાજ, દેશ અને લોકશાહી માટેની ફરજ બજાવવામાં ય લેશમાત્ર પાછી પડી નહોતી. યુગોસ્લાવિયાના વિભાજન વખતે સરકાર વિરોધી દેખાવોમાં ભાગ લેવા બદલ એરલાઈને વેસ્નાને નોકરીમાંથી પાણીચુ આપી દીધું હતું. સરકારે એની ધરપકડ કરી નહોતી. કારણ કે તેઓ તેની લોકપ્રિયતાથી ગભરાતા હતા. સરકાર નકારાત્મક પ્રચારથી દૂર રહેવા માગતી હતી.

વેસ્ના ઑક્ટોબર 2000ની બુલડોઝર ક્રાંતિ સુધી લોકશાહી તરફી કાર્યકર્તા તરીકે એકદમ સક્રિય રહી હતી. ત્યાર બાદ યુરોપિયન યુનિયનમાં સર્બિયાના પ્રવેશ માટેની લડતમાં પણ વેસ્ના જોડાઈ હતી. આમ છતાં જીવનની સંધ્યા તેણે બેલગ્રેડમાં એકલતાને સથવારે વીતાવી હતી. છૂટાછેડા બાદ કાયમ તે બેલગ્રેડના નાનકડા ભાડાના ઘરમાં એકલી રહી અને નહિવત્ નિવૃત્તિ ભથ્થાથી જીવન નિર્વાહ કર્યો હતો. 2016ની 23મી ડિસેમ્બરે 66 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા ત્યારે વેસ્ના વુલોવિકે ઘણાં નસીબદાર અને એટલી જ બહાદુર મહિલા તરીકે નામના રળી લીધી હતી.

આપણ વાંચો : હેં… ખરેખર?! : 33 હજાર ફૂટથી વગર પેરેશૂટે પડ્યાં ને જીવતાં રહ્યાં, બોલો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button